Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ડાયાબીટીસ - આ હાસ્યલેખ છે

$
0
0
મને ૫૪૮ ડાયાબીટીસ આવ્યો ને મેં એના વિશે લેખ લખ્યો. લોકોએ હસી કાઢ્યો. જે મળ્યો એ ડોકટર હોય, એમ મને આ મહાભયાનક રોગમાં શું કરવું અને શું નહિ કરવાનું, એની લાગણીભરી કડક સૂચનાઓ આપી. તમને અમેરિકાનો વિઝા ન મળ્યો હોય ત્યારે, જે મેહસાણાથી આગળ ગયું નથી, એ ચમનીયું, ''તમને વિઝા કેમ ન મળ્યો અને હવે મળી જ જાય, એના માટે શું કરવું, એની સલાહો આપવા માંડે એમ મને ડાયાબીટીસ થયો ત્યારે, એવા વિદ્વાનો ય સલાહ આપતા હતા જે પોતાના ડાયાબીટીસના કારણે આખા શરીરે ચીમળાઇ ગયા હતા.

'બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું એ મુજથી સમજદાર હોય છે!'

એ પરમેશ્વરની કૃપા અને માં-બાપના આશીર્વાદ હશે કે, સાત દિવસ ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કલૌંજીના ઉપાયે ચમત્કારિક રીતે મારો આટલી ભારે માત્રાનો ડાયાબીટીસ સંપૂર્ણ મટાડી આપ્યો. સ્વાભાવિક છે, આટલો મોટો ચમત્કાર થયો હોય એટલે આપણને મટયો. તો બીજા લાખોને મટશે, એવું શુધ્ધ ભાવનાથી એ બુધવાર પહેલા આ સચોટ ઉપાય વિશે લેખ લખ્યો. મારા ૪૦ વર્ષના લેખનકાળમાં ટોટલ જેટલા ફોન આવ્યા, એ આ એક લેખને કારણે આવ્યા.

સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કોઇ હ્યૂમર-ફ્યૂમર વગર સઘળી માહિતી એમાં લખી હતી પૂછનારાઓ, એ લખેલું જ વારંવાર પૂછતા હતા.

''ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કલૌંજી સાથે બીજું કાંઇ લેવાનું? આ બધું રોજરોજ ઉકાળવાનું કે એક જ વખત ઉકાલીને મૂકી દેવાનું? ગાળી લીધા પછી વધેલો મસાલો રાખવાનો કે ફેંકી દેવાનો? તમને ખરેખર મટી ગયો છે?''

સહેજ પણ અકળાયા વિના હરકોઇને શાંતિથી જવાબો આપ્યા. 'ગુજરાત સાચાર'ના ટૅલિફોન-ઑપરેટરો ય થાકયા વિના અવિરત જવાબો આપતા હતા.

યસ. એક સવાલ અકળાવતો હતો, ''અશોક દવે, આ લખ્યું છે એ સાચું છે કે મજાકમાં લખ્યું છે? આઇ મીન.. તમે તો હાસ્યલેખો જેવું કંઇ લખો છો ને...!''

એ ડાઉટ તો પેલો લેખ લખતી વખતે ય હતો કે, લોકો આવી ગંભીર વાતને હસવામાં કાઢી નાંખશે, એટલે એ લેખમાં ક્યાંય પમ નામની ય હળવાશ લીધા વગર ચોખ્ખું લખ્યું હતું કે, આવી જીવન-મરમ સંબંધી વાતમાં કોઇ મજાક ન કરે અને ન સમજી લે, માટે સ્પષ્ટતા કરી હતી કે, આ હાસ્યલેખ નથી.

ઓળખીતા સંબંધીનો ફોન આવ્યો. એમની તમામ વાત, સવાલો અને જવાબો હતા હસતા હેં-હેં-હેં-હેં, મારા એક સંબંધી એવું સમજ્યા કે, આ તો ગંભીર લેખ છે. દાદુ લખે તો આવું જ લકે ને? હેં-હેં-હેં-હેં...''

એક મેં સામું હેં-હેં-હેં-હેં કર્યા વગર બહુ ગંભીરતાથી જણાવ્યું, ''ભાઇ, આવી વાતમાં કોઇ મજાકો ન કરે. તમારા સંબંધીને આજથી જ આ દવા ચાલુ કરાવો.''

''હેં-હેં-હેં-હેં.... આ તમારી પાછી બીજી મજાક...!! હેં-હેં-હેં-હેં, મેં એમને કહી જ દીધું છે, આ તો હાસ્યલેખ હતો, ભ'ઇ! હેં-હેં-હેં-હેં...!!'

આ સાલા કેવા દિવસો આવ્યા હસે મારા કે, હવે લેખના મથાળે લખવું પડશે કે, આ હાસ્યલેખ છે ને આ ગંભીર!

આવા બેવકૂફોને ઝાપટવા અજીતસિંહે નવો દાવ ખેલ્યો. મારા લેખને મજાક સમજી બેઠેલા એક મિત્રએ અજીતસિંહને પૂછ્યું, ''આ અશોક દવેનો લેખ સાચો છે? સાંભળ્યું છે કે, એમને તો કોઇ ૫૪૮ જેટલો ડાયાબીટીસ આયો'તો...! ઘઉં, જવ, કલૌંજી ને ખાવાનો ગુંદર નાંખીને દવા બનાવવાની...?''

''હા, પણ આખી રાત ખાંડની ચાસણીમાં બોળી રાખ્યા પછી બે વાડકા બાસુંદી કે શીખંડ ખાધા પછી મધ સાથે આ દવા લેવાની...!''

''પણ મારે તો ૨૨૦ ડાયાબીટીસ જ છે... મારે આ બધું થોડું ઓછું નહિ લેવાનું?''

''ના, પહેલા તમારે અશોક દવે જેટલો... આઇ મીન, ૫૪૮ સુધી તો હાલનો ડાયાબીટીસ લઇ જ જવો પડે... પછી નીચો આવે! ભ'ઇ, સાધના વિના તો સિધ્ધિ નથી...!''

ઇન ફૅક્ટ, દોષ દર્દીઓનો ય નથી. વિશ્વભરમાં ડાયાબીટીસ કોઇને મટયો હોય, એવું જાણમાં તો નથી. કેટલાક તો છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આ મહારોગ લઇને બેઠા છે. મને આટલા (સાત જ દિવસમાં) જડમૂળથી મટી જાય અને એક જવાબદાર અખબારમાં જવાબદાર લેખકે આવું લખ્યું હોય, એટલે નહિ માનવાનું ય કોઇ કારણ નહોતું. હકીકતમાં તો વાચકો રાજી ખૂબ થઇ ગયા હતા ને ફ્રૉમ-ધ-હૉર્સીઝ-માઉથ.... એટલે કે, સીધા ઘોડાના મોંઢે જ આ વાતની ખાત્રી કરવા ફોન ઉપર ફોન કરે જતા હતા. હું ય સમજતો હતો કે, વાચકને ય પ્રોબ્લેમ છે, માટે ફોન કરે છે ને!

તાજ્જુબી તો એ લેખ છપાયાના ૭મા ૮મા દિવસથી શરૂ થવા માંડી કે, જેમને ફાયદો થઇ ગયો, એ ખેલદિલ વાચકોએ મને ફરી પાછા ફોન કરીને આભાર માન્યા. યસ. અત્યાર સુધી અઢાર ફોન તો પૂર્ણ સફળતાના, એટલે કે દવા શરૂ કર્યા પછી ૮મા દિવસે એમનો ડાયાબીટીસ પણ નૉર્મલ આવ્યો, એના આવવા માંડયા, એટલે ખુશી તો થાય!

નિષ્ફળ દર્દીઓનો હજી સુધી તો એકે ય ફોન નથી આવ્યો, પણ ફરી એક સ્પષ્ટતા કરવાની. આ દવા મેં શોધી નથી કે હું વ્યવસાયે કે જાણકારીથી પણ કોઇ ડૉકટર - વૈદ્ય નથી. મને ફાયદો થયો, એ બીજાને પણ થાય, એ ભાવનાથી લેખ લખ્યો હતો. મને આટલો જલ્દી મટી જવાનું એક કારણ મારૂં અંગત હોઇ શકે છે કે, જગતભરના કોઇપણ રોગનો બેહતરીન ઈલાજ આનંદ જ છે. હું બારે માસ આનંદમાં રહું છું. દુશ્મનો મારા લેખો સૌ પ્રથમ વાંચે છે, એટલે અહીં ઑન-રૅકૉર્ડ કહી શકું છું કે, આજ સુધી મેં કદી ગુસ્સો કર્યો નથી. કોઇની ઇર્ષા કરી નથી, નજર સામે ઘરમાં લાખ રૂપિયાનું નુકસાન થઇ જાય તો મારા ચેહરાનો એક હાવભાવ પણ બદલાતો નથી. ટૅન્શન ક્યારે ય કર્યું નથી. મારો કે મારી કોઇ વર્સ્ટ દુશ્મન પણ કહી નહિ શકે કે, આજ સુધી હું એક પણ વખત કોઇની સામે ઊંચા અવાજે બોલ્યો હોઉં કે કોઇનું અપમાન કર્યું હોય! હું સદાય હસતો રહ્યો છું, એટલે ઉંમર ૬૨ની થવા છતાં લોકો પૂછે રાખે છે કે, તારી ઉંમર કેમ દેખાતી નથી?

ડાયાબીટીસની આ દવા અંગે મારી કોઇ વિશેષ જાણકારી કે સલાહ નથી, પણ જે મારો સબ્જૅક્ટ છે, એ વિશે હું શૅર કરીશ કે, ડાયાબીટીસ આ દવાથી મટશે કે નહિ, એ પરમેશ્વરની કૃપા જોઇશે, પણ તમે કાયમ આનંદમાં રહો ને કોઇનું બુરૂં ન ઇચ્છો તો... ડાયાબીટીસ પણ મટી શકે છે!

સિક્સર

જન્મજાત ઘનચક્કર હોય એવા પ્રેક્ષકો માટે ય કહે છે કે, એક ફિલ્મ આવી છે!

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>