Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

'જંગલ પ્રિન્સેસ' (૪૨)

$
0
0
ફિલ્મ   :   'જંગલ પ્રિન્સેસ' (૪૨)
નિર્માતા-દિગ્દર્શક   :   હોમી વાડિયા
સંગીત   :    માધવલાલ ડી. માસ્ટર
ગીતકાર   :    પંડિત ઈન્દ્ર
રનિંગ ટાઈમ   :    ૧૭-રીલ્સ
કલાકારો   :    ફીયરલેસ નાદિયા, જોન કાવસ, હરિ શિવદાસાણી, સરદાર મનસૂર, મીઠ્ઠુ મીયાં, હબીબ, રાધારાની, શાહજાદી, બેબી માધુરી, જાલ ખંભાતા, દલપત, હસન, જીજીભાઈ, ગુલશન સૂફી.



ગીત
૧.    ચલ રી નાંવ, તૂ ચલ આગે... ગુલશન સૂફી-મેંહદી રઝા
૨.    જો કોઈ ઈસકો પીવે, નામ ઉસકા દૂર હોવે... ?
૩.    મુસાફિર કીસ મારગ સે જાના... સરદાર મનસૂર
૪.    મૂરખ મન તુ ક્યું ભરમાયા, ધનદૌલત... ગુલશન સૂફી
૫.    કસમ જવાની કી હમ તો હૈ નાદાન... રાધારાની
૬.    લો ચાંદ ભી જલને લગા યા રબ તલાશે... સરદાર મનસૂર
૭.    ઓ મૈના મસ્તાની, ઓ પિંજરે કી રાની... રાધારાની-કોરસ
૮.    અગર ઈન્સાન કી હિમ્મત હો તો ક્યા... સરદાર મનસૂર

કેટલાક વાચકો અકળાઈને પૂછે છે, ઘણી વાર તો તમે એવી એવી ફિલ્મો લઈ આવો છો, જે જોવાની તો દૂર રહી, નામ પણ સાંભળ્યું ન હોય, જેમ કે થોડા વખત પહેલા શશી કપૂરની ઈંગ્લિશ ફિલ્મ 'બોમ્બે ટોકી.'જોવાની તો દૂર રહી, અમે આવી કોઈ ફિલ્મ આવી હતી, તે ય નહોતા જાણતા. એને બદલે જાણિતી ફિલ્મો વિશે લખો તો વાંચવાની વધુ ઈન્તેઝારી રહે.

ઓ બોય... ! 'ફિલ્મ ઈન્ડિયા'ના વાચક હો તો ધ્યાન એ રાખવાનું કે, તમે શું વાંચો છો એના કરતા શું વાંચવું જોઈએ, એ જાણવું જરૂરી છે. બીજું, જાણિતી ફિલ્મો તો હતી ય કેટલી ? 'આન, અંદાઝ, આવારા, શ્રી ૪૨૦, મધર ઈન્ડિયા, સંગમ, ગાઈડ... પાકિઝા... હજી બીજી પચાસ ઉમેરો, તો ય શું ? આ કોલમની મહત્તા એ છત ઉપર જડેલી છે કે,રાત્રે સુતા સુતા ય છત પર ચોંટાડેલી ફિલ્મી યાદોને આ કોલમને સહારે વાંચી શકાય અને તે પણ વધારાની એવી માહિતી, જે અન્યત્ર ક્યાંય વાંચવા મળી ન હોય ! ફિલ્મો તો હતી ય મોટા ભાગે ફાલતું, પણ આપણે એ ફિલ્મોના કલાકારો વિશે એવી ઝીણી ઝીણી વિગતો લઈ આવીએ છીએ કે, જે જાણવી તમને ગમે. જે તે ફિલ્મ વિશે તો બહુ લખાય એવું હોતું પણ નથી, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલ વિગતો યાદ કરાવવાથી ઘણું બધું બીજું ય યાદ આવી જાય ! આવી ખણખોદ કરવામાં ખુદ મને ય કેટલીય અપ્રાપ્ય વિગતો મળી જાય છે, જે હું પહેલા નહોતો જાણતો. જેમ કે, આ ફિલ્મની હીરોઈન નાદીયા ફીયરલેસ કેમ કહેવાતી હતી, તેની મને ખબર નહોતી.

નામ તો જોન કાવસનું ય સાંભળ્યું હતું, પણ બસ... એટલું જ !'પણ પુસ્તકોના પ્રવાસો કરતા કરતા આવી અનેક હકીકતો મળી, જેને જાણવાની જરૂરત અફ કોર્સ હતી, પણ સાધનો નહોતા. એ ધોરણે પછી ખબર પડી કે ઠેઠ ઈ.સ. ૧૯૦૮માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં જન્મેલી આ મેરી ઈવાન્સ પાંચ જ વર્ષની હતી ત્યારે પપ્પા સાથે ભારત આવી હતી,

જ્યાં પપ્પાનું પોસ્ટિંગ યુદ્ધમાં હોવાથી એમને પિશાવર (હાલના પાકિસ્તાન) જવું પડેલું અને ત્યાં યુદ્ધમાં મૃત્યુ પામ્યા... (પાકિસ્તાન પાસેથી બીજી આશા ય શું રખાય ?) પહેલા વિશ્વયુદ્ધમાં ત્યાં એમને જર્મનોએ મારી નાંખ્યા હતા. પછી તો ૧૯૩૦-માં નાદીયા સર્કસમાં જોડાઈ (ઝાર્કો સર્કસ). એ જોઈને જમશેદ વાડીયા (જે બી એચ. વાડીયા)એ પોતાની વાડિયા મૂવિટોનની ફિલ્મોમાં કામ આપ્યું ને ત્યાં જમશેદના નાના ભાઈ હોમી સાથે નાદીયા વધુ પરિચયમાં આવી અને લગ્ન કર્યા. (આ બતાવે છે કે, સર્કસ જોવું કેટલું ખતરનાક છે... !)

આ ફિલ્મનું નામ 'જંગલ પ્રિન્સેસ'ચોક્કસ છે પણ મૂળ તો એમાં સર્કસના તમામ પ્રાણીઓનો રોલ નાદીયા કે જોન કાવસ કરતા ઘણો મોટો છે. હોલીવૂડમાં પહેલી ઈંગ્લિશ ફિલ્મ 'જંગલ પ્રિન્સેસ'ઈ.સ. ૧૯૨૦-માં આવી હતી અને બીજી ૧૯૩૬-માં, જેના પરથી આજની આ ફિલ્મ ઉતારવામાં આવી છે. તા. ૧૬મી માર્ચ, ૧૯૪૨-ના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. બોમ્બે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સ દ્વારા. એ વખતે સેન્સર બોર્ડ મુંબઈમાં હોવાથી નામ પણ એનું મળ્યું હતું.

ફિલ્મનું નામ તો હતું 'જંગલ પ્રિન્સેસ...'આગળ ધી (The) કે એ (A) જેવો કોઈ આર્ટિકલ નહિ, એટલે મને જંગલી પ્રિન્સેસ વંચાયું... (!)

પણ એ જમાનાની ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નાદીયા સહેજ પણ જંગલી લાગતી નહોતી. એનું અસલી નામ 'મેરી એન ઈવાન્સ', અથવા 'મેરી ઈવાન્સ વાડિયા'અથવા 'ફીયરલેસ નાદીયા'હતું. ફીયરલેસ એટલે કોઈ ડર કે ખૌફ વગરની અને એ સમયે એ જેવા સ્ટન્ટ સાથેની ફિલ્મો સહેજ પણ ડર્યા વિના કરતી હતી, એ ઉપરથી એના નામની આગળ આ વિશેષણ 'ફીયરલેસ'લાગી ગયું હતું.

જોન કાવસ પારસી બોડી-બિલ્ડર હતો અને 'મિસ્ટર ઈન્ડિયા'પણ બન્યો હતો. કાવસે નાદીયા સાથે ફિલ્મ 'હન્ટરવાલી'માં પહેલીવાર ફિલ્મપ્રવેશ કર્યો ને બન્નેની કારકિર્દી આ ફિલ્મથી બની ગઈ. ફિલ્મે ધૂમ કમાણી કરી અને આ બન્નેની જોડી કાયમી બની ગઈ.

ક્યારેક નાદીયા વગર જોન એકલો ટારઝનની ફિલ્મોમાં ચમકતો અને 'તૂફાની ટારઝન'સોલ્લિડ ધંધો કરાવી ગઈ. અલબત્ત, પ્રેક્ષકો તો આ બન્નેને સાથે જ જોવા માંગતા હતા એમાં ૧૯૪૨-માં બનેલી આ ફિલ્મ 'જંગલ પ્રિન્સેસ'માં નાદીયાના જાણિતા સ્ટન્ટ ઓછા જોવા મળ્યા પણ સર્કસના પાળેલા સિંહ-વાઘ વધુ જોવા મળ્યા, એમાં પ્રેક્ષકોને બહુ મઝા ન આવી.

એ વાત પાછી જુદી છે કે, નાદીયા પોતે આજુબાજુ ૭-૮ સિંહો વચ્ચે આરામથી બેસીને એમને ઉઠબેસ કરવાનું કહી શકતી, એ દર્શકો માટે નવું હતું અને કેમેરાની કોઈ ટ્રિક-બીક હશે, એવું સમજતા, પણ એટલું નહોતા સમજી શક્યા કે, સર્કસના પાળેલા જનાવરો વચ્ચે એવો કોઈ ખૌફ ન લાગે ! નાદીયા સિંહો ઉપર માથું રાખીને સુઈ જાય છે, એ જોવા પ્રેક્ષકોમાં શરતો લાગતી, એવું મારા સ્વર્ગસ્થ પિતાશ્રી કહેતા. કોઈ એમ પણ બોલતું કે, નાદીયાએ સિંહ ઉપર નહિ, એવા કલરના ગોદડાં ઉપર માથું રાખ્યું હોય ને એમાં પાછી શરતો લાગતી.

'જંગલ પ્રિન્સેસ'છે અને ફિલ્મની વાર્તા મુજબ, એ અર્થ જળવાય છે પણ ખરો. એક નાનકડા રાજ્યની એ રાજકુમારી તો છે જ, સાથે સાથે જંગલમાં જઈને એ પ્રાણીઓ અને આદિવાસીઓની પણ માનીતી બનીને રાજ કરે છે.

એનો પિતા (હરિ શિવદાસાણી) રાજા છે અને રાજાને એક રખાત (રાધારાની) છે, જે પોતે કાવતરૂંકરીને માલા (નાદીયા)ની મિલકત હડપવા માંગે છે, એમાં એને સાથ મળે છે, નાનપણમાં ખોવાયેલી નાદીયાને શોધીને એની મિલકત પચાવવા માંગતા મોહનલાલ (દલપત)નો પણ નાનપણમાં ખોવાઈ ગયેલી નાદીયાને શોધવા સોલિસિટર (જાલ ખંભાતા), જોન કાવસ અને મીઠ્ઠું મીયાં આ જંગલમાં નાદીયાના જાનવરો અને જાનવરો જેવા જ આદિવાસીઓ પાસે ફસાય છે.

રાજા તો આ બધાને ભૂખ્યા સિંહો પાસે મારી નંખાવવાનો હૂકમ કરે છે, પણ નાદીયા કાવસને બહાદુર ગણીને, જો એ વાઘ સાથે મારામારી કરીને જીતી જાય તો કાવસ અને એના સાથીઓને છોડી દેવાની તૈયારી બતાવે છે. કાવસ વાઘ સામે જીતી જાય છે, પણ મોહનલાલ અને મીના (રાધારાની)ના કાવતરાંમાં એ બધા ફસાઈ જાય છે ને છેવટે સત્યનો વિજય કરાવવા નાદીયા-જોનનો બુલંદીથી વિજય કરાવી અપાય છે.

ફિલ્મ તો ઠેઠ ૧૯૪૩-માં બની છે એટલે ટેકનિકની દ્રષ્ટિએ એ જમાનાની ફિલ્મો ફાલતું ધારી લેવાય, એવી આ ફાલતું નથી. વર્ષો પહેલા 'દૂરદર્શને'ફિલ્મની પટ્ટી રીવાઈઝ કરાવીને દર્શકો માટે રજુ કરી હતી, એ હિસાબે ફિલ્મ શેપિયા કલરની વધુ લાગે છે, પણ ફિલ્મનો કેમેરા આજના જેવો જ સક્ષમ ફર્યો છે.

ટ્રોલી-શોટ્સ એ જમાનામાં ય લેવાતા હતા, પણ કેમેરા ઝૂમ નહોતા થતા (કે આ લોકોએ કર્યા નહોતા !) પણ મુંબઈનું કાલાઘોડા ૧૯૪૩-માં કેવું લાગતું હશે, એ અહીં જોવા મળે છે. યાદ હોય તો અશોક કુમાર-કિશોર કુમાર-અનુપ કુમારની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના 'બાબુ સમઝો ઈશારે, હોરન પુકારે, પમપમપમ'ગીતનો પ્રારંભ આ કાલાઘોડા ઉપર થાય છે, એ વિસ્તાર આપણને ૪૩ની સાલનો જોવા મળે છે.

એક દર્દનાક વાત આ ફિલ્મના ગુજરાતી સંગીતકાર માધવલાલ માસ્ટર સાથે જોડાયેલી છે. અત્યંત ગરીબીને કારણે પાયમાલીમાં તો કાકા ગૂજરવાના જ હતા અને ઉંમર તો કોઈ ૮૫/૯૦ પછીની હશે... અને આટલી ઉંમરે ય કોઈએ એમનું ખૂન કરી નાંખ્યું. ખૂની કે ખૂનનું કારણ કદી પકડાયા નહિ. એ મુંબઈમાં આપણા ગુજરાતી પરાં ગીરગામમાં રહેતા હતા.

પોતાની ઉપર હસીને ખૂબ હસાવતા માધુકાકા ગરીબીને કારણે લૂગડાંની ઢીંગલીઓ બનાવીને ગૂજરાન ચલાવતા, એમનું આ ફિલ્મમાં સંગીત છે. યસ, એ વાત જુદી છે કે, એમના સંગીતમાં એટ લીસ્ટ આ ફિલ્મમાં તો કોઈ શકરવાર નહતો, પણ તમને તો ખબર છે, એ જમાનામાં-એટલે કે ૩૦ અને ૪૦-ના દશકોમાં એક ફિલ્મમાં બસ કોઈ... ૩૦-૪૦ ગીતો હોવા તો આમ વાત હતી. 'ઈન્દ્રસભા'નામની ફિલ્મમાં ૭૮-ગીતો હતા, એવું કોઈ માનશે ય નહિ.

આ ફિલ્મમાં ગુલશન સૂફી પોતે એક ગીત ગાવા આવે છે, જેનું પ્લેબેક પણ પોતે આપ્યું છે. આમ તમે એને નહિ ઓળખો, સિવાય કે સંગીતકાર વિનોદની ફિલ્મ 'સબ્ઝબાગ'ના સહસંગીતકાર તરીકે આ સૂફી હતો.

આશાના પણ ભક્ત હો તો આ ફિલ્મનું 'યાદ તોરી આઈ મૈં તો કબ તક રોઈ રે..'હતું. ફિલ્મ 'દરવાન'નું બીનાપાની મુકર્જીને કારણે ખૂબ જાણિતું થયેલું ગીત (મેં ઘણીવાર સાંભળ્યું છે) 'મૈં નાગિન હૂં...'નું સંગીત સૂફીએ આપ્યું હતું. એક જ દ્રષ્ય માટે ૬૦-ના દાયકાનો મોંઢે શીળીના ચાઠાંવાળો વિલન હબીબ દેખાઈ જાય છે.

પણ બબિતાના પિતાશ્રી અને રાજ કપૂરના સિંધી વેવાઈ હરિ શિવદાસાણી આટલા જૂનાં હશે, તે ઝાઝું માનવામાં ય ન આવે. અવાજ સિવાય તો એ ઓળખાય એવા પણ નથી, એટલા જુવાન આ ફિલ્મમાં હોવા છતાં રોલ તો એમણે હીરોઈનના પિતાનો જ કર્યો છે. આ છે, નઝીર હુસેન છે, મનમોહનકૃષ્ણ છે, નાના પળશીકર છે, લીલાબાઈ ચીટણીસ છે... એ બધા જન્મતી વખતે બુઢ્ઢાં જ જન્મ્યા હશે, એવું લાગે.

એવી જ રીતે, આ ફિલ્મની ખલનાયિકા બનતી એકટ્રેસ રાધારાની એ જમાનામાં બે હતી, પણ આ વાળી મોટા ભાગે હોમી વાડિયાની ફિલ્મોમાં વધુ ચમકી હતી. અવાજમાં ઠેકાણાં નહોતા, તો ય એ જમાના પ્રમાણે સેક્સી દેખાવને કારણે વેમ્પના રોલ અને ફિલ્મોમાં એક-બે ગીતો ગાવા મળી જતા. છેવટે જહૂર રાજા નામના એક્ટર સાથે પરણીને પાકિસ્તાન ભેગી થઈ ગઈ.

થોડી નવાઈ લાગે એટલી વાત એ છે કે, આ ફિલ્મ તો ઠેઠ ૪૩-માં બની હતી પણ ૭૦-ની સાલ સુધીની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાંથી મોટા ભાગની એક વારે ય જોઈ શકાય એવી નહોતી, ત્યારે નાદીયા-જોન કાવસની ફિલ્મો કમ-સે-કમ કંટાળો નહોતી આપતી.

ઍનકાઉન્ટર : 13-11-2016

$
0
0
* તમને શું લાગે છે, બધા તમને સવાલો કેમ પૂછતા હશે ?
- સૌથી અસરકારક જૂઠ્ઠું હું લખી શકું છું, એવો એમને દ્રઢ વિશ્વાસ !
(રાહુલ યાદવ, રાજુલા)

*
વગર વિચારે કયું કામ કરવું જોઇએ ?
- બોલો... બીજું કામ...?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* મુંબઇમાં તમારૂં પ્રવચન ક્યારે છે, તે જણાવશો ? મરતા પહેલા તમને સાંભળવાની-જોવાની ઇચ્છા છે.

- એવું હોય તો કાલે જ આવી જઉં.

(પ્રભાગ સોની, મુંબઇ)


* બિનસાંપ્રદાયિકતા એટલે શું ?
- જે હિંદુઓએ પાળવાની હોય છે એ.

(ડો. અમિત વૈદ્ય, ડેમાઇ-બાયડ)


* ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂરની જેમ તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાય તો શું કરો ?
- ઉફ્ફ... હવે ગુજરાતમાં માણસ મુખ્યમંત્રી ક્યાં જોવા મળે ? હવે તો પટેલ, બ્રાહ્મણ, જૈન, ઘાંચી, મુસલમાન કે વિચરતી જનજાતિમાંથી મુખ્યમંત્રી બનાવવા પડે.

(જયેશ જરીવાલા, સુરત)


* ભણવાનો મોટો ગેરફાયદો શું છે ?
- ધંધે વળગવું પડે છે.

(મિત ધામેલીયા, સુરત)


* કથાઓ સાંભળાય પછી ય શ્રોતાઓના સ્વભાવ સુધરતા કેમ નથી ?
- સળંગ ચાર કલાક બેસીને નીચે કાંકરા ખૂંચતા હોય, પછી ભલભલાના મોંઢા તરડાઈ જતા હોય છે !
(ભાસ્કરરાય એ. દવે, અમદાવાદ)


* માર્કેટમાં હવે છ-સાત ફ્લૅવરની પાણી-પુરી મળે છે...
- રાહ જુઓ. થોડા વખતમાં પતંજલી પાણીપુરી પણ મળશે.

(મીનલ કક્કડ, કુવાડવા-રાજકોટ)


* હાથીને એક હાથે કેવી રીતે ઉંચકવો ?
- ફોટો પાડીને ફોટો ઉંચકી લો.
(તરૂણ ગઢવી, અમદાવાદ)


* મારી મમ્મી કહે છે, હું બહુ આળસુ છું અને ગર્લફ્રેન્ડ કહે છે, હું સખ્ત મેહનતુ છું. કોનું માનું ?
- ગર્લફ્રેન્ડ તમારી પાસે કયા પ્રકારની 'સખ્ત મહેનત કરાવે છે, તે જોવું પડે !
(સિધ્ધાર્થ કનોજીયા, નિકોલ)


* મોદી સાહેબના ગયા પછી ગુજરાતને કોનું ગ્રહણ લાગ્યું છે ?
- મોદી સાહેબ હજી ગયા નથી...!

(પ્રતાપસિંહ ચાવડા, મહેસાણા)


* શું સાચા અર્થમાં સ્ત્રી સ્વતંત્ર વિચારસરણીવાળી બની શકી છે ?
- આ સવાલ કોઇએ તમને લખાવ્યો ?
(રૂચિ દલાલ, ભરૂચ)


* પોતાની જાનના જોખમે આપણું રક્ષણ કરતા ભારતીય જવાનો ઉપર પણ નેતાઓ છીછરૂં રાજકારણ ખેલી રહ્યા છે...

- એક વિકૃત જોક સાંભળેલી. આતંકવાદીઓએ ભારતની પાર્લામૅન્ટ ઉપર 'નિષ્ફળ'હુમલો કર્યો, એ ખોટું થયેલું !

(જયેશ કબુતરવાલા, સુરત)


* મારા સવાલનો જવાબ ન છપાય ત્યારે તમારૂં ઍનકાઉન્ટર કરવાનું મને મન કેમ થઇ જાય છે...?
- રોજ સવારે વહેલા ઉઠીને છ લોટા પાણી પી જવાનું રાખો. ઠીક થઇ જશે.

(રાધિકા મયૂર ઢોલા, ભાવનગર)


* પ્રભુ સાથે સંપર્ક કરવામાં વચ્ચે કોઈ પૂજારી કે ગુરૂની જરૂર પડે ખરી ?
- પ્રશ્ન પૂછવામાં પ્રભુ તમારૂં ઍડ્રેસ અને મોબાઈલ નંબર ન માંગતા હોય તો કોઈ જરૂર નથી.

(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


* તમને કેવો સવાલ પૂછીએ તો ગુસ્સો આવે ?
- મહાત્મા ગાંધી અને ભારત દેશ માટે સહેજ પણ આડું બોલાય ત્યારે !

(મયૂરી અર્જુનભાઈ રાઠોડ, પોરબંદર)


* હવે પછીની ચૂંટણીઓમાં તમારે ઊભા રહેવું જોઇએ. સુઉં કિયો છો ?
- હું તો સારો માણસ છું.

(કૃતાર્થ આઈ.વૈષ્ણવ, રાજકોટ)


* ગુજરાતમાં રાજકીય રોટલા શેકાતા બંધ ક્યારે થશે ?
- પ્રજાની દાળ ગળે ત્યારે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


* સારો ઍક્ટર કોને ગણવો ? ખરાબ કોને ગણવો ?
- એ તો સારા પ્રેક્ષકને ખબર !
(અ.રહેમાન બોગલ, ગોધરા)


* શું ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાનો સમય આવી ગયો છે ?
- મને... સાંજે... આઠ પછી... કોઈ... સવાલ ન પૂછવો !... (હેડકી)

(ભરત પટેલ, હિંમતનગર અને વિપુલ સોજીત્રા, અમરેલી)


* ગુજરાતીઓ હોટલમાં વૅઇટરો સાથે હિંદીમાં કેમ વાત કરે છે ?
- વૅઇટરો... ઇંગ્લિશ તો સમજતા હોય ને...?
(મૂકેશ નાયક, એથાણ-નવસારી)


* માણસ નડે એ સમજાય... ગ્રહો નડે એનું શું કરવું ?
- માણસવાળા નડવામાં શું કરવાનું હોય છે, તે પ્લીઝ કહેશો ?
(મધુરી જીમુલીયા, રાજકોટ)


* સાહેબ, તમે સૌથી વધારે કોને નમો છો ?
-ભારતીય તિરંગાને.
(લક્ષ્મણ આહિર, પાટણ)


* ભાભી તમને તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ હોટલમાંથી પકડી પાડે, તો બહાનું શું કાઢો ?
- એ કોની ભાભી છે, એ જોવું પડે !

(આબિદ ગગન, સુરત)


* બાયપાસ સર્જરી પહેલા અને પછીની આપની વિચારધારામાં કોઈ ફરક પડયો ?
- હવે કોઇને ઉધારે આપેલા પૈસા પહેલા પાછા માંગી લઉં છું !

(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

હું, ગાંધીજી અને મુગલ-એ-આઝમ

$
0
0
એક પુસ્તક તરીકે મેં મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો'મિનિમમ ૧૨-૧૩ વખત વાંચ્યું છે અને હજી સમય મળે, ત્યારે એ જ વાંચતો રહું છું. મને કાંઇ સમજણ પડતી નથી, માટે વારંવાર વાંચવું પડે છે, એવું નથી પણ જેટલી પડે છે, એમાં આનાથી વધુ અસરદાર પુસ્તક વિશ્વમાં બીજું કોઇ હોઇ શકે નહિ, એવી મારી માન્યતા દ્રઢ થતી જાય છે.

બાપુની આત્મકથા વધુ ને વધુ ગમવાનું બીજું કારણ એ પણ છે કે, બદલાતી ઉંમરોએ ફરી વાર વાંચતો જઉં છુ, એમ દર વખતે નવા અર્થઘટનો મળે છે અને આવું સુંદર પુસ્તક પસંદ કરવા બદલ હું પોતે ય 'અશોક દવે'નો ચાહક બની ગયો છું. (આ આજ સુધી, હું મારી જાતને લેખક તરીકે જ ઉમદા માનતો હતો...!)

મારા માટે, આમાં બીજી રીતે જોવા જઇએ તો ફિલ્મ 'મુગલ-એ-આઝમ'જેવું છે. આ ફિલ્મ પહેલી વાર ઇ.સ. ૧૯૬૦માં અમદાવાદમાં રીલિઝ થઇ (કૃષ્ણ અને નોવેલ્ટીમાં, એક સાથે) ત્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી, એ વખતે પપ્પાનો તમાચો ખાધા પછી જોઇ તો ખરી, પણ તો ય મને ખૂબ ગમી ગયેલી. (તમારા મધુભાભીની વાત નથી. એની વાત આ ચૅપ્ટરમાં નહિ આવે... અત્યારે સારી વાતો ચાલી રહી છે, પ્રેમલા-પ્રેમલીની નહિ!) મુહબ્બતને ખાતર શાહજાદા સલીમને તોપના ગોળાથી ઊડાડી દેવાનો હૂકમ શહેનશાહ અકબર આપે છે, એ મને બહુ ગમી ગયું અને હવે પછી મરવું તો કોઇ રીક્ષાની ટક્કર-બક્કરથી નહિ પણ સલિમની માફક તોપના ભડાકે મરવું, એવા વીરતાભર્યા વિચારો આવતા હતા. પણ એ વાતમાં ઝાઝો મેળ પડયો નહતો.

સલિમનો પ્રોબ્લેમ એ હતો કે શહેનશાહ-એટલે કે, એના ફાધર એને અનારકલી સાથે પરણવા દેતા નહોતા ને પરણવાની હઠ કરી તો સીધો તોપના નાળચે ઊભો કરી દીધો હતો. મારે સાવ સલિમ જેવું નહોતું. સલિમમારા કરતા વધારે દુ:ખી હતો. (અહીંના કર્યા અહીં જ ભોગવવાના હોય છે!) મારા ફાધર તો હું જે કોઇ અનારકલી કે કોઇ બી કલી લઇ આવું, એની સાથે પરણાવી દેવા તૈયાર હતા. મારા માટે એમણે કોઇ જ્ઞાતિ બાધ નહતો રાખ્યો... સ્ત્રી મનુષ્ય જાતિની જોઇએ, એટલી પૂર્વશરત એમણે રાખી હતી.

(
એમાં ય ક્યાં કોઇ મળતું'તું?.... કોઇ પંખો ચાલુ કરો!) મને યાદ છે, 'મુગલ-એ-આઝમ'માં સલિમ અનારકલીના મોંઢા ઉપર કબુતરનું પીંછું ફેરવે છે ને પેલી હસીહસીને ગલીપચીથી વાંકી વળી જવાને બદલે કમરનો દુખાવો થયો હોય એવી આડી પડી રહે છે, પણ મને એ હરગીઝ યાદ નથી કે મારા લગ્નના ૪૦-૪૦ વર્ષોમાં વાઇફે એકે ય વાર એના કે કોઇના બી મોંઢા ઉપર આવા પીંછા ફેરવવા દીધા હોય! આમાં આશાસ્પદ માણસો ક્યાંથી આગળ આવે?... હા, કોઇ એનાં મોંઢે  પીંછું ફેરવી ગયું હોય તો મને ખબર નથી!.

એ પછી મારી ઉંમર વધતી ગઇ અને રીપિટમાં આ ફિલ્મ જેટલી વાર આવે, એટલી વાર જોતો રહું, એમાં ય ઓછામાં ઓછી અત્યાર સુધીમાં ૨૦-૨૨ વખત જોવાઇ ગઇ છે... (ડીવીડી પર તો જોવી હોય એટલી વાર જોવાય ને?)

આ બન્ને મહાન ચીજો જેટલી વાર વાંચતો-જોતો ગયો છું, એટલી વાર મને નવા નવા અર્થઘટનો મળે ગયા છે. પહેલા જે જોયું-વાંચ્યું હોય, એ કદાચ બરોબર હોય તો પણ નવેસરથી જોવા-વાંચવામાં નવા અને અદભૂત અર્થઘટનો મળે.''ઓહ હો... આમાં તો આમ હતું... લે!''કોઇ ફિલ્મ કે કોઇ પુસ્તક, હજી સુધી તો આ બન્ને કૃતિઓથી મહાન મને લાગ્યા જ નથી.

એમાં બાપુની આત્મકથા હમણાં ફરીથી વાંચતા નવું પણ ખતરનાક અર્થઘટન મળ્યું. વાત બાપુની હોય, એટલે જીવનમાં ઉતારવી તો પડે જ! મેં ય પ્રયત્નો કર્યા....

હતું એવું કે, નાનપણમાં બાપુ એક ચુસ્ત વૈષ્ણવધર્મી હોવા છતાં દોસ્તોના ચઢાવવાથી (કે, માંસ ખાવાથી મજબુત બનાય છે અને પૌરૂષત્વ આવે છે), બાપુ માંસ ખાવાના રવાડે ચઢી ગયા.

બાપુએ કન્ટ્રોલ તો ખૂબ રાખ્યો, છતાં ક્યાંક ભરાઇ પડયા અને હા-ના હા-ના કરતા આખરે મટન ખાવા તૈયાર થઇ ગયા અને ખાધું પણ ખરૂં. જ્ઞાતિમાંથી બહાર મૂકાવા ઉપરાંત ઘેર મા-બાપના હૈયાં કેવા કચવાતા હશે, એનો ડર છતાં બાપુએ છાનુંમાનું પણ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. ભાવતું તો નહોતું, પણ શરીરને મજબુત બનાવવા આ એમને જરૂરી લાગ્યું!

હું તો બાપુનો પૂરો ભક્ત. એ કરે એ મારે કરવા જોઇએ જ... પણ એમના જેવી તાકાત તો જગતના કોઇ પુરૂષમાં નહોતી, ત્યાં હું તો એક સામાન્ય બાળક! (અત્યારની નહિ... પહેલાની વાત થાય છે! આઇ મીન, અત્યારની ગણો તો ય મારી બુધ્ધિપ્રતિભા વિશે તમારો મત બદલાય એવું લાગતું નથી!)

હું બ્રાહ્મણનો દીકરો એટલે માંસ-મચ્છીની લારી સામે ય ન જોવાય, સૂગ ચઢે એ જુદું! બાપુએ ક્યારેક ખાઇ લીધું હતું, એટલે મારે ય માંસ ખાવું, એવું તે કાંઇ ન હોય ને ? આપણે એમનું સારૂં લક્ષણ જોવું.

આરોગ્યશાસ્ત્રમાં દરેક દુષણના વિકલ્પો આપ્યા છે. હું માંસ-મચ્છી ભલે ન ખાઇ શકું, પણ શરાબમાં શો વાંધો ? શરાબ માંસ જેવી ખતરનાક નથી, એ પાછો હું જાણું અને દુષણ તો દુષણ, મહાત્મા ગાંધીએ પણ પ્રયોગ ખાતર એક દુષણ હાથમાં લીધું હતું, એટલે મને ય વાંધો નહિ આવે.

પણ ગુજરાતમાં રહીએ એટલે દારૂ તો ફોટામાં ય જોવા ન મળે. કહે છે કે, કોક પોલીસવાળો ઓળખીતો હોય તો એના ઘેરથી એકાદ બૉટલ મળી રહે... વ્યાજબી ભાવે!  પણ પોલીસના ગળામાં ઘંટ બાંધવા જાય કોણ? પૂછવું કેવી રીતે કે, ''જમાદાર... કોઇ વ્હિસ્કી-બિસ્કી પડી છે?''શરૂઆતથી જ મારા લક્ષણ સારા નહિ, એટલે કોઇ બુટલેગરને ઓળખું પણ નહિ,

એટલે બૉટલ લાવવી ક્યાંથીવળી, મારે કેવળ શરાબ પીવાની નહોતી, એ પીવા પાછળ મારો હેતુ પણ જનતાને જાહેર કરવાનો હતો કે, એવું તે શું દુ:ખ આવી પડયું કે, મારે શરાબને સહારે જવું પડયું? શું પ્રેમમાં મને કોઇ પ્રેમિકાએ (એક અથવા એકના ગુણાંકમાં) દગો કર્યો હતો? શું મારૂં ફૅમિલી દેવાના ડૂંગર નીચે દબાઇ ગયું હતું? શું હું ખરાબ દોસ્તોની સોબતે ચઢી ગયો હતો? શું હું ક્યારેય મટી ન શકે એવા કોઇ  રોગથી પીડાતો હતો?

તારી ભલી થાય ચમના... એવા કોઇ કારણો નહોતા, છતાં જાલીમ જમાનો કાલ ઊઠીને જવાબ માંગે તો કંઇક તો કહેવું ને? એટલે જવાબો તૈયાર રાખ્યા કે, મારે શરદીનો કોઠો રહે છે, એટલે ડૉક્ટરે થોડી થોડી બ્રાન્ડી લેવાનું કીધું છે! ખાલી બૉટલને ગળાથી પકડીને મોંઢું લૂછતાં લૂછતાં 'ગાંવવાલો'ને વાંકા પગે ઊભા ઊભા કહેવાનું હતું કે, પતંજલીનો કોઇ સીરપ કે મિનિસ્ટ્રોન સુપ-બુપ પીવાને બદલે શા માટે હું શરાબના સહારે ચઢી ગયો! થોડી વધુ રાહ જોઇ હોય તો પતંજલી-દેસી ય મળી જાત (એટલે કે, દેસી છાશ!)

માણસ દુ:ખમાં આવી પડે ત્યારે કપાળ ઉપર હાથનું ઊંધું કાંડુ અડાડીને દુ:ખદ ચેહરે બારણાને અડીને ઊભો રહી જતો નથી કે નથી કાળા રબ્બરનું ટાયર ચાવવા માંડતો, પણ હાથના એજ ઊંધા કાંડા વડે નીચલો હોઠ લૂછતા લૂછતા દારૂ પીવા માંડે છે. આની પાછળ કોઇ લૉજીક-ફૉજીક નથી કે, દુ:ખમાં દારૂ જ કેમ ને ગંઠોડાનો રસ કેમ નહિ? પત્ની રિસાઇને જતી રહી હોય તો, પહેલા તો એ દુ:ખ કહેવાય કે છુટકારો, એ આપણી ચર્ચાનો વિષય નથી,

છતાં જો એને દુ:ખ કહેવાતું હોય તો એનો ગોરધન ગ્લુકોઝની માફક દારૂના બાટલા ચઢાવવા માંડે, એના કરતા અઢીસો ઉઠબેસ કે પચાસ સૂર્યનમસ્કારો કેમ ન કરી શકે? પૂરજોશ ઝનૂની ગુસ્સો આવ્યો હોય તો શરાબના સહારે જવાને બદલે શા માટે વાઇફની જ કોઇ સુંદર સખી પાસે જઇને, એના ખભે માથું મૂકીને આપણી યાતનાઓ ન વર્ણવવી? દારૂ તો મોંઘો કેટલો છે, એ ખબર પડે છે? આ તો એક વાત થાય છે!

'
મુગલ-એ-આઝમ'૨૫-૨૬ વાર જોઇ લીધા પછી બોધ લીધો કે, પ્યાર કર્યા પછી ડરવાનું હોતું નથી. પ્યાર કરવો કોઇ ચોરી નથી અને કોઇ બંધ દુકાનની પછવાડે જઇને નિ:સાસા નાંખવા નહિ, સિવાય કે આપણા ફાધર પેલીને જીવતી ચણાવી દે એવા ક્રૂર હોય! (એવું હોય તો, એના ફાધર પાસે સ્ટૉકમાં બીજી દીકરીઓ પડી છે કે નહિ, તે જોઇ લેવું!) ખાસ તો એ શીખ મળી કે, હવે તો અમારા લગ્ન થઇ ગયે ૪૦-૪૦ વર્ષો થઇ ગયા છે, એટલે ઈશ્કમેં જીના, ઈશ્કમેં મરનાવાળી કરીને-જે થઇ ગયું એ થઇ ગયું-નો હસિન ઉકેલ લાવીને ડોસીના માથામાં ગુલાબનું ફૂલ ખોસી આપવું સારૂં. બીજી વખતે ધ્યાન રાખવાનું!

અને 'સત્યના પ્રયોગો'માંથી એ બોધ લીધો કે, પ્રયોગ કરવા ખાતરે ય દારૂ નહિ પીવો. સાચો માનવી એ છે, જે આવેલા દુ:ખો સામે ટક્કર ઝીલી લે. એમની સામે લડે, મર્દાનગીથી ઊભો રહે..... સિવાય કે કોઈ પીવડાવતું હોય તો બહુ નાઓ નહિ પાડવાની!

સિક્સર
પોતાની એક જાહેરસભાનું પહેલું જ વાક્ય, ''ધીસ મોર્નિંગ.... આઇ ગોટ અપ ઍટ નાઇટ''બોલનાર ''રાહુલ ગાંધી લગ્ન માટે તમને 'પ્રપોઝ'કરે તો તમારૂં પહેલું રીઍકશન શું હશે?''એવો સવાલ એક ટીવી ચૅનલવાળાએ મુંબઇની અનેક છોકરીઓને પૂછ્યો, એમાંથી એકની પણ 'હા'તો ન આવી, પણ બે-ચાર ઇન્ટરેસ્ટિંગ જવાબો છોકરીઓએ જરૂર આપ્યા  :

(
૧) હા પાડવા કરતા હું આપઘાત કરવાનું પસંદ કરીશ!
(
૨) (ટીવી-ઍન્કરને) 'તમારો 'આઇ-ક્યૂ'વધારો, પ્લીઝ!''
(
૩) 'રાહુલ, પહેલા જરા મોટો થા (ગ્રો અપ) અને તારી મમ્મીના ખોળામાંથી બહાર નીકળ!'
(
૪) અગર યે પ્રપોઝલ મુઝે નરેન્દ્ર મોદી સે મિલી હોતા, તો એક બાર મૈં સોચું ભી...લેકીન રાહુલ... એ બિગ 'નો'!
(
૫) બિલકુલ નહિ. એ આપણા દેશ માટે કશું કરી શકતો નથી તો અમારે માટે શું કરવાનો છે?
(
૬) પપ્પુ કભી પાસ નહિ હોગા...!

મરીન ડ્રાઈવ (૧૯૫૫)

$
0
0
ફિલ્મ  :  મરીન ડ્રાઈવ (૧૯૫૫)
નિર્માતા-નિર્દેશક  :  જી.પી.સિપ્પી
સંગીત     :  એન.દત્તા
ગીતકારો     :  સાહિર-કમર
રનિંગ ટાઈમ  :  ૧૪ રીલ્સ
કલાકારો  :  બીના રૉય,અજીત, જ્હોની વૉકર, કે.એન.સિંઘ, મોહના, રાજેન કપૂર, ખટાના, હરિ શિવદાસાણી, ઉમાદેવી, નમક, ગુલાબ, બંસી, મુસા અને રૂપમાલા  :  મહેમાન કલાકારો  :  અનવર હુસેન અને વિજય લક્ષ્મી.


ગીતો
૧.    અજી હમ ઔર તુમ હો સાથ સાથ...    આશા ભોંસલે
૨.    મૈં હૂં ફુલઝડી, તૂ હૈ શોલા...    આશા ભોંસલે
૩.    અપને ખયાલોં કો સમઝા દીજીયે...    લતા મંગેશકર
૪.    અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...    મુહમ્મદ રફી
૫.    મુહબ્બત યૂં ભી હોતી હૈ...    આશા ભોંસલે-મુહમ્મદ રફી
૬.    દિલ ભી મીટ જાયે તો ઉલ્ફત દિલ સે...    આશા ભોંસલે
૭.    રાત સુનસાન હૈ, જીંદગી વીરાન હૈ...    આશા ભોંસલે
૮.    કરમ કી ભીંખ માંગી, બતા અય આસમાં...    મુહમ્મદ રફી
ફક્ત પહેલા બે ગીત કમર જલાલાબાદી, બાકીના સાહિર લુધિયાનવી

જેણે સદીની સર્વોત્તમ સફળ ફિલ્મ 'શોલે'બનાવી, એ સિંધી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક જી.પી.સિપ્પી '૫૦ના દાયકામાં આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ'દ્વારા પહેલી વાર ફિલ્મ નિર્માતા દિગ્દર્શક બન્યા.

આની તો વાર્તા ય એમણે લખી. સાચું સિંધી નામ અટક તો હતા, ગોપાલદાસ પરમાનંદ સિપહમલાણી... આ નામ છે કે નિબંધ એ લોકો સમજી નહિ શકે, એ માટે લોકકલ્યાણાર્થે આટલું લાંબુ નામ ટુંકાવીને એમણે 'જી.પી.સિપ્પી'કરી નાંખ્યું. નિર્માતા તરીકે સિપ્પીએ એ સમયમાં થોડીઘણી સફળ/નિષ્ફળ ફિલ્મો બનાવી હતી.

જેમાં 'સઝા' ('તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે'), 'મરિન ડ્રાઈવ', ગુરૂદત્તવાળી ૧૨ 'ક્લોક, ભાઈ-બહેન, મિ. ઇન્ડિયા (આઇ.એસ.જોહર), બંધન (રાજેશ ખન્ના) અને બ્રહ્મચારી (શમ્મી કપૂર) મેરે સનમ, અંદાઝ, સીતા ઔર ગીતા, શાન,સાગર અને શોલે પછી બધી વગેરે વગેરેમાં આવે !'

'મરિન ડ્રાઈવ'ની વાર્તા કંઇક આવી હતી  :

દુનિયાભરનો કાતિલ બદમાશ કે.એન.સિંઘ એના કરોડપતિ સગા ભાઈ હરિ શિવદાસાણીને અગાસીમાંથી નીચે ફેંકી એટલા માટે દે છે કે, હરિભાઈની દીકરી બીના રૉયને પ્રેમમાં ફસાવી સિંઘનો સાથી ગુંડો અજીત બીનાને મારી નાંખે. પ્રેમમાં તો બન્ને પડી જાય છે, પણ અહીં વળી સાચો પ્રેમ થઇ જાય છે. ગુસ્સે થયેલા સિંઘને એક બાજુ એના લેણદારો ઉઘરાણીઓ કરે રાખે ને બીજી બાજુ, એનો બીજો સાથી સેઠ કરોડીમલ (ખટાના) ફિલ્મ બનાવવાની પાછળ બર્બાદ થવા નીકળેલા જ્હૉની વૉકરને ફસાવીને રૂ. ૨૫ હજાર પડાવી લે છે, જે જ્હૉનીભાઈ ટુનટુનને પરણવાનું પ્રોમિસ આપીને એની પાસેથી પચીસ હજાર પડાવે છે. એક વાતની કોઈને સમજ ન પડે કે, કે.એન.સિંઘ એના આસિસ્ટન્ટ ગુંડા અજીતને હીરોઇન બીના રાયના પ્રેમમાં પડીને એનું ખૂન કરવાની છુટક મજૂરીનું કામ સોંપે છે. સમજ એન પડે કે, પેલીને મારી જ નાંખવી છે, તો હીરોને એના પ્રેમમાં પાડવાની જરૂર જ ક્યાં છે ? સિંઘની બદમાશ આસિસ્ટન્ટ મોહના લેવાદેવા વગરની ફિલ્મમાં ચક્કરો મારતી રહે છે, એ જ રીતે એ જમાનાના નામી કલાકારો વિજયલક્ષ્મી અને અનવર હુસેન પણ મેહમાન કલાકારો તરીકે કોઈ કારણ વિનાના આંટો મારી જાય છે. અજીતને બીના રૉય સાથે પ્રેમ કરતા આવડે છે પણ ગીત ગાતા નથી આવડતું, એટલે દારૂ પીધો ન હોવા છતાં, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...'નામનું ગીત વગર લથડીયે ખાય છે. એ સમયની મોટા ભાગની ફિલ્મોનું કથાનક ક્લબ, જુગાર, ગુંડા અને કાળા કોટ, કાળા ચશ્મા અને ઓવરકોટવાળા વિલનોથી બનેલી હોવાથી સિપ્પીએ આ યુનિફોર્મ કે.એન.સિંઘને પણ પહેરાવ્યો છે. કોમળ કળી જેવી બીના રોય સાથે પ્રેમદ્રષ્યોમાં મોના કે સાથ સોનાવાળો લોયન અજીત દેખાય એટલે, ફેરારી કારમાં પચ્ચા રૂપિયાનું પેટ્રોલ નંખાવવા આવ્યો હોય એવું લાગે ! બીના રૉય પાસે બીજો વિકલ્પે ન હતો કે, અજીતને છોડી બીજા કોઈ વટદાર હીરો સાથે કામ કરવા જાય.

બીના રૉય ઉર્ફે કૃષ્ણા સરિન પ્રેમનાથની પત્ની હતી, એ બીનાનું નહિ પણ પ્રેમનાથનું ક્વૉલિફિકેશન ચોક્કસ ગણાય. જન્મે અટક સરિન અને પરણી પ્રેમનાથ મલ્હોત્રાને, તો પછી વચમાં આ 'રૉય'અટક ક્યાંથી આવી ? ૧૩મી જુલાઈ, ૧૯૩૧ના રોજ પાકિસ્તાનના લાહૌરમાં એ જન્મી હતી (મૃત્યુ  :  ૬ ડિસેમ્બર, ૨૦૦૯ મુંબઇ) ફિલ્મો જોઇન કરવા માટે બીનાને મહાત્મા ગાંધીનો એક સિધ્ધાંત કામમાં આવ્યો, ભૂખ હડતાલનો. એના મમ્મી-પાપા ફિલ્મોની વિરૂધ્ધમાં હતા અને આ છોકરીને પોતાની સુંદરતા ઉપર પૂરો ગર્વ કે, હીરોઇન ન શું બનાય ? બનીને બતાવું ! એના જન્મ પછી કૌમી તોફાનોને કારણે પાકિસ્તાન છોડીને ભારતના કાનપુરમાં વસેલા બીનાના પરિવારે ઇન્કાર કરતા બીના ભૂખ હડતાલ પર ઉતરી ગઈ.જોવાની ખૂબી નહિ, ખામી એ છે કે, બીના રૉયે જેની સાથે પ્રેમમાં પડીને લગ્ન કર્યા તે પ્રેમનાથ સાથેની તેની બધી ફિલ્મો શગૂફા, બાદલ, ચંગેઝખાન, ઔરત અને ગોલકોંડા કા કૈદી ટિકીટબારી ઉપર બુરી રીતે પિટાઈ ગઈપણ પ્રદીપકુમાર સાથેની ત્રણ ફિલ્મો અનારકલી, તાજમહલ અને ઘુંઘટ સુપરહિટ થઇ, જેમાં ઘૂંઘટ માટે તો તેને બેસ્ટ ઍકટ્રેસનો ફિલ્મફૅર એવોર્ડ પણ મળ્યો. દુ:ખ ગણવું હોય તો એ વાતનું ગણી શકાય કે, ૧૯૬૦ની ફિલ્મો માટે બીના રૉયને ફિલ્મ 'ઘૂંઘટ'માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો પણ સાચું પૂછો તો આ ઍવોર્ડ ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ની અનારકલી એટલે કે મધુબાલાને મળવો જોઇતો હતો.

થોડા ઊંચા ય થઇ જવાય, અભિનેત્રી શ્યામાની એ વાત સાંભળીને કે, ભલે લોકો મધુબાલાને સર્વોત્તમ સુંદરી કહેતા હોય, પણ મારી જેમ મારા સમયની અનેક અભિનેત્રીઓ બીના રૉયને સંપૂર્ણ સુંદર સ્ત્રી ગણાવી છે. એ વાતે ય માન્ય રાખીએ, તો હજી એક આ ઘાત લાગવાનો બાકી છે. એ વખતે 'ફિલ્મફેર'જેવા કોઈ મૅગેઝિને એ સમયની સૌથી સુંદર અભિનેત્રીની પસંદગી કરવા માટે વાચકો પાસે મત મંગાવ્યા હતા. નવાઈ લાગી શકે પણ વાચકોએ મધુબાલા, વૈજયંતિમાલા, નરગીસ, માલા સિન્હા, નિમ્મી, બેગમ પારા, નિગાર સુલતાના, નૂતન કે આશા પારેખને બાજુ પર મુકીને નલિની જયવંતને સર્વોત્તમ સુંદરી જાહેર કરી હતી. ... વાચક તરીકે આપણે તો એટલું જાણીએ કે, આપણને તો ત્રણેય પસંદ હતી. કોઈ ઝગડો ન જોઇએ !

થોડું વધુ ખેંચ્યું હોત તો મોટા ભાગની ફિલ્મોમાં પોલીસ-ઇન્સ્પૅકટરના રોલ કરીને ગીનેસ બૂક ઓફ રેકોર્ડર્સમાં નામ અંકિત કરાવનાર જગદિશરાજનો રૅકોર્ડ રાજન કપૂર નામના કલાકારે તોડયો હોત. એ સમયની મોટા ભાગની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં આ રાજન કપૂર યા તો પોલીસવાળો બન્યો હોય ને યા તો ગુંડો ! ફિલ્મવાળાઓને પોલીસ કરતા ગુંડા મવાલીઓની વધારે જરૂરત હોવાથી રાજન પાસે ગુંડાના રોલ વધુ આવવા મંડયા એમાં એ રેકોર્ડ કરી ન શક્યો.

અજીત (જન્મ તા. ૨૭ જાન્યુઆરી, ૧૯૨૨  :  ગોલકોન્ડા - મૃત્યુ તા. ૨૨ ઓક્ટોબર, ૧૯૯૮) ફિલ્મોમાં આવ્યો ત્યારે પોતાના અસલી નામ હમીદઅલી ખાનથી ઓળખાતો હતો. હીરોમાંથી વિલન બનેલા અજીતે પહેલા લગ્ન ફ્રેન્ચ છોકરી ગ્વૅન ડી'મોન્ટી સાથે કર્યા હતા, પણ તેનાથી કોઈ સંતાન ન હોવાથી બીજા લગ્ન શાહિદાઅલી ખાન સાથે કર્યા (જે ઇ.સ. ૨૦૧૨માં મૃત્યુ પામ્યા) અને એના ત્રણ પુત્રો શાહિદ, શેહઝાદ અને અરબાઝઅલી ખાન છે.

કે.એન.સિંઘની સાઇડકિક બનતી ઍકટ્રેસ મોહના એ સમયની ઘણી ફિલ્મોમાં આવો જ બિંદુ જેવો રોલ કરતી. ડાયરેકટર એને સિગારેટ પીવા આપે ખરા, પણ બેનને સિગારેટ પકડતા ય આવડે નહિ, એ દેખાઈ જાય. કે.એન.સિંઘે ફિલ્મી પરદા ઉપર બધું મળીને જેટલી સિગારેટો પધી હશે, એ ન પીધી હોત તો, એટલા જ પૈસામાંથી મુંબઇનો એ જ મરિન ડ્રાઇવ વિસ્તાર આખેઆખો ખરીદી શક્યો હોત ! એક વાર તો ભર એપ્રિલ મહિનામાં મુંબઇનું આકાશ વાદળોથી ભરાઈ ગયું હતું ને લોકો સમજ્યા કે, 'એપ્રિલમાં વરસાદ...???'પછી ખબર પડી કે, સિંઘ સાહેબ શૂટિંગ કરી રહ્યા છે.

એ જે હોય તે, એ વાત ક્લિયર છે કે, એ જમાનાની ફિલ્મોમાં કોઈ ક્લબ-હોટેલનો બોસ કે.એન.સિંઘ પરફૅક્ટ લાગતો. સરસ મઝાના સ્ટિચ કરેલા શૂટ અને બો-ટાઈવાળા સફેદ શર્ટ ઉપરાંત ક્યારેય સખણી ન રહેતી અને છટપટી આંખો દર્શકોમાં ધાર્યો ખૌફ પેદા કરી શક્તી. એ સિગારેટના ગૂંચળા કાઢે જાય, ને સિનેમામાં બેઠા દાઝો આપણને ચઢતી જાય ! કે.એલ.સાયગલની ફિલ્મોમાં કામ કરી જનાર આ ચરીત્ર અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો જીગરી દોસ્ત હતો. બન્ને માટુંગાના કિંગસર્કલ વિસ્તારમાં સાથે રહેતા.

સાહિર લુધિયાનવીના કેસમાં તો એવું જવલ્લે જ બન્યું છે કે, જે ફિલ્મનો ગીતકાર એ હોય ત્યાં બીજા કોઇને આવવા ન દે, પણ અહીં કમર જલાલાબાદીને બે ગીતો મળ્યા છે. નામ પરથી મુસ્લિમ શાયર હોવાનું લાગે પણ કમર જલાલાબાદીનું સાચું નામ ઓમપ્રકાશ ભંડારી હતું. સાહિર સાથે હોવાનું કમરને તો નુકસાન જ થયું છે કે, આશા ભોંસલેએ ગાયેલા આ ફિલમના પહેલા કેબરે-સોંગના વાહિયાત શબ્દો વાંચો  :  'અજી તુમ ઔર હમ, હો સાથ સાથ ઔર મસ્ત રાત, દુનિયા કો માર દો બમ...'તારી ભલી થાય ચમના... પેલા બન્ને રાતભર સાથે રહે, એમાં આખી દુનિયાને બોમ્બથી ઉડાવી દેવાનો તને ખ્યાલ શેનો આવ્યો ? ફિલ્મમાં તો આ ડાન્સ હૅલન કે કક્કુ-બક્કુ નહિ, રૂપમાલા કરે છે. આ એ જમાનો હતો જ્યારે મોટા ભાગના ક્લબ-સોંગ્સ ગીતા દત્તને ગાવા મળતા. પણ એક વાર આશા ભોંસલે આવી, એવી જ છવાઈ ગઈ ને ગીતાના બધા ક્લબ-સોંગ્સ આશા લઇ ગઇ ! અલબત્તકમર જલાલાબાદી અંગત જીતનમાં... યાદ હોય તો એક જમાનામાં મહર્ષિ મહેશયોગીનું Transendental Meditation વિશ્વભરમાં વિખ્યાત થયું હતુ, તેના એ પ્રખર હિમાયતી હતા. આ લાગણીસભર શાયરની સગી બેનને લગ્નજીવનનું કોઈ દુ:ખ હશે, તો મુંબઇના ખારમાં પોતાનો આખો બંગલો બેનને ભેટ આપીને પોતે પત્ની લીલાવતી અને સાત દીકરીઓને લઇને જુહુમાં અત્યંત સાદા મકાનમાં રહેવા જતા રહ્યા.

ફિલ્મના સંગીતકાર એન.દત્તા ઉપર ચોક્કસ દયા ઉપજે. ખૂબ સારો સંગીતકાર અને એના ગોડાઉનમાં એક પછી એક ચઢે એવી કેવી સૂરિલી ફિલ્મો, છતાં ફિલ્મોમાં ચાર પૈસા ય ન કમાયા અને ગરીબીમાં ગુજરી ગયા ! દેવ આનંદની ફિલ્મ 'મિલાપ'માં પહેલી વાર સંગીત આપનાર ગોવાના આ સંગીતકાર દત્તા નાઇક (ગુજરાતી 'નાયકો'... 'નાઇક'છે... નાઇકો અને નાયકો જુદા ! અલબત્ત, બન્નેનો અર્થ તો એ જ થાય  :  લીડર) 'મિલાપ'માં હેમંત-ગીતાનું 'યે બહારોં કા સમા,ચાંદ તારોં કા સમા, ખો ન જાયે'જામ્યું, એમાં આજની આ ફિલ્મ 'મરિન ડ્રાઈવ'મળી. આખી ફિલ્મમાંથી એક મુહમ્મદ રફીનું જ ગીત, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં'કેવળ રફીના જીગરી ચાહકો પૂરતું ઉપડયું, પણ એટલું નહિ, જેટલું ફિલ્મ 'ચંદ્રકાંતા'નું, 'મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝકો રાતોં કી સિયાહી કે સિવા કુછ ના મિલા...'ઉપડયું. એક ગુન્હો માફ થાય એવો નથી દત્તા નાઇકનો કે ફિલ્મ 'મોહિની' ('૫૭)માં 'ક્યા ક્યા ન સહે તુમને સિતમ મહેલોં કી રાની...'ઉપરથી બેઠ્ઠી પોતાની જ ચોરી કરીને એક્ઝેક્ટ એ જ ગીત ફિલ્મ 'ધૂલ કા ફૂલ'માં, 'તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા...'બનાવ્યું, તો સાથે સાથે રફી-લતાનું એક ડયૂઍટ 'મૈં તુમ્હી સેપૂછતી હૂં, મુઝે તુમસે એ પ્યાર ક્યૂં હૈ'પણ દત્તાએ જ ફિલ્મ 'બ્લેક કૅટ'માટે બનાવ્યું, જે ફિલ્મના પરદા ઉપર મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ હીરો બલરાજ સાહની માટે ગાય છે. દત્તાના અન્ય તો અનેક કમ્પોઝીશન્સ સર આંખો પર, પણ આમ મહેન્દ્ર કપૂરનો કોઈ ભાવ પણ ન પૂછે, પરંતુ યશ ચોપરાની ફિલ્મ 'ધર્મપુત્ર'માં શશી કપૂર ઉપર ફિલ્માયેલા બે ગીતો મહેન્દ્ર કપૂરે લાઈફ-ટાઈમ બેસ્ટ ગાઈ નાંખ્યા છે, 'ભૂલ સક્તા હૈ ભલા કૌન યે પ્યારી આંખે'અને 'આજ કી રાત નહિ શિકવે શિકાયત કે લિયે'ઍટ લીસ્ટ, મારા તો બહુ ફૅવરિટ છે. કિશોર કુમાર-આશા ભોંસલેનું ફિલ્મ 'જાલસાઝ'માં 'પ્યાર કા જહાં હો, છોટા સા મકાં હો, જીસમેં રહે હમ...'મધુરૂં છે. ગોવાએ અદ્ભુત સંગીતકારો આપ્યા છે, દત્તારામ (શંકર-જયકિશન ફૅઇમ) ઍન્થની ગોન્સાલવીસ, રોબર્ટ કોરીયો અને કેટલા બધા ! એમાંના એક આ એન.દત્તા પણ ગરીબી અને પાઈપાઈના મોહતાજ થઇને ગુજરી ગયા.

એક અચરજ કરવું હોય તો થાય એવું છે કે, વિશ્વવિખ્યાત ફીલહાર્મોનિક ઓરકેસ્ટ્રા સંચાલક રિચર્ડ વાગ્નરની ધૂનોની એન.દત્તાએ આ ફિલ્મમાં સીધી ઉઠાંતરી કરી છે... પોતાનું કાંઈ પણ ઉમેર્યા વગર !

ફિલ્મ કે.એન.સિંઘનો એક મળતીયો લાલા કિરોડીમલ આવે છે, એને ઇન્ટરનૅટવાળાઓ પણ ફિલ્મ શ્રી ૪૨૦નો સેઠ નેમો સમજી બેઠા છે, હકીકતમાં એ જાડીયો 'કઠાના'છે. ઘણી ફિલ્મોના ટાઈટલ્સમાં એનું નામ 'ખટાના'પણ લખાય છે. મોટા ભાગે મારવાડી કંજૂસ સેઠીયાના રોલમાં એ હોય !

ઘણી મહેનત અને લાંબા વિચારો કર્યા પછી એ નક્કી થઇ શક્તું નથી કે, આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ'જોવા માટે તમને કયા ગ્રાઉન્ડ ઉપર ભલામણ કરવી ?

ઍનકાઉન્ટર : 20/11/2016

$
0
0
* પ્રભુ શ્રીરામ ૧૪-વર્ષના વનવાસે ગયા ત્યારે એમના પત્ની સીતાજીને પણ સાથે લેતાં ગયા, પણ લક્ષ્મણે એમના પત્નીને સાથે ન લીધા?
-
 લક્ષ્મણજી આપણા જેવા ગોરધન નહોતા!
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* તમારૂં નામ 'અશોક'જ રાખવાનું કારણ શું?
-
 અમારા ફેમિલીમાં પહેલીથી જ, સંસારનુ શ્રેષ્ઠ નામ જ પાડવાની હોબી છે.
(
ધર્મેશ કાચરીયા, સુરત)

* માથામાં તેલ નાંખવા બાબતે તમે કેમ વિરૂદ્ધમાં છો?
-
 જે લોકો માથું ચીકણું કરે છે, એ એમને પોતાને જોવું પડતું નથી, આપણે જોવું પડે છે!
(
ધરતી ભટ્ટ- ઠાકર, પરખડી- વડગામ)

* કાશ્મિરની આગને હોલવવા શું કરવું જોઇએ?
-
 ભારતીય લશ્કરે સાદા ડ્રેસમાં એક જ વખત દસ-પંદરને પાડી દેવાના હોય... બાકીના બધા કાયમ માટે ઘર ભેગા થઇ જશે.
(
અપર્ણા બી. દેસાઇ, નાલાસોપારા)

* તમારા લેખોમાં 'સુઉં કિયો છો?'શબ્દો ઘણી વાર આવે છે.. કારણ?
-
 ઉંમર થાય, એટલે એના લક્ષણો તો દેખાવાના!
(
જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

* ઝાકીર નાઇક જેવા દેશદ્રોહી સાથે શું કરવું જોઇએ?
-
 નીગ્લેક્ટ.
(
મધુકર મહેતા, વિસનગર)

* અમારી કોલેજમાં પ્રવેશોત્સવ યોજાવાનો છે. ડિમ્પલ મેમ ચીફ ગેસ્ટ તરીકે પધારે, એવું કંઇક કરો ને!
-
 એ કદી એકલા નથી જતા!
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

* હું મારી બેન્કની જોબથી હવે કંટાળી ગયો છું. કહો ને, શું કરવું?
-
 બેન્કનું પાકે પાયે 'કરી નાંખ્યા'વિના તમને કંટાળો જ નહિ, ઊંઘો ય નહિ આવે!
(
યુવરાજસિંહ રાઠોડ, સુરેન્દ્રનગર)

* તમારા બા બહુ ખીજાય અને દયાને એની બા દેખાય નહિ.. ઉપાય શું?
-
 દયાની બા દેખાશે તો મારી બા ખીજાશે, એ પહેલેથી કહી દઉં છું.
(
રોહીણી ધાબલીયા, મુંબઇ)

* તમે કદી ઓનલાઇન શોપિંગ કર્યું છે?
-
 અમારા વખતમાં જાતે જ લગ્ન કરવા પડતા... વાઇફો 'ઓનલાઇન'કે 'આઉટલાઇન'નહોતી મળતી.
(
યામિની ઝાલા, જામનગર)

* હજી કેટલા ભારતીયોના ભોગ લેવાયા પછી કાશ્મિરનો ઉકેલ આવશે?
-
 આપણી કોંગ્રેસ કે બાકીના ફાલતું પક્ષો, કમસેકમ દેશભક્તિના મામલે એક હોવા જોઇએ, એને બદલે આમાં ય છીછરૂં રાજકારણ રમે છે. એકેય રાજકારણીમાં દેશભક્તિ જેવું ય કાંઇ દેખાય છે? કેજરીવાલ  કે સોનિયા કે માયાવતી એક પણ વખત આપણા દુશ્મન પાકિસ્તાન વિરૂદ્ધમાં બોલે છે?'
(
જય કે. દેસાઇ, તેજલાવ- નવસારી)

* અમદાવાદમાં નોકરી કરવા શું કરવું જોઇએ?
-
 પોતાની શૈક્ષણિક લાયકાત ઉપર સહેજ પણ વિશ્વાસ ન રાખવો જોઇએ.
(
ધર્મેશ પટેલ, અમદાવાદ)

* હવેથી સવાલોના જવાબો હું આપું તો કેવું લાગશે?
-
 હું સવાલોના જવાબો આપવા ઉપરાંત પણ બીજા અનેક કામો કરૂં છું...
(
રૂહી પટેલ, ભાવનગર)

* તમારા પત્ની સવાલ પૂછે ત્યારે એમની પાસે ય મોબાઇલ નંબર અને સરનામું માંગો છો?
-
 એ કદી સવાલો પૂછતી નથી.. જવાબ કાયમ માંગે છે!
(
કૌશલ મેતલીયા, ભાવનગર)

* ગુજરાતમાં માવા-મસાલા- તમાકુ બંધ થઇ જાય તો?
-
 ભગવાન કરે, કોઇ તમાકુ ન ખાય, પીએ, સુંઘે કે રાખે!
(
વાસુ શેરઠીયા, કલાના-ધોરાજી)

* ગુજરાતી ફિલ્મો વિશે તમારે શું કહેવું છે?
-
અભિષેક જૈને ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય નવેસરથી લખી આપ્યું છે અને હવે એ ભવિષ્ય સમૃદ્ધ લાગે છે.
(
મયંક મંગુકીયા, હનુભાના-ઉમરાળા)

* જો તમને કેજરીવાલને મળવાનો મોકો મળે તો શું ગિફ્ટ આપો?
-
 હું જેને ને તેને મળતો નથી.
(
ઋષિ વૈષ્ણવ, જામનગર)

* પત્નીની ફરિયાદ છે કે, લગ્નના બે વર્ષ પછી તમે પહેલા જેવા નથી રહ્યાં! શું કરવું?
-
 આમાં કાંઇક કરવા જશો તો અત્યારે છો, એવા ય નહિ રહો!
(
રોનક એ. શાહ, ભરૂચ)

* ખરા જન્માક્ષર તો સાસુ-વહુના મેળવવા જોઇએ.. સુઉં કિયો છો?
-
 હા, પણ એ બંનેને બનતું હોય ને આપણે બાજુવાળી સાથે વધારે બનતું હોય તો કાંઇ નવા જન્માક્ષરો મેળવાય છે? આ તો એક વાત થાય છે!
(
ધવલ જે. સોની, ગોધરા)

* એક મિત્ર રાષ્ટ્રવાદને બદલે જ્ઞાતિવાદને વધુ મહત્વ આપે છે, તો શું કરવું?
-
 પોરબંદરમાં મિત્રો ઓછા મળે છે?
(
જયદીપ જોશી, પોરબંદર)

* કહે છે કે, સની લિયોની રાષ્ટ્રગીત ગાવાની છે...
-
'ગાવાની છે', એમ ન કહો.. કાયમ ગાય છે. એનો વ્યવસાય ગમે તે હો, એનાથી એ રાષ્ટ્રભક્તિ ઓછી થતી નથી.
(
શેમલ પી. દવે, રાજકોટ)

* દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત, તો આપણા દોસ્તનો દોસ્ત શું?
-
તમે બંને દોસ્તી-ફોસ્તી રહેવા જ દો..!
(
રાજ અને ઉર્વિશ પટેલ, ગાંધીનગર)

* તમારા જવાબો વાંચીને મન હલકું થાય છે. તમે પોતે મન હલકું કરવાં શું કરો છો?
-
 જવાબો આપું છું.
(
હર્ષિત મજીઠીયા, રાજકોટ)

* છાપાઓમાં ફિલ્મી હીરોઇનોના ફોટા આવે છે. કવિ - લેખકોના ક્યારે આવશે?
-
 હીરોઇનો ગઝલ- કવિતાઓ લખતી થશે ત્યારે.
(
રોહીત કે. દરજી, હિંમતનગર)

હું તમને જ ફોન કરવાનો હતો..!

$
0
0
ગરમ કાચ થીજી જાય એવા મનમાં આપણે સમસમી જઇએ કે, સાલો નરદમ જુઠ્ઠું બોલી રહ્યો છે ને છતાં ય એનું જુઠ્ઠું ચલાવી લેવું પડે, એ પરિસ્થિતિને HTPKH એટલે કે ગુજરાતી ભાષામાં, 'હું તમને ફોન કરવાનો જ હતો..!'કહે છે. કામ એનું આપણે પતાવી આપવાનું હોય અથવા નૈતિક રીતે ફોન એણે આપણને કરવાનો હોય, ત્યારે એના ફોનની ખૂબ રાહ જોયા છતાં ફોન ન આવે ત્યારે દોસ્તીને દાવે આપણે સામેથી ફોન લગાવીએ ત્યારે એ સાવ ખોટું હસતા હસતા HTPKH કહી દે ને બધું જાણવા/સમજતા છતાં મોંઢું લાલ રાખીને એનું જુઠ્ઠાણું આપણે ચલાવી લેવું પડે છે. એને ય ખબર છે કે, એ જુઠ્ઠું બોલી રહ્યો છે એની તમને ખબર છે, છતાં મનમાં સમસમી જઇને મોંઢા પરાણે હસતા રાખીને સ્વીકારી લેવું પડે છે, કે એ તમને મામુ બનાવી ગયો ને તમે જોતા રહી ગયા ! તમને એવું પણ હોય કે, એક ફોનના ખર્ચામાં શું લૂંટાઇ જવાનું છે ! એકાદ રૂપીયાના ખર્ચા માટે ય આ માણસ જુઠ્ઠું બોલી રહ્યો છે ?

આ મોબાઈલ ફોનો આવ્યા પહેલા ઘરમાં જે લૅન્ડ-લાઇન ફોનો હતા, તેમાં એક ફોનના કોઇ પંદર પૈસા થતા હતા અને આજે સૅલફોન ઉપર એક રૂપીયાથી વધારે નહિ થતા હોય, (અને આપણો સરેરાશ ખર્ચો જોતા, આ રકમ ભિખારી બનાવી દે એટલી મોટી ન કહેવાય !... સુઉં કિયો છો ?) છતાં કરોડપતિ લોકો ય બેશરમીથી આવું જુઠ્ઠું બોલવામાં શરમ રાખતા નથી. એમને બધી બચત કે કરકસરો મોબાઈલના બિલમાં જ કરવાની હોય છે. એમાં મોટા ભાગના વળી નવું શીખી લાવ્યા છે કે, તમને ફોન કરીને એકાદ ઘંટડીમાં-તમે ઉપાડો એ પહેલા જ મૂકી દે. તમે મોબાઈલના સ્ક્રીન પર વાંચી શકો છો કે, પરવિણભ'ઇનો ફોન છે...

કપાઇ ગયો લાગે છે એટલે બીજું કાંઇ વિચાર્યા વિના સામેથી તમે એમને ફોન જોડો છો ને બસ... એટલું જ તેમને જોઇતું હોય ! તમે એ કરો એની સાથે જ ભારે ઉત્સાહમાં પહેલું વાક્ય એ HTPKH નું બોલે ! આમાં કોઇ શું કામ ખોટું બોલે, એવું માનીને તમે આ ઘટનાને મહત્વ જ ન આપો... સિવાય કે, આ જ ભાઇ અથવા અનેક ભાઇઓ સાથે તમને HTPKH ના અનુભવો થાય ! અજાણતામાં એમની બાયોગ્રાફી વિશે વધુ વાંચવા/જાણવામાં આવે ત્યારે એ પણ ખબર પડે કે, એ તો સામે ચાલીને તમને ફોન કરશે જ નહિ અથવા ફોનની પહેલી રિંગ મારીને મૂકી જ દેશે.

આ દિવાળી ગઇ, એ વખતે મેં 'વૉટ્સઍપીયાઓ'માટે લેખ લખ્યો હતો કે, મફતમાં મોકલાતા 'હૅપી દિવાલી'કે 'હૅપી ન્યુ યર'ના મૅસેજો મને ના મોકલતા. હું વૉટ્સઍપ ખોલવાનો ય નથી. મને શુભેચ્છા આપવી જ હોય તો એક ફોનનો ખર્ચો કરો ને રૂબરૂ વાત કરો...!

મતલબ તો એવો નીકળ્યો કે, કાં તો મારી કૉલમ કોઇ વાંચતું નહિ હોય ને કાં તો, 'ઈ તો કિયે હવે'ના જોર પર બધાએ 'હૅપી દિવાલી'ના ગોળ ચકરડાવાળા વૉટ્સઍપ મૅસેજો જ મોકલ્યા ! હું અનેકવાર વૉટ્સઍપમાં જ લખી ચૂકયો છું કે, કેવળ પર્સનલ મૅસેજ જ હું વાંચીશ.... ફૉરવર્ડેડ મૅસેજો મને મોકલતા જ નહિ ! હું રાજી થવાનો નથી અને મને રાજી રાખવાનું તમારી જીંદગીનું ધ્યેય પણ નથી. વૉટ્સઍપનું ફૉલ્ડર ખોલીએ, એટલે કોકના ૭૨ કોકના ૧૭ તો કોકના આઠ મૅસેજો આપણે હજી ખોલવાના બાકી હોય. તમારા જેટલું મારૂં છટકી ગયું નથી, એટલે હું તો એકે ય મૅસેજ ખોલું પણ નહિ ! એક તો વૉટ્સઍપ ખોલવાનું, પછી જે તે આવેલા મૅસેજવાળી પાર્ટીનું ફૉલ્ડર ખોલવાનું, કૂંડાળામાં લલવાએ શું મોકલ્યું છે, એની ખબર ન હોય એટલે ખોલવું તો પડે જ. એ ખોલવામાં મોબાઇલસામે જોતા રહીને મિનિમમ આઠ-દસ સેકન્ડ જોયે રાખો પછી ખુલે ને કાળી ચૌદશે ચાર રસ્તે પાણીનું ગોળ કૂંડાળું કરીને વચ્ચે વડું મૂક્યું હોય, એવું કૂંડાળું ખુલે, જેમાં લખ્યું હોય, 'જયશ્રી કૃષ્ણ'.....

તારી ભલી થાય ચમના, આટલા જે શી ક્રસ્ણના બદલામાં મેં તને માં-બેનની કેટલી ગાળો ચોપડાવી, એનો તને થોડો ય અંદાજ છે ? વળી, આપણે ચુસ્ત જૈન ધર્મ પાળતા હોઇએ ને વાંચવાનું આવે 'જયશ્રી કૃષ્ણ'એટલે જૈનોમાં જેનો બાધ છે, એવી કેટલી બધી ગાળો સાળાને મનમાં આપી દઈએ ? (હું ખોટો હોઉં, તો મને રોકવો... હું ગુસ્સામાં છું...! - ગુસ્સો પૂરો) વૉટ્સઍપમાં હજી સીધેસીધી હૅપી દિવાલી કહી દે તો કોઇ વાંધો નહિ પણ આમણે તો બીજા કોઇએ એમની ઉપર મોકલાવેલ રંગબિરંગી ચળકતા ચકરડાં વચમાં દીવા સળગે, તારલીયા ફૂટે અને ઝગમગ લાઇટોની વચ્ચે લખાયેલું આવે, 'હૅપી દિવાલી'.... એ બધા આપણને મોકલે. તારી ભલી થાય ચમના. તારૂં આ ચકરડું ઘુમાવતા મને કેટલી તકલીફ પડી છે કે, તારા જેવા આઠસો-હજારે આવા ચકરડાં મોકલ્યા હોય, એ બધા એક પછી એક વૉટ્સઍપ દબાવી દબાવીને ખોલવાના ને મહીંથી નીકળે શું...? 'ઇની ઝાલર...???

હજી ફફડાટ ચાલુ રાખવો પડશે કે, દોઢેક મહિના પછી પહેલી જાન્યુઆરીવાળું નવું વર્ષ આવી રહ્યું છે- ઇ.સ. ૨૦૧૭નું ત્યારે ફરી પાછા આ ચકરડાં ફરતા થઇ જશે ને સીધા આપણી ઉપર આવશે.

મને હસવું આવવા કરતા બેવકૂફી ઉપર હું ગીન્નાઈ પણ જઉં છું કે, મારૂં વર્ષ બહુ સારૂં જાય, એની ચિંતા તમે શેના માટે કરો ? હું તમારો શું સગો થઉં છું અને તમે એવા કયા ગામના મોટા હિતેચ્છુ છો કે, મારૂં નવું વર્ષ

સુખસમૃધ્ધિવાળું જાય એની ચિંતા તમે કરો ! સાલા ઘેર આવીએ ત્યારે તારી વાઇફ આદુ-ફૂદીનાવાળી ચા ય પિવડાવતી નથી ને ખુદ તું આપણા જૂનાં બાકી નીકળતા અઢી લાખ પાછા આલતો નથી ને ઉપરથી અમારે તારો મૅસેજ વાંચવાનો-ચકરડાંવાળો... 'હૅપી ન્યુ યર' ? તારે લીધે તો અમારૂં આખું વરસ બગડયું છે ! તારા પોતાના યરના ઠેકાણાં નથી ને ઘરમાં બાવીસ વર્ષથી ચૂનો ય મરાયો નથી ને તું અમારો પરિવાર નવા વર્ષે ઝળહળી ઉઠે, એની શુભેચ્છા આપતો થઇ ગયો ?
આવા HTPKH એટલે કે, 'હું તમને જ ફોન કરવાનો હતો'છાપના નવરીનાઓને શોધવા બહુ સહેલા છે.

એક તો, આવા પ્રસંગે-તહેવારે આપણો મોબાઈલ એમના જ વૉટ્સઍપથી ભરાઇ ગયો હોય ને બીજું, સ્મશાનભૂમિથી માંડીને ઍરપૉર્ટ ઉપર, ચાલુ ટ્રેન કે ચાલુ ટ્રેનના છાપરા ઉપર આવા નવરીનાઓ દેખાઇ જશે. એના સસુરજી લાસ્ટ સ્ટેજમાં મરવા પડયા હોય (ફાધર માટે એને આટલી લાગણી ન હોય !) એવો એકી તાને મોબાઇલમાં આંગળા-અંગૂઠા ફેરવતો એ તમને ગમે ત્યાં, ગમે તે સ્થળે અને ગમે તે હાલતમાં દેખાઇ જશે. ક્લબો જેવી ચોખ્ખી જગ્યાના ટૉઇલેટોની બહાર તમારા વારાની રાહ જોઇને દરવાજા પાસે ઊભા હો, ત્યાં મહીંથી એના મોબાઇલનું ટૂણટુણીયું આપણાં સુધી બહાર સંભળાતું હોય. આવો કોઇ સર્વે કાઢે તો નહિ પણ કાઢવો હોય તો, મોબાઈલ ફોનો આવ્યા પહેલા ટૉઇલેટોમાં લોકોને કેટલી વારો થતી હતી ને આજે કેટલી થાય છે, એ બંનેના આંકડા કાઢો તો આપણી 'સીસ્ટમ'કાયમ માટે બંધ અથવા 'જામ'થઇ જાય !

ખાડીયાનો છું, બ્રાહ્મણ છું ને એમાં ય પાછો ૪૦-વર્ષથી પરણેલો છું, એટલે તદ્દન નઠારી ગાળો ગ્રામરની એક પણ ભૂલ વગર બોલતા આવડે છે અને તમે આવા HTPKH બ્રાન્ડના હો તો તમને ય દીધા વગર ના રહું... પણ આટલા વર્ષોના આપણી વચ્ચેના સંબંધોની લાજ રાખીને મરી જાઉં તો ય તમારા મોંઢે તો તમને આવી ગાળો ન જ દઉં... (તમારા હાઈટ-બૉડીનો થોડો ડર પણ લાગે !) મનમાં દઉં અથવા તો જે તમને ઓળખતું હોય પણ તમને કહી દેવાનું ન હોય, એના કાને તમારા માટેની બધ્ધી ગાળો દીધા વગર રહું નહિ કે, તમે મને ફોન કરવાના જ હતા, તો પછી કર્યો કેમ નહિ ?

(
છેલ્લે સૂચના  :  આ લેખ તમને ખૂબ ગમ્યો છે, એવો વૉટ્સઍપનો મૅસેજ કરશો તો સામી માં-બેનની ગાળો નહિ દઉં...!)

સિક્સર
માત્ર પાંચ વર્ષની એક ટર્મ પાર્લામૅન્ટમાં પૂરી કરનાર સંસદ સભ્યને નિવૃત્ત (!) થયા પછી લાઇફ-ટાઇમ માટે પૅન્શન મળે ને આપણા બધા માટે પોતાની છાતી આગળ ધરી દેનાર સૈન્યના જવાનોને શું મળે છે ?
કૉંગ્રેસ પણ પાણી વગરની છે... કેમ આ સવાલ મોદી સામે ઉઠાવતી નથી ?
....
કારણ કે, એમને ય લાઇફ-ટાઇમના મફતના પૅન્શનની પડી છે !

'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)

$
0
0
ફિલ્મ   :  'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)
નિર્માતા-દિગ્દર્શક :   વ્હી. શાંતારામ
સંગીત : લક્ષ્મીકાંત - પ્યારેલાલ
ગીતો  :  મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ   :  ૧૭-રીલ્સ
થીયેટર  :  લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : સંધ્યા, અભિજીત, મીનલ, રવિન્દ્ર, દીના પાઠક, ઇફતેખાર , રાજા પરાંજપે, પ્રવીણકુમાર, બિરબલ. સુશાંત રે અને વત્સલા દેશમુખ.



ગીતો
૧....કજરા લગા કે, બીંદિયા સજા કે, હો આઈ મૈં તો... લતા મંગેશકર
૨....મન કી પ્યાસ મેરે મન સે યે નીકલી, ઐસે તડપું... લતા મંગેશકર
૩.... ઓ મિતવા ઓ મિતવા, યે દુનિયા તો ક્યા હૈ... લતા મંગેશકર
૪....જો મૈં ચલી, ફિર ન મિલુંગી, ખો જાઉંગી મૈં... લતા મંગેશકર
૫....એક તો જવાની કે દિન, હોઓ, ઓક તો જવાની કે... લતા મંગેશકર
૬....બાત હૈ એક બૂંદ સી દિલ કે પ્યાલે મેં, આતે... લતા-મૂકેશ
૭....તારોં મે સજ કે, અપને સૂરજ સે, દેખો ધરતી.. મૂકેશ - સાથી

ફિલ્મ 'જલ બિન બીજલી, નૃત્ય બિન બીજલી'ના અંત ભાગમાં હીરોઈન સંધ્યા કમરમાં છુપી રીવૉલ્વર ભરાવીને લંગડી હોવા છતાં બૈસાખી-એટલે કે લાકડાની ઘોડી સાથે ડાન્સ કરે છે...
ઇશ્વરે ઇચ્છયું હોત ને એ રીવૉલ્વર જો થીયેટરમાં બેસીને એ ફિલ્મ જોતા કોઈ પ્રેક્ષકના હાથમાં આવી ગઈ હોત તો ચોક્કસપણે એણ પોતાના લમણાંમાં ફોડી હોત... આવા ખૌફનાક વિચારો ઉપર ચઢાવી દેતી ફિલ્મ સળંગ ત્રણ કલાક સુધી જોઈ શકવાના ગૂન્હા મુજબ કોઈ પણ પ્રેક્ષક સ્વેચ્છાએ આત્મહત્યા કરત !

બીજા સાફ શબ્દોમાં કહીએ, તો વ્હી. શાંતરામનું છટકી ગયું હતું.. નહિ તો કોઈ પણ છ ગુજરાતી ( એમના કિસ્સામાં મરાઠી) ચોપડી ભણેલો સાક્ષર આવી કન્ડમ ફિલ્મ આખી તો ન જ જુએ ! અમદાવાદમાં એક લેખકે આ ફિલ્મ આખી જોઈ, એના ગુસ્સામાં આ ક્ષણે એ ગુજરાતના મિનિમમ ૭૫ લાખ વાચકોના લમણે રીવૉલ્વર તાકીને આ લેખ લખી રહ્યો છે કે, હું એકલો શું કામ મરૂં ?

સાલ ૧૯૭૧ ની એટલે વ્હી. શાંતારામનું ફિલ્મી ઘડપણ પણ આવી ગયું હશે, નહિ તો આ ફિલ્મ એમણે જે ઉતારી છે. એનાથી ય વધુ હૉપલૅસ ફિલ્મો આ ફિલ્મની આસપાસના વર્ષોમાં ઉતારી હતી. નામ તો બસ કોઈ, બે-ચારના જ યાદ આવ એવા છે. પિંજરા, ચાની , લડકી સહ્યાદ્રી કી અને એવી બીજી બે-ચાર ફિલ્મો બીજી,જે જોયા પછી ભગવદ-ગીતાનું નિયમિત સ્મરણ કરતો પ્રેક્ષક અચાનક પહેલો કે બીજા વિશ્વયુધ્ધની વાતો કરવા માંડે , માથામાં પોપટના પીંછા પહેરીને રસ્તા ઉપર ઊભો રહી જાય કે બોલતી વખતે અચાનક એની જીભ તોતડાવા માંડે.

આવી અસરો વ્હી. શાંતારામની છેલ્લી ફિલ્મો જોઈને થવાની પૂરી સંભાવનાઓ છે.. નહિ તો , એજ વ્હી. શાંતારામ આ કૉલમ લખનાર માટે કાયમી પૂજનીય નામ રહ્યું હતું.. ગીત ગાયા પથ્થરોં ને સુધી ! સેહરા થી બધું બગડવા માડયું, તે પછી લાઇફટાઈમમાં સુધર્યું જ નહિ! શાંતા આપ્ટે-શાહુ મોડકની ફિલ્મ આદમી કે પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ દહેજ, ડૉ.કોટનીસ કી અમર કહાની... અને પછી તો કાકા જે ખીલ્યા છે..

દો આંખે બારહ હાથ, સ્ત્રી, નવરંગ, બૂંદ જો બન ગઈ મોતી કે ઝનક ઝનક પાયલ બાજે જેવી ઉત્તમોત્તમ કૃત્તિઓ આપીને ભારતના સર્વોત્તમ સર્જકોમાં વ્હી, અંકિત થઈ ગયા ! હું તો એક સર્જક તરીકે રાજ કપૂર જેટલો જ આદર વ્હી. શાંતારામનો કરૂં છું પણ રાજ કપૂર તો જાવા દિયો... મનમોહન દેસાઈએ પણ પાછલી ઉંમરે આવી થર્ડ-કલાસ ફિલ્મો નહોતી બનાવી, જેવી વ્હી.એ આ જલ બિન મછલી... બનાવી છે.

એક કારણ હોઈ શકે આવા રવાડે ચઢી જવાનું કે ઝનક ઝનક પાયલ બાજે કે નવરંગની માફક વ્હી.માની બેઠા હતા કે, ભારતના પ્રેક્ષકોને હવે કેવળ નૃત્ય-સંગીત આધારિત ફિલ્મો જ ખપે છે. અને સંસારની સર્વશ્રેષ્ઠ ડાન્સર સંધ્યા પોતાના ઘરમાં બેઠી છે, તો શા માટે સંધ્યાનો અને ભારતના પ્રેક્ષકોનો કઢાય એટલો કસ ન કાઢવો ? નૃત્યનિર્દેશક ગોપીકૃષ્ણને બદલે કોઈ પ્રવીણકુમાર નામના નવા ડાન્સ-ડાયરેક્ટરને વ્હી.એ નોકરી આપી દીધી.

એમની તમામ ફિલ્મોનો હીરો તો અમથો ય કોઈને જોવો ય ગમે નહિ એવો જ હોય...આમાં ય એવો જ હતો અભિજીત, જેનું આ ફિલ્મ પહેલા કે પછી કોઈએ કશું નામવામ કાંઈ સાંભળ્યું નહિ અને સાંભળવા જેવું હતું ય નહિ ! એમાં ય, આ ભાઈ પાસે વ્હી. શાંતારામે જે કપડાં પહેરાવ્યા છે, એ જોઈને ભારતભરના દરજીઓ વચ્ચે ઉઘાડેછોગ મારામારીઓ થઈ જાય. પેલો કહે, મેં નથી સિવ્યા.. આ કહે મેં નથી સિવ્યા... ખોટું નામ તો દેવાનું જ નહિ ! એમાં બધા દરજીઓ કાતરે ને કાતરે ફરી વળે. હીરોભાઈ અભિજીતના કપડાંની ડીઝાઈન પણ નમૂનેદાર છે.

લેંઘો, ગંજીફરાક, બાળકનું ઝભલું, સફારી- શૂટ, નવરાત્રીમાં પહેરવાના ચણીયાચોળી તેમ જ સ્કાઉટની ચડ્ડી આ બધાની ડીઝાઈન ભેગી કરીને એક શૂટ બનાવો. એવા છવ્વીસ શૂટો આ અભિજીતને વ્હી. શાંતારામે પહેરાવ્યા છે. હીરોઈન સંધ્યા અને સાઇડ હીરોઈન મીનલને શું શું પહેરાવ્યું છે. એ બાબતે તપાસ કરવા અમારા આસિસ્ટન્ટ પત્રકારોને બ્રાઝિલના જંગલોમાં મોકલવામાં આવ્યા છે !

કાકા કંટાળી તો ગયા જ હશે, કારણકે , ઘણી ચીજો પહેલી વાર કરી જે અગાઉ વિચારી પણ નહોતી. મૂકેશ, મજરૂહ, લક્ષ્મી-પ્યારે કે ઇફેતેખાર વ્હી.ની ફિલ્મોમાં પહેલી વાર આવ્યા. દિગ્દર્શન પોતે હાથમાં રાખ્યું છે.

પણ પહેલીવાર વ્હી. શાંતારામની ફિલ્મમાં બધા ગાંડાઓ ફરતા હોય એવું લાગે. કોણ શું બોલે છે, વાર્તા સાથે એને શું મતલબ આવુ તે હોતું હશે કે દર છ-છ કલાકે હીરોઇન સંધ્યા આપઘાત કરવા કઈ કમાણી ઉપર ઊપડી જાય છે ( ને પાછી ય આવતી રહે છે, બોલો ) છ કલાક સિનેમાના એ પછીના શો ના ય ભેગા ગણી લીધા છે ! સામાન્ય રીતે, મેનકા ગાંધીના આવ્યા પછી ફિલ્મોના ટાઇટલ્સમાં જાહેરાત મૂકવી પડે છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઈ પશુ-પક્ષીને ઇજા પહોંચાડવામાં આવી નથી. મેનકાજી મોડા પડયા, કારણકે ફિલ્મના નામ મુજબ, પાણી વગર તરફડતી માછલી બતાવવી તો પડે જ... તો જ નૃત્ય બિન બીજલી બતાવી શકાય. જો કે, સાડા ત્રણ મિનિટનું નૃત્ય પુરૂં થઈ ગયા પછી સંધ્યા તરફડતી પેલી માછલીને પાછી પાણીમાં નાંખી દે છે.

એ માછલી જીવતી રહી ગઇ એટલે એને ય આ ફિલ્મ જોવી પડી હશે !

કંઈ બાકી રહી જતું હતું તે આપણે તો એ જમાનામાં લગભગ નવાસવા આવેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલના ચાહકો બની ગયેલા, તો એ લોકોએ પણ ઉતારાય એટલી વેઠો ઉતારી છે. એક માત્ર તારોં મે સજ કે, અપને સૂરજ સે, દેખો ધરતી ચલી મિલને... ગીતમાં મૂકેશ પાસે લાઈફ-ટાઈમનું કામ કઢાવ્યું છે.

એ વાત પાછી જુદી છે કે રેડિયો કરતા ય સીડીમાં અને સીડી કરતાં ય દરેક સ્ટેજ શોમાં ભૂલ્યા વગર ગવાતું આ ગીત તારોં મે સજ કે... ફિલ્મમાં કૅન્ટ પ્યૂરીફાયરની હેમા માલિનીની જા.ખ. જેટલું ય જામતું નથી. આપણા બધાની એ ફરિયાદ કાયમી રહી છે કે, આપણને ગમતા એવા સેંકડો ગીતો છે. જેને ફિલ્મોમાં કેવા લાગતા હશે, તે આપણે જોયા હોતા નથી, ત્યાં સુધી જ સારા લાગે છે. પણ નસીબ આડે પાંદડું હોય ને એ ગીત વીડિયોમાં જોવાઈ જાય તો બધો નશો ઉતરી જાય છે કે, ફિલ્મમાં તો એ ગીત કેવું બેહુદું ઉતાર્યું છે.

બાકી લતા સાથે મૂકેશના યુગલ ગીત બાત હૈ એક બુંદ સી દિલ કે પ્યાલેં મે...'મોઝર-બૅરવાળાએ ડીવીડીમાંથી આદત મુજબ ઊડાડી માર્યું છે પણ એ સિવાયના લતા મંગેશકરના એકે ય ગીતમાં ઠેકાણા ન મળે ! ગીત-સંગીત તો બરોબર, પણ જેને માટે શાંતારામનું મોટું નામ હતું. તો ટૅકિંગ એટલે કે ગીતાનું પિક્ચરાઈઝેશન કેવી રીતે કરવું, એમાં ય કાકાએ દીધે જ રાખી છે.

યસ એક ભારતીય રૅકૉડૅ આ ફિલ્મના મૂકેશના મશહૂર ગીત, 'તારોં મે સજ કે...'થી સ્થપાયો હતો કે, હિંદી ફિલ્મોમા સૌ પ્રથમવાર સ્ટીરિયો-રૅકૉડિંગ આ ગીતથી શરૂ થયું, એટલે કે સાઉન્ડના બે મોટા કાળા ખોખામાંથી અલગ અલગ અવાજ સંભળાય. યાદ હોય તો એ જમાનામાં બપ્પી લાહિરીએ ચોરેલું અને માધુરી દિક્ષિત અને સંજયદત્ત ઉપર ફિલ્માયેલું 'તમ્મા તમ્મા લોગે..'ડિસ્કો ગીતના ડ્રમ્સ આ સ્ટીરિયો-ઇફૅકટ્સમાં સાંભળવા લોકો ખાસ એ કૅસેટ ખરીદતા અને માની નહોતા શકતા કે, ડ્રમ્સ એક બોકસમાંથી અને બાકીનું મ્યુઝિક બીજા બૉકસમાંથી સંભળાય છે. પછી તો પપ્પાના પૈસે નવી કારમાં સ્ટીરિયોના બૉકસ ખરીદતા બેવકૂફ દીકરાઓ શહેરના રાજમાર્ગો પરથી કાર લઈને નીકળતી વખતે પ્રચંડ અને કાન ફાડી નાંખે એવા અવાજે સ્ટીરિયો રૅકૉડિંગવાળું એ ગીત સાંભળતા.

ફિલ્મ મને ન ગમી હોય એનો અર્થ એવો થોડો થાય કે તમને ય નહિ ગમે ? ભોગ તમારા, પણ મારી ફરજ છે કે, જેવી હોય એવી એ ફિલ્મની વાર્તાના અંશો તમને કહી દેવા જોઈએ, જેથી હું એકલો શું કામ ભોગવું ? ફિલ્મોનો હીરો પ્રિન્સ એટલે ક રાજકુમાર છે. ક્યા દેશનો રાજ્યનો કે મ્યુનિસિપાલિટીનો એ ફિલ્મમાં જણાવવામાં આવ્યું નથી. પણ મોટા મહેલમાં એની વિધવા માં અને કોઈ ૩૦-૪૦ ગાયક-સંગીતકાર-નૃત્યકારો સાથે રહેતો હોય છે.

એ અન્ય કોઈ કામધંધો કરતો નથી. સવારે ઉઠે ત્યારનો કી-બૉડ ઉપર રામ જાણે કયું ગીત વગાડવા મંડયો હોય ! એને વચમાં ક્યાંય ડિસ્ટર્બ ન કરાય, પણ કરવા માટે બીજા કોઈ દેશની રાજકુમારી (મીનલ) એના ચમચા સેક્રેટરી (રાજા પરાંજપે) સાથે રીતસરની રહેવા જ આવી જાય છે. એની પહેલા પ્રિન્સ પાસે માન ન માન ,મૈં તેરા મહેમાન ના ધોરણે ડાન્સર સંધ્યા પણ મહેલમાં પરાણે ગોઠવાઈ જાય છે. બન્ને વચ્ચે પ્રેમના ફાગ પણ ખીલવા માંડે છે, એ તો રાજકુમારીથી ક્યાંથી સહન થાય ? એટલે એ સંધ્યાનો ઍકિસડૅન્ટ કરાવીને લંગડી કરી નાખે છે ને તો ય પેલી નાચવાના ધખારા છોડતી નથી. છેવટે કાંખઘોડી તો ઘોડી લઈને એક પગે તો એક પગે નાચવાનું ચાલુ રાખે છે.

ઘણા વાચક ઘણા વખતથી પૂછે રાખે છે કે, આ એડિટર એટલે શું ?

જાણવાની મજા આવે એવું છે. ફિલ્મ બનતી હોય એ ફિલ્મના દિગ્દર્શકનું માનસ-સંતાન હોય છે. શૂટિંગ માટે સ્ટુડિયો, હીરો-હીરોઈનની તારીખો અને અન્ય જરૂરતો કેટલા દિવસ માટે મળે છે. એ જોયા પછી ફિલ્મની પૂરી વાર્તાનું શૂટિંગ, આપણે ફિલ્મમાં જોઈએ છીએ એવું ક્રમબધ્ધ અને સળંગ નથી થતું.

હીરોની બહેન પ્રેગ્નન્ટ પહેલા રીલમાં બની જાય, વિલન એની ઉપર બળાત્કાર આઠમાં રીલમાં કરે અને બન્નેને પરાણે હીરો પરણાવે છેક છેલ્લા રીલમાં ! ટૂંકમાં શૂટિંગમાં વાર્તાનો ક્રમ જળવાતો નથી.

એટલું જ નહિ, કોઈ પણ દ્રશ્યનું શૂટિંગ કરવાનું હોય ત્યારે દિગ્દર્શક સ્ટાર્ટ બોલે એ સાથે પોતાના સ્થાને ઉભેલો કલાકાર ચાલવાનું શરૂ કરીને સંવાદ બોલે, પણ એમાં એ ઊભો હોય ત્યારની અડધી કે આખી સેંકડ શૂટ થઈ ગઈ હોય ! આપણે જોઈ પણ શકીએ કે, એ પહેલા ઊભો હતો અને ચાલવા માંડયો.

અર્થાત, કેમેરા તો એ ઉભો હોય એની ૩-૪ સેંકડ પહેલાનો ફરવા માંડયો હોય, ફિલ્મનો એડિટર ફિલ્મ પૂરી થાય ત્યારે આવા બધા અધકચરા દ્રષ્યો કાતરથી કાપી નાંખે. નિર્માતા તો શૂટ કરેલી બધી ફિલ્મના એલ્યુમિનિયમના પેલા ગોળ ડબ્બાઓ એડિટરના ઘેર મોકલાવી દે. એડિટરે એક એક ડબ્બો ખોલીને એવી અધકચરી ફિલ્મનું એક એક રીલ જોવું પડે.

જોતા જોતા નિશાની કરતા જવાનું કે ૧૪.૩૪ સેંકડથી કાતર મૂકવાની છે, તે ૨૩.૧૬ સેકન્ડ સુધી ! આ પ્રાથમિક કામ પતી જાય પછી વાર્તા પ્રમાણે આઠમું રીલ પહેલા, ત્રીજું રીલ છઠ્ઠું કે તેરમું રીલ ચોથામાં ગોઠવીને ફિલ્મને સિનેમામાં જોવાલાયક સળંગ બનાવવાની ! ઋષિકેશ મુકર્જી ઉત્તમ એડિટર કહેવાતા એટલે આપણે આગળ જોઈ ગયા, એ શર્મીલા-ધર્મેન્દ્રની હોપલેસ ફિલ્મનું એડિંટિંગ પણ ઋષિ દાએ કર્યું હતું. રાજ કપૂર પોતાની ફિલ્મોનું એડિંટિંગ મોટા ભાગે પોતે કરતો. દિગ્દર્સક અને એડિટર વચ્ચે ટયુનિંગ સારૂં હોવું જ જરૂરી છે. નહિ તો ખૌફનાક ઝગડા પણ થતા જોવામાં આવ્યા છે.

દિગ્દર્શક કે હીરોને જે સંવાદ કે દ્રવ્ય ખૂબ ગમ્યા હોય, તે ઉડાડી મારવાનો એડિટરને અધિકાર હોય છે, માટે એડિટર સમજદાર હોવો જરૂરી છે. નવાઈ થોડી નહિ ઘણી લાગે કે, ફિલ્મ નવરંગ માં આશાતાઈ પાસે ખાસ તવાયફી લહેજો કઢાવીને ગવડાવેલું આ દિલ સે દિલ મિલા લે, ઇસ દિલ મેં ઘર બસા લે ઓ રસિયા, મન બસીયા આજા ગલે લગા લે.. ગીત એવું મશહૂર થયેલું કે એ પરદા ઉપર ગાનારી મંજરી (વત્સલા દેશમુખ) વાસ્તવિક જીવનમાં સંધ્યાની સગી બહેન થાય. સંધ્યાનું સાચું નામ વિજ્યા દેશમુખ હતું અને આ વત્સવા વ્હી. શાંતારામની લગભગ ઘણી ફિલ્મોમા દેખાઈ હતી, એ વત્સલાનું નામ અહીં ટાઈટલ્સમાં ચમકે છે પણ પૂરી ફિલ્મમાં એ ક્યાંય દેખાતી નથી. એ કમાલ શાંતારામની છે કે મોઝર બૅરની, તે તો ઇશ્વર જાણે!

ઍનકાઉન્ટર : 27-11-2016

$
0
0
* પચવામાં સૌથી ભારે ખોરાક કયો ?
-
શું કામ પણ પત્નીને જાહેરમાં આમ વખોડો છો ?
(
ધવલ રૂપાપરા, નાના વડાળા-જામનગર) 

* તમને જવાબ ક્ષણમાં સુઝે કે વિચારવું પડે
- મૈં પલ દો પલ કા લેખક હૂં !
(ગીરિશ શર્મા, નવસારી)

* મંદિરમાં આવો ભેદભાવ કેમ
? પુરૂષ પહેરેલી ટોપી ઉતારીને દર્શન કરે અને સ્ત્રી માથે ઓઢીને ?
-
સ્ત્રીઓ તો ફક્ત પોતાના માથે ઓઢે છે...બીજાની ટોપી ઉતારતી નથી !
(પ્રબોધ જાની, વસાઇ-ડાભલા)

* પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એ હવે કોને કોને સમજાવવાના ?
- પહેલા પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એનું પ્રૂફ રાહુલબાબાને આપો !
(મધુકર એન. મેહતા
, વિસનગર)

* રાવણ સાથે તમારે એવા કેવા સંબંધ હતા કે, એના બગીચાનું નામ 'અશોક વાટીકા'રાખ્યું ?
- આવા સંબંધો શોધવા ન જશો. એકલા ગુજરાતમાં જ બસ્સો 'અશોક હૅરકટિંગ સલૂનો'છે !
(ભદ્રેશ કે. પુરોહિત
, કરમસદ)

* નિવૃત્તિ પછી કઇ પ્રવૃત્તિ કરવી જોઇએ ?
- નોકરી સરકારી કરી હોય તો આવો સવાલ ચોક્કસ ઊભો થશે... કે, 'હવે તો કંઇક કામ કરીએ !'
(સુરેશ દરજી, આણંદ)

* નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રેસિડૅન્ટની ચૂંટણી લડે તો ય જીતી જાય કે નહિ ?
- બધે કોંગ્રેસ જેવો નબળો પક્ષ ના મળે !
(કિશન પટેલ
, નિકોલ)

* મુંબઈના વાચકો તમને વધુ ચાહે છે, છતાં એમના સવાલો કેમ જવલ્લે જ લેવાય છે ?
- હવે... મને લાગે છે, આવતા પાંચ-છ મહિના સુધી તમે મને નહિ ચાહવાના !
(ભગવાનદાસ મકવાણા
, મુંબઈ)

* અશોકભાઈ, તમારી સાથે એક મુલાકાત થાય કે નહિ ?
- વાઉ..તમારો ટેસ્ટ ઊંચો છે..!
(રાજેશ શેલત
, વડોદરા)

* સ્ત્રીઓને માથે ટાલ કેમ નથી પડતી ?
- એ લોકો બહુ ઊંચુ વિચારે છે.
(જયેશ અંતાણી
, ભાવનગર)

* વૅટરીનરી ડૉકટરો બધા બિમાર પશુઓનો ઈલાજ કરતા હોવા છતાં, એમને 'ઘોડા દાક્તર'કેમ કહેવાય છે ?
- નથી ખબર ! મારે પર્સનલી એ લોકોનું કામ જ પડયું નથી.
(મધુકર માંકડ
, જામનગર)

* વધુ મહત્વનું શું છે ? પૈસા કે સંબંધ ?
- મને હતું જ કે, પૈસા ખાતર તમે મારી સાથે સંબંધ બગાડવાના જ !
(ધવલ જે. સોની
, ગોધરા)

* વિજય માલ્યા ધંધો કરતો નથી, છતાં બધાને ધંધે વળગાડી દીધા છે...!
- કેટલા બાકી નીકળે છે
?
(બાબુ પટેલ, અમદાવાદ)

* શું નરેન્દ્ર મોદી ઇ.સ. ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર બનશે ?
- તમને હું ક્યાંય દેખાતો જ નથી ?
(નમિક પ્રજાપતિ, અડાલજ)

* ગૌરીવ્રત જેવું વ્રત છોકરાઓ કેમ રાખી ન શકે ?
- હું ય એ જ કહું છું કોઇ ગૌરી રાખવા કરતા એનું વ્રત સસ્તું પડે !
(મેહૂલ વાઘેલા
, વડોદરા)

* સાચી લાગણી જાણવાનું કોઇ મશીન મળે ખરૂં ?
- કોઇ સહૃદયી પાસેથી ૨૦-૨૫ લાખ લઇ આવો... એને સાચી લાગણી હશે તો માંગવા નહિ આવે !
(પુલિન સી. શાહ
, સુરેન્દ્રનગર)

* તમે ભારત ભૂષણને 'ભા.ભૂ.'કહીને બોલાવો છો, એમાં ઉપર બેઠા એમના બા ખીજાતા નહિ હોય ?
- એમના વાઇફને હું 'ભાભી'કહેતો હતો.
(ભરત સતાવત
, ભિવંડી-મહારાષ્ટ્ર)

* પાવર હાઉસ ઉપર લાલ લાઇટ થાય છે, પણ વિમાનના પાયલટે લાઇટ લીલી થવાની રાહ ક્યાં સુધી જોવાની ?
- એ તો વિમાનને રીવર્સમાં લઇ લેવાનું હોય !
(પકેશ સાયમન ઠાકોર
, ગાંધીનગર)

* 'ફિલ્મ ઈન્ડિયા'વિશે તમારૂં પુસ્તક વાંચીને અભિપ્રાયો કેવા આવે છે ?
- જેને ગિફટમાં આપ્યું છે, એમાંથી કોઇએ હજી ખોલીને જોયું પણ નથી કે, આ કોઇ પુસ્તક છે કે, સ્કૂટરની પાછલી સીટ ! દરેક લેખક પોતાનું પુસ્તક દોસ્તોને ગિફ્ટ આપવાની મોટી ભૂલ કરતો હોય છે!
(કૌશલ્યા જ. પરીખ
, વડોદરા)

* હાથીની કિડની અને કીડીની કિડનીની સાઇઝ વચ્ચે બહુ તફાવત હશે ?
- જરૂર પડે, બેમાંથી એકને તમે કિડની-દાન કરવાના હો તો હું આગળ વધુ ?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

* તમે ગુરૂ કોને માનો છો ?
- મારા સ્વ. પિતાજીને.
(ઉપેન્દ્ર વાઘેલા
, રાજકોટ)

* આ 'એનકાઉન્ટર'રવિવારે જ કેમ રાખ્યું છે ?
- આડે દિવસે તો બીજા કામધંધા હોય કે નહિ !
(મુસ્તુફા કુત્બુદ્દીન દાહોદવાલા
, અમદાવાદ)

* સવાલ ઍટૅચમૅન્ટમાં કેમ ના પૂછાય ?
- બા ખીજાય.
(દીપક એસ. માછી
, વડોદરા)

* ગુજરાતમાં પ્રવર્તતી ફિક્સ-પગારની પ્રથા હાસ્યાસ્પદ અને અમાનવીય નથી લાગતી ?
- ટૅબલ નીચેથી 'પગાર'લેતા શીખો... જરાય હાસ્યાસ્પદ નહિ લાગે !
(સોનું શર્મા
, રાજકોટ)


* મારે પાયલટ બનવું છે. શું કરૂં ?
- છુટ્ટા હાથે સાયકલ ચલાવતા શીખી જાઓ. વિમાન એમ જ ચલાવવાનું હોય છે.
(વીર કૌશિક રબારી
, ત્રાજ-ખેડા) 

બેસણાંમાં પિત્ઝા ખવાય ?

$
0
0
અમેરિકાના ન્યુયૉર્કની બાજુમાં કનેક્ટીક્ટ સ્ટેટ આવેલું છે. ત્યાંના બેથાની શહેરમાં મારા દોસ્ત ડૉ. અશ્વિન હી. પટેલની ભાણીનું બેસણું હતું. પટેલ અને એમાં ય અમેરિકાના, એટલે ૫૦૦/- કે ૧૦૦૦/-ની બનાવટી નોટોને બદલે અબજો રૂપિયાની સાચી નોટો ખિસ્સામાંથી ઢોળાતી હોય તો ઉપાડે ય નહિ. એક માન્યતા ખરી કે, મર્સીડીઝ તો ભિખારીઓ ફેરવે.

આ લોકોની એકએક કાર લૅમ્બર્ગિની કે ફેરારીથી ઉતરતી ન હોય ! એ બેસણાંમાં ફરજીયાત-મરજીયાત જેવું કશું નહિ, પણ સફેદ કપડાં પહેરીને નહિ આવવાનું... એટલું જ નહિ, બધાઓ ભારે સાડીઓ (સ્ત્રીઓની વાત થાય છે !) અને મોંઘાદાટ બ્લૅક શૂટ પહેરીને આવવાનું (આમાં એકલા પુરૂષોની વાત નથી થતી !) કંઇક પહેરવાનું ખરૂં. આપણો વડોદરાનો ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર કિરણ મોરે પણ અમારી સાથે એ બેસણાંમાં હતો. એ મારૂં પોતાનું બેસણું ન હોવાથી, આ બધામાં હું એકલો જુદો પડતો હતો. મેં શૂટ નહોતો પહેર્યો.

પણ અજીબોગરીબ વાત એ હતી કે, આ સ્વર્ગસ્થ પાયલટ ભાણીની અંતિમ ઇચ્છા મુજબ, બેસણાંમાં સહુએ ધૂમધામ મસ્તી કરતા આવવાનું. ચાલુ બેસણે ફિલ્મના ગીતો વાગતા હોય અને એ ગીતો ય 'ગોવિંદ બોલે હરિ ગોપાલ બોલો'કે 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ...'જેવા ભજનો નહિ, બલ્કે 'નૈન લડ જઈ હૈ તો મનવામાં કસક હોઈ બેકરી'કે 'કરવટેં બદલતે રહેં સારી રાત હમ, આપકી કસમ'જેવા રોમેન્ટિક અને તોફાની ગીતો !

આ હું સમજ્યાસાણ્યા વગર બોલી તો ગયો કે એ મારૂં પોતાનું બેસણું નહોતું, પણ એવું ન બોલાય...! ત્યાં મરવાનું જીવવા કરતા ય મોંઘું પડે એવું હોય છે. અમેરિકામાં તો મરવા કરતા જીવી જવું સારૂં. આપણી ભાષામાં ઉત્તરક્રિયા કે સ્મશાન-બશાનવિધિનો ખર્ચો, આપણે ચિતાના ઉપર સુતા હોઈએ ત્યાંથી ડઘાઈ જઈને ઊભા કરી નાંખે એવો મોંઘાદાટ હોય છે.

કાં તો મરવાનું કાયમ માટે માંડી વાળવું પડે ને કાં તો મરવા માટે સ્પેશિયલી ઇન્ડિયા આવીને બેસણાં ત્યાં રાખવાના હોય છે. એ વાજબી ભાવે પતી જાય. બાકી અમેરિકામાં મરવાનું બહુ મોંઘું પડે ! ઘણા તો આજે ય ત્યાં એટલા બધા ડઘાઈ ગયા છે કે, વર્ષો થઇ ગયા એમણે મરવાનું માંડી વાળ્યું છે. અહીં વાળા રાહો જોઇને બેઠા છે કે ડોહા કાંઈ પતાવે તો આપણે અહીંનુ પતાવીએ !

પણ સ્વર્ગસ્થ ભાણીએ દેહ છોડતા પહેલા મસ્તીપૂર્વક ઘણી ગોઠવણો કરી હતી કે, સ્મશાનેથી આવ્યા પછી બંગલામાં આલીશાન પાર્ટી હોવી જોઇએ, જેમાં ઇવન અમેરિકનોને ય મોંઘો લાગે, એવો કિંમતી શરાબ પિરસાયો. મન્ચિંગ અને જમવાનું તો 'ફાઈવ'નહિ પણ 'ફિફ્ટી-સ્ટાર'હોટેલમાં પિરસાય એવા મૅનુવાળું ! ભગવાને પૈસો પટેલો અને જૈનોને ફક્ત ભારતમાં જ નથી આપ્યો, જ્યાં ને ત્યાં આપ્યો છે. (એ વાત જુદી છે કે, અમેરિકાના જૈનો અને પટેલોએ ઓબામાની સરકાર પાસે અનામત નથી માંગી !... ડૉનાલ્ડ ટ્રમ્પ મરવાનો થયો છે !)

પણ અહીં ઇન્ડિયામાં જે લોકો ઑલરેડી મરવાના થયા છે, એ બધાએ હવે મરવાનું સાયન્સ આગળ વધાર્યું છે, ડૅવલપ કર્યું છે. આપણે ભલે ચાલુ બેસણે 'હો, મુઝે હિચકી જો આઈ તો... હંગામાં હો ગયા... હાય હાય હાય !'ના ડીજે સાથે શોકાકૂલ ડાઘુઓ ઊભા થઇને કમરો લચકાવીને ડાન્સો કરવા ન મંડી પડે, પણ હવે એકની એક જૂની ઘરેડ બદલવી તો પડશે ને ? ક્યાં સુધી સ્વર્ગસ્થ ડોહાના સ્માઇલ આપતા ફોટાની બાજુમાં પલાંઠીવાળીને બેઠેલો એનો દીકરો આવનારા ડાઘુએ-ડાઘુએ 'જે શી ક્રસ્ણ'કરીને મોંઢું વીલું રાખીને બેસી રહેશે ? ક્યાં સુધી આપણે પણ મહીં પહોંચતા સાથે જ મોઢું ઢીલું કરીને રાહુલજી જેવા હાથ જોડતા જઇને સફેદ ગાદી પર બેસી જઈશું ને ૪૦-૫૦ સેકન્ડમાં ઊભા થઇ જઇને બેસણાંની બહાર ઊભેલા દોસ્તો સાથે મોદીની નોટોની મેથીઓ મારીશું ? મિત્રો, એટલું યાદ રાખો કે, તમે મોંઢા ગમે તેટલા ઢીલાં રાખશો, ફોટામાં સ્માઇલો આપતો એ ડોહો કદી તમારા બેસણાંમાં આવવાનો નથી. દુનિયામાં હવે વ્યવહાર-બેહવાર જેવું કાંઈ રહ્યું જ નથી, ભાઈ ! ઘણા તો બેસણાંમાં કન્ફર્મ કરવા આવતા હોય છે કે, કાકો ખરેખરો ગયો તો છે ને ? પહેલા ય જઉ-જઉ કરતો બનાવી ગયો'તો... ને એકવાર તો આપણે આરવાળા કડક સફેદ લેંઘા-ઝભ્ભા પહેરીને ગયા'તા, તો ય કાકો ગયો નહતો ! આજકાલ કોઇના ઉપર વિશ્વાસ જ મુકાય એવું રહ્યું નથી. કોઈ પંખો ચાલુ કરો... સૉરી, શિયાળો શરૂ થઇ ગયો છે. હમણાં દસ-બાર બેસણાં સુધી પંખા રહેવા દો !

થૅન્ક ગોડ, હવે બેસણાં સુધરવા માંડયા છે. એમાં ય હવે નોવેલ્ટીઓ આવવા માંડી છે. છાપાના છેલ્લા પાને બેસણાંની જાહેર ખબરોમાં લખાવા માંડયું છે કે, 'કોઇએ સફેદ કપડાં પહેરીને આવવું નહિ.'અર્થાત્ તમે રોજીંદા જે પહેરતા હો, એ જ કપડે આવવાનું.

મને પર્સનલી આ ફેરફાર ગમ્યો છે. હજી નવા ફેરફારો આવકાર્ય છે. એક તો દુનિયાભરના બેસણાં સવારે ૮ થી ૧૦ અથવા સાંજે ૪ થી ૬ના હોય, એટલે આપણે કોઈ મેળના ન રહીએ. ઓફિસનો બોસ ભલે ગમે તેવો માંદો રહેતો હોય, પણ ઍડવાન્સ અપેક્ષામાં રોજ ઓફિસે એને માટે સફેદ કપડાં પહેરીને તો ન જવાય ને ? એક તો હવેના બેસણાં ૧૦-૧૫ કી.મી. દૂર સિવાય હોતા નથી ને એમાં ય સવારનો ટ્રાફિક. બેસણેથી બારોબાર ઓફિસ જવાનું હોય, એટલે ઘેર કપડાં બદલવા જવાનો ટાઈમ ન મળે.

અને આપણે તો પર્સનલી બેસણાં ઉપર એવો હાથ બેસી ગયો હોય કે, અઠવાડીયામાં મિનિમમ બબ્બે-તત્તણ બેસણાં પતાવવાના હોય ! ઘણીવાર તો જઇ આવ્યા પછી યાદ આવે છે કે, ભૂલમાં ખોટે બેસણે જઇ આવ્યા... આપણાવાળું તો બાજુની સોસાયટીમાં હતું ! મારે તો એકના એક સ્વર્ગસ્થ માટે બબ્બેવાર બેસણે જઇ આવવાનું ય બન્યું છે. છાપાની જા.ખ.માં ચોખ્ખું લખ્યું હોય કે, 'પિયરપક્ષનું બેસણું ઉપરના સ્થળે અને સમયે રાખ્યું છે', એમાં આપણે તો બન્ને સાચવવાના હોય ! આવું પિયરપક્ષનું ઍકસ્ટ્રા-બેસણું ય રાખ્યું હોય તો બે વખત જવાનું હોય છે.

પહેલામાં પાંચેક મિનિટ બેસીને, બહાર નીકળીને ફરીથી ઍન્ટ્રી લેવાની. આપણે સંબંધ બેમાંથી એકે ય પાર્ટી સાથે નહિ બગાડવાના ! ઘણાને તો ખોટાં બહુ લાગી જાય અને મોંઢા ચઢી જાય કે, 'અમારે ત્યાં ન આવ્યા પણ પિયરપક્ષના બેસણે જઇ આવ્યા !'હું વ્યવહાર ન ચૂકું. હું એકમાં જ જઉં તો મારા કૅસમાં ય પિયરપક્ષવાળા બેસણે મારાવાળા જ ન આવે !

યસ. આ નવા ક્રાંતિકારી ફેરફાર મુજબ, બેસણાંમાં તમારે રૅગ્યૂલર કપડે જ જવાનું છે, એવી સૂચના આપવામાં દંભ અને બનાવટની જરૂર પડતી નથી. સ્વાભાવિક છે કે, સ્વર્ગસ્થના પરિવારજનો જેટલો શોક આપણને બધાને લાગ્યો ન હોય પણ બધાએ જવું તો પડે અને બધાએ મોંઢાય એકસરખા શોકગ્રસ્ત રાખવા પડે... ભલે પછી અંદર આંટો મારી આવીને બહાર ચાની લારી ઉપર આઠ અડધીના ઑર્ડરો અપાય ! આવા દંભની શી જરૂર છે ?

પરાણે શોકવાળા મોંઢા રાખવા પડે એના બદલે બેસણાંના આયોજકો પહેલેથી જ કહી દે કે, 'તમે ત્યારે તમારા રૅગ્યૂલર મૂડ અને કપડામાં જ આવજો. લેવાદેવા વગરના, 'શું... ફાધર ખરેખર ગયા...?''એવું નાટક કરવાની શી જરૂર ? કેમ જાણે,ફાધર તો અંદર હિંચકે બેઠા હોય ને પેલો રીહર્સલ કરવા ફોટાની નીચે હાથ જોડીને બેઠો હોય ! યાદ રાખો, મિત્રો. કોઇના બી ફાધર બબ્બે વાર જતા નથી... એક ખરેખર અને બીજીવાર ગામની મશ્કરીઓ કરવા માટે !

યસ. કાચી ઉંમરે મૃત્યુ પામનારનું બેસણું હોય તો કુટુંબીજનોને સાંત્વન આપવા કેવળ બેસણાં જ મોટું કામ કરી જાય છે. એ શોક સાંત્વનાથી જ મટે એવો ક્રૂર હોય છે. સ્વર્ગસ્થની ઉંમર કાચી હોય કે ૯૫-ની, કેટલાક અવસાનો-આપણે લેવાદેવા ન હોવા છતાં આપણાથી ય સહન થાય એવા હોતા નથી, ત્યારે એમના ખભે તમે મૂકેલો હાથ પણ લાખો આશ્વાસનો કરતા વિશેષ હોય છે. બોલતા આવડે તો તમારા બે શબ્દો ભગવત-ગીતાની બરોબરીના બની જાય છે.

ક્યારેક સમય સાચવી લેવો પડે છે, નહિ તો આઘાતમાં ઘરનું બીજું ય કોઈ જતું રહે. મારી સમજ મુજબ, આવા અસહ્ય શોકના મૃત્યુપ્રસંગે, વાતાવરણ વધુ કરૂણ બનાવવાને બદલે નોર્મલ બનાવવું જોઇએ, જેથી ઘરનાઓને આઘાતની કળ વળે ! અફ કોર્સ, આવી કળો વાળવા બેસણાંમાં બેઠા બેઠા મિમિક્રી કરવાની કે 'જોક્સો'સંભળાવવાની જરૂર નથી, પણ સ્વર્ગસ્થ વિશેની નોર્મલ વાતો કરવાથી, 'શું ફાધર ખરેખર ગયા...?

અમને કહેવડાવ્યું ય નહિ ?'વાળી ગાળાગાળીથી એમના પરિવારજનો બચી જાય છે. એમને તમારી ભાષામાં સમજાવવું જોઇએ કે, 'પપ્પા તમને કેટલું બધું ચાહતા હતા ! એ તમને છોડીને જાય તો ક્યાં જાય, બેન ? ઉપર કોઈ સ્વર્ગ-બર્ગ જેવું છે નહિ કે, પૃથ્વી પરથી આવેલા મૃતાત્માઓને રહેવા માટે ત્યાં કોઈ કોલોની, એપાર્ટમેન્ટસ, રો-હાઉસીસ કે સોસાયટીઓ નથી. અહીં ધરતી પર તો સ્વર્ગસ્થોની કોઈ કોલોની નથી, નહિ તો મરનારા 'પૃથ્વીસ્થ'કહેવાત ને ? નીચે પાતાળમાં આપણા હિંદુઓ તો મર્યા પછી ય જતા નથી. ડૂબી જવાની બીક લાગે ! તો મતલબ ચોખ્ખો થયો કે, અવસાન પછી પપ્પા બીજે ક્યાંય ગયા જ નથી. અહીં જ-આપણા ઘરમાં જ છે, આ રૂમમાં જ બેઠા છે, ભલે દેખાતા ન હોય કારણ કે, હવે એ સ્વર્ગસ્થ છે.'આવે વખતે એમની રડતી દીકરીને જ પૂછી શકાય કે, 'પપ્પા તને જોતા હશે.

એ અહીં જ આ રૂમમાં બેઠા છે. એ તને રડતી જોઇને ખુશ થશે ખરા ? તું હસતી રહે, એ જ એમને  તો ગમે ને ? તારે એમને ઉપર બેઠા બેઠા ય રોવડાવવા હોય તો હજી રડ...!' (એ ય જાણતી હોય કે, જીવતા ડોહાને આવી આ રોજ રડાવતી હતી... આના મનમાં થોડો ડર નાંખો કે, બહુ રડીશ તો ઉપર બેઠા બેઠા પપ્પા એવું સમજશે કે, તને એમની બહુ જરૂર છે, તો તને એમની પાસે બોલાવી લેશે... એના કરતા છાની મર...!'આ તો એક વાત થાય છે !)

સિક્સર
-
હવે રોજ એકની એક ૫૦૦/-ની નોટોની વાત કરવાનો સખત કંટાળો આવે છે ને...? તો પછી મૂકોને માથાકૂટ...!

'મુગલ-એ-આઝમ' ('૬૦)

$
0
0
ફિલ્મ : 'મુગલ-એ-આઝમ' ('૬૦)
નિર્માતા : શાપુરજી પેલોનજી
દિગ્દર્શક : કે.આસિફ
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૨૦-રીલ્સ  :  ૧૯૭ મિનિટ્સ
થીયેટર : કૃષ્ણ અને નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, મધુબાલા, દિલીપ કુમાર, દુર્ગા ખોટે, નિગાર સુલતાના, અજીત, કુમાર, શીલા દલાયા, જ્હૉની વૉકર, જલાલ આગા (બાળ કલાકાર), મુરાદ, ગોપીકૃષ્ણ, જીલ્લોબાઈ, વિજયાલક્ષ્મી, એસ.નઝીર, સુરેન્દ્ર.

ગીતો
૧.    મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...લતા મંગેશકર-કોરસ (રાગ ગારા)
૨.    પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર...લતા મંગેશકર-કોરસ (રાગ દરબારી/દુર્ગા)
૩.    ખુદા નિગેહબાન હો તુમ્હારા, ધડકતે દિલ કા... લતા મંગેશકર (રાગ યમન)
૪.    અય ઈશ્ક યે સબ દુનિયાવાલે, બેકાર કી બાતેં...લતા મંગેશકર
૫.    મુહબ્બત કી જુઠી કહાની પે રોયે, બડી ચોટ... લતા મંગેશકર  (રાગ દરબારી કાનડો)
૬.    હમેં કાશ તુમસે મુહબ્બત ન હોતી, કહાની... લતા મંગેશકર (રાગ યમન)
૭.    બેકસ પે કરમ કીજીયે સરકાર-એ-મદિના...લતા મંગેશકર (રાગ કેદાર)
૮.    જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહા કા...લતા મંગેશકર  (રાગ જયજયવંતી)
૯.    તેરી મેહફીલ મેં કિસ્મત આઝમાકર હમ...લતા-શમશાદ-કોરસ
૧૦.    ઝીંદાબાદ, અય મુહબ્બત જીંદાબાદ...મુહમ્મદ રફી-કોરસ (રાગ કિરવાણી)
૧૧.    શુભ દિન આયો રાજદુલારા...ઉસ્તાદ બડે ગુલામઅલીખાં (રાગ રાગેણી)
૧૨.    પ્રેમ જોગન બન કે... ઉસ્તાદ બડે ગુલામઅલીખાં (રાગ સોહિણી)

'
મૈં હિન્દોસ્તાન હું. હિમાલીયા મેરી સરહદો કા નિગેહબાન ઔર ગંગા મેરી પવિત્રતા કી સૌગંદ...!'

અહીંથી શરૂ થઇને સાડા ત્રણ કલાકની ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીનો એકએકે સંવાદ અમને કિશોરાવસ્થાના ખાડીયાના છોકરાઓને રીતસર મોંઢે હતો-ઉર્દૂમાં સમજ ન પડે તો પણ ! એ સાહિત્યમાં કેટલી તાકાત હશે કે, સ્કૂલમાં જેમને હિંદી તો જાવા દિયો, ગુજરાતીના ફાંફા હતા, એ ગુજરાતી છોકરાઓ 'મુગલ-એ-આઝમ'ના સંવાદો થોડું ય તોતડાયા વિના અસ્ખલિત બોલતા હતા ! ફિલ્મમાં શાહી બાપ-દીકરા વચ્ચે યુધ્ધભૂમિ પર ખૌફનાક જંગ શરૂ થવાનું એલાન શહેનશાહ અકબર હાથી ઉપર બેઠા બેઠા તલવાર વીંઝીને, 'માનસિંહ, યલગાર હો...'બોલે છે, એની ય અમને ખાડીયાના છોકરાઓને ખબર કે, 'યલગાર હો'એટલે 'હૂમલો શરૂ કરો'. 'યલગાર હો'નો ઉપયોગ અમે હોળીના દિવસે બાજુની જેઠાભાઈની પોળમાં એના છોકરાઓને રંગવા જવાનું હોય ત્યારે ટોળે વળીને અમારામાથી કોક બૂમ પાડતું, 'યલગાર હો...' (એ વાત જુદી છે કે, આવો ફક્ત ઘંટનાદ જ કરવાનો હોય... જાય કોઈ નહિ ! જેઠાભાઈની પોળના છોકરાઓ તો સાલા મારે એવા હતા...!)

અમારા બધા ઉપર સલિમને બદલે અકબરનો પ્રભાવ બહુ હતો. અકબર-ઇફેક્ટ મુજબ, શાહી દરબારમાં જે કોઇ સંદેશો આવે, તે જાતે વાંચી લેવાને બદલે અકબર એમના ઘેરા અવાજમાં હુક્મ આપે, 'બાઆવાઝ-એ-બલંદ'પઢા જાય...''એટલે કે, મોટેથી વાંચો.

એ વખતે અમારા ખાડીયાની ખત્રી પોળમાં મોટી ઉંમરના બાબુકાકાનો કોઈ પ્રેમ પત્ર અજાણતામાં અમે છોકરાઓના હાથમાં આવી ગયો. ખુશમખુશ થઇને છોકરાઓ એ પત્ર હાથમાં ઊંચો કરીને દોડમદોડી કરતા હોય ને કોકે કીધું, 'ભૂપિનભ'ઈને વંચાવીએ'', ભૂપિનભ'ઇ પણ તાજેતાજી 'મુગલ-એ-આઝમ'જોઈ આવેલા. એમણે હાથ ઊંચો કરીને છોકરાઓને હૂક્મ આપ્યો, 'બાઆવાઝ-એ-બલંદ'પઢા જાય...''

અમે છોકરાઓને બધા સંવાદો કંઠસ્થ થઇ ગયેલા, એમાં અમારી કમાલ કરતા એ સંવાદો લખનારાઓની... ના, એમની પણ નહિ, પૂરા શાહી ઠાઠથી એ સંવાદો. બોલનારા દિલીપકુમારો, પૃથ્વીરાજો કે મધુબાલાઓની...? ઍબ્સોલ્યૂટલી નૉટ...!  હકીકતમાં એ બધી કમાલો આવી ગ્રેટ ફિલ્મને આપણી સમક્ષ મૂકનાર કરીમુદ્દીન આસિફની હતી, જે આઠ ચોપડી ભણેલો હોવા છતાં, અરબી-ફારસી-ઉર્દુનું જ્ઞાન ઘણી બુલંદીઓ પર હતું, નહિ તો જસ્ટ થિન્ક ઑફ ઇટ... ઠેઠ લાહૌરથી ઉર્દુ તેહઝીબ અને ભાષાપ્રેમને વરેલું દિલીપકુમારનું પઠાણ ફૅમિલી, ભીંડીબજારના એક મામૂલી દરજી સાથે એ જ દિલીપકુમારની બહેન પ્રેમમાં પડીને સીધા લગ્ન કરી લે...? આસિફમાં કંઇક તો હશે ને ? એ કંઇક કંઇક નહિ, ઘણું ઊંચું કંઇક હતું અને એ તેહઝીબવાળી ઉર્દૂ જબાન બોલવાની કમાલ ! દિલીપની બહેન અખ્તર બેગમ આ આસિફના પ્રેમમાં ખાસ તો એના ઉર્દૂ પરની શહેનશાહી અદબને કારણે પડી ગઈ, એ તો એ બન્નેના લગ્ન પછી દિલીપને ખ્યાલ આવ્યો ને એમાં ભભૂકેલા ક્રોધ સાથે દિલીપે મુંબઇમાં આ ફિલ્મનો શાનોશૌકતવાળો પ્રીમિયર શોનો બહિષ્કાર કર્યો.

આસિફનો હાથ આ પહેલા લગ્નો ઉપર પરફૅક્ટ બેસી ગયો હતો. વિખ્યાત નૃત્યાંગના સિતારાદેવી મૂળ તો એની સગી મામી થાય (એસ. નઝીર, જે દિલીપ કુમારની તમામ ફિલ્મોમાં જોવા મળે છે, તે નઝીર આસિફનો મામો થતો અને એ મામાની જ મામી... સોરી, એ મામાની જ વાઇફ સિતારાને આસિફ ભગાડીને લઇ ગયો અને નિકાહ કરી લીધા.) એ પછી આ નિગાર સુલતાના આવી અને સમય વેડફવામાં સહેજ પણ નહિ માનતા આસિફે તાબડતોબ ભૂરી આંખોવાળી સૅક્સી હીરોઇન નિગાર સુલતાનાને પડતી મૂકીને આ ફિલ્મના હીરો દિલીપકુમારની સગી બહેન અખ્તર બેગમ સાથે ત્રીજા લગ્ન કરી લીધા. નિગારની દીકરી હિના કૌસરને તમે રાજ ખોસલાની ફિલ્મ 'મૈં તુલસી તેરે આંગન કી'માં તવાયફના કિરદારમાં જોઈ છે, જેની પાછળ ફિલ્મનો સેકન્ડ હીરો દેબુ મુકર્જી પાગલ થયો છે, તે હિના કૌસર દાઉદ ઇબ્રાહિમના જમણા હાથસમા ડ્રગ-માફીયા ઇકબાલ મિર્ચીને પરણીને કાયમ માટે લંડન સૅટલ થઇ હતી. આ ઈકબાલનું થોડા વર્ષો પહેલા લંડનમાં મૃત્યુ થયું હતું.

એ જરૂરી નથી કે, ભારતમાં બનેલી આ સર્વોત્તમ ફિલ્મ ૧૯૬૦-માં આવી ત્યારે તો તમે જન્મ્યા ય નહોતા અથવા જોઈ હોય તો બહુ યાદ પણ નથી. સવાલ તો એ દિવસોમાં જ પૈદા થઇ ગયો હતો કે, આ એક એવી ફિલ્મ છે, જે દર્શકોને ફિલ્મ 'જોતા'શીખવાડે છે.

બીજી બધી ફિલ્મો સિનેમા-હોલમાં જાઓ ને છાનામાના બેઠા બેઠા જોઇ લોને પૂરી થાય એટલે પાછા આવી જાઓ. 'મુગલ-એ-આઝમે'તો તમને એક ફિલ્મ કેવી રીતે જોવાય, એની તમે તમારા ઉપર ગર્વ થાય એવી તંદુરસ્ત સમજણો આપી છે. જેમ કે, તમને ય ખબર છે કે, કોઈ પણ ફિલ્મની વાર્તાનો એક લેખક હોય, બે કે ચાર પટકથા લેખકો હોય અને સંવાદ લેખકો ૨-૪ બીજા હોય ! અહીં પટકથા કે.આસિફે પોતે અમાનની સાથે લખી છે, એ આખી ફિલ્મનું સૌથી મોટું જમાપાસુ, પણ સંવાદો અમાન, વજાહત મીર્ઝા, કમાલ અમરોહી અને એહસાન રીઝવીએ લખ્યા છે, એ પાસું ય નાનકડું નથી. આ ચારે ય ઉર્દુ-અરબી-ફારસી સાહિત્યના ખાં-સાહેબો હતા... (આ અમાન એટલે અમાનુલ્લાહ ખાન. જે ઝીનત અમાનના પિતા હતા. ઝીનતની માતા જર્મન હતી.)

પણ કે.આસિફે એક પણ શબ્દ વાપર્યા વિના લખેલા સંવાદો હિંદુસ્તાનની ફિલ્મી તવારીખનું એક બુલંદ પાનું છે. મૌન પણ ન કહેવાય એને, છતાં આસિફે આ ફિલ્મમાં એવી અનેક જગ્યાઓએ બે પાત્રો વચ્ચે એક પણ શબ્દ બોલાયા વિના માત્ર નજર ફેરવી કે સ્થિર રાખીને અનેક સંવાદોનું કામ લઇલીધું છે. મૌન પાસેથી કામ લેવાની આવી સિધ્ધિ તો આજની ફિલ્મોમાં ય જવલ્લે જોવા મળે છે. પૃથ્વીરાજ એક શબ્દ ય બોલ્યા વિના કેવળ મૌનથી મધુબાલા સામે આંખો ફેરવીને જુએ, એમાં શબ્દ બોલાતો નથી પણ તમને ખબર પડી જાય કે, 'મધુ મરવાની થઇ છે.'

આમ તો, બે અક્ષરોની વચ્ચેની વાત સમજવી પડે, એવા સુક્ષ્મ સંવાદો પૂરી ફિલ્મમાં છે. ફિલ્મમાં દર્શકોને ઇવન આજ સુધી સૌથી વધુ ગમેલો અને યાદ રહી ગયેલો સંવાદ તો શેહજાદો નુરૂદ્દીન મુહમ્મદ સલિમ કહે છે, 'અનારકલી કૈદ કર લિ ગઇ ઔર મૈં દેખતા રહા...!'જેના જવાબમાં શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર કહે છે, '...ઔર તુમ કર ભી ક્યા સકતે થે ?'પણ મારી છાતી ચીરી જનાર એક સંવાદ અનારકલીના મુખે બોલાયો છે, જ્યારે મૃત્યુની આગલી રાત્રે એ શહેનશાહ પાસે એક રાત માટે હિંદુસ્તાનની મલિકા બનવાની ઇચ્છા પ્રગટ કરે છે અને ગરજ ખાતર અકબર-એ-આઝમને એ ઇચ્છા કબુલ કરવી પડે છે, ત્યારે મધુબાલા જ આવા શાહી હાવભાવ સાથે બોલી શકે, એવો સંવાદ છે  :  'શહેનશાહ કી ઇન બેહિસાબ બક્ષિશોં કે બદલે મેં યે કનિઝ જલાલુદ્દીન મુહમ્મદ અકબર કો અપના ખૂન મુઆફ કરતી હૈ...!'જોવાનો ઠસ્સો એ વાતનો છે કે, જેે એ સખ્ત નફરત કરે છે, એ અનારકલી એક બાંદી (દાસી) એટલે કે મહેલની ચોથા વર્ગની કર્મચારી છે, જે પોતાના પુત્ર શેહજાદા સલિમના પ્રેમમાં છે, એ અનારકલીથી સલિમને છોડાવવાની ગરજને પગલે અકબરને પેલીને એક રાત માટે હિંદુસ્તાનની મલિકા બનવાની છુટ છાતી પર પથ્થર અને આંખોમાં લ્હાયલ્હાય શરમથી આપવી પડે છે. પોતાનો પરાજય એક બાંદીના હાથે થાય છે, એ સહન થતું નથી, એ હાવભાવ પૃથ્વીરાજ સિવાય તો ઇ.સ ૧૯૩૧-થી આજે ઇ.સ. ૨૦૧૬ સુધીની આખી ફિલ્મનગરીમાં એકે ય ઍકટર પેદા કરી શકે એમ નથી.

એ સંવાદ બોલાતો નથી, છતાં સિનેમાહોલમાં બેઠા બેઠા તમે એની આંખો વાંચી શકો કે, લજ્જાથી સ્વીકારવી પડતી હાર મૌતથી ય કેવી બદતર છે, એ પૃથ્વીરાજે બતાવ્યું છે. સલિમને ઝેરી ફૂલ સુંઘાડવામાં અનારકલી નિષ્ફળ જાય તો એની શું હાલત થશે, એ પ્રચંડ ગુસ્સા સાથે પૃથ્વીરાજ અનારકલીને બદલે આપણે બી જઇએ એવા અંદાજથી કહે છે, '... ઔર ઐસા ન હુઆ, તો... સલિમ તુઝે મરને નહિ દેગા ઔર હમ અનારકલી... તુઝે જીને નહિ દેંગે...!'

એ વાત તો સ્પષ્ટ છે કે, ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટમાં જ જોવાનો સંતોષ મળે. કલરના લપેડા દેખાઈ આવે છે, જ્યારે કૅમેરામેન આર.ડી.માથુરની શ્વેત-શ્યામ ફોટોગ્રાફી બેશક મનને હરી લે એવી સ્વચ્છ અને અદ્ભુત પણ હતી. પૂરી ફિલ્મમાં માત્ર આ ત્રણ પાત્રોએ જ બેમિસાલ અભિનય આપ્યો છે, એવું નથી. તટસ્થતાથી જુઓ ત્યારે હરખાઈ જવાય છે કે, બહાર (નિગાર સુલતાના), સંતરાશ (કુમાર), મહારાણી જોધા (દુર્ગાબાઈ ખોટે) કે સાવ થોડીવાર માટે આવીને જતી રહેતી અનારકલીની સખી સુરૈયા (શીલા દલાયા) પ્રેક્ષકોને પૂરજોશ વહાલા લાગે છે.

નૌશાદે પોતે કીધા મુજબ, એમની તો અંદાજ, આન, મધર ઇન્ડિયા, ઊડન ખટૌલા કે બૈજુ બાવરા કરતા ય 'મુગલ-એ-આઝમ'નું સંગીત સર્વોત્કૃષ્ટ કક્ષાનું હતું. નૌશાદ શું કામ, આપણે પણ કહેવું પડે કે, બહુ ઓછી ફિલ્મોના પૂરી ગીતો આટલી ઊંચાઈઓ પરથી સંભળાયા છે. આ એક ફિલ્મ માટે નૌશાદે બે-ત્રણ વર્ષ માટે કોઈ નવી ફિલ્મ સ્વીકારી નહોતી. ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સા'બને બે ગીતો ગાવા માટે તૈયાર કરવામાં નૌશાદની પ્રતિષ્ઠા અને આવડત કામ કરી ગઈ.

મુહમ્મદ રફી અને લતા મંગેશકરને જ્યારે ફિલ્મનું એક ગીત ગાવાના  ૪૦૦/- કે ૫૦૦/- મળતા હતા, ત્યારે ફિલ્મ સંગીતને પોતાની તૌહિન સમજતા મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ગુલામઅલીખાંએ પરાણે જીદ લઇને આવેલા કે.આસિફને પાછા કાઢવાનો ભાવ 'એક ગીતના  ૨૫ હજાર... બોલો છે, મંજૂર ?'કીધા, એમાં તો આસિફે એ જ વખતે બે ગીતના અડધા ઍડવાન્સ પેટે  ૨૫ હજાર તો એ જ વખતે ચૂકવી દીધા. ફિલ્મના ૧૨ ગીતોમાંથી 'પ્યાર કિયા તો ડરના ક્યા...'ગીતમાં ટાઈમ બહુ બગડતો હતો.

નૌશાદે શકીલે લખેલા આ ગીતના બે સૅટ્સ તો રીજૅક્ટ કરી દીધા હતા. છેવટે નૌશાદના બંગલાની અગાસી ઉપર શકીલ-નૌશાદ સાંજના સમયે બેસી ગયા, તે બીજા દિવસે ઉઠયા. નૌશાદે આ ગીત ૧૦૦ વાર રિજેક્ટ કર્યું હતું. દરમ્યાનમાં નૌશાદને ઉત્તર પ્રદેશનું એક લોકગીત, પ્રેમ કિયા કા ચોરી કરી હે ? યાદ આવી ગયું, એના શબ્દોમાં થોડા ફેરફારો કરાવી એને ગઝલ બનાવીને ગીત કમ્પોઝ કર્યું. એ વખતે સાઉન્ડ-સીસ્ટમમાં ઈકો (પડઘો) આવે, એવી સગવડ ન હોવથી નૌશાદે લતા મંગેશકરને આ ગીત સ્ટુડિયોના બાથરૂમમાં ગવડાવી રૅકોર્ડ કરાવ્યું. આ ગીતમાં લતાનો સાથ આપનાર કોરસમાં કહે છે કે, ૧૦૦ ગાયિકાઓ હતી, તો કેટલાકને મતે મુહમ્મદ રફીના 'ઝીંદાબાદ, અય મુહબ્બત ઝીંદાબાદ'ગીતમાં પણ ૧૦૦ પુરૂષ ગાયકો હતા.

ફિલ્મ 'પાકીઝા'ની જેમ 'મુગલ-એ-આઝમ'માં પણ હજી બીજા બારેક ગીતા હતો, પણ ફિલ્મની લંબાઈ વધી જવાને કારણે કાપી નાંખવા પડયા હતા. એફ કૉર્સ, એ ગીતો મારા/તમારા સુધી કદી પહોંચ્યા નથી. ફિલ્મમાં લતા મંગેશકરના ગીત 'પ્યાર કિયા તો ડરના ક્યા..'ના શૂટિંગ પાછળ પૂરા  એક કરોડનો ખર્ચો થયો હતો. એ જમાનામાં કોઈ પણ 'આખી ફિલ્મ'વધુમાં વધુ  ૧૦-લાખમાં બની જતી.

'
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...'ગીતમાં કોઈ પણ હિંદી ફિલ્મી ગીતમાં સૌ પ્રથમવાર એક સાથે દસ-દસ સિતારો વાગી છે અને બધી અલગ અલગ ઓક્ટૅવમાં ! સૌ સિતારવિદોના માસ્ટર તો 'મધુબન મેં રાધિકા...'વાળા ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાંસાહેબ જ હોય ! ઠૂમરી અંગમાં રચાયેલા આ નૃત્યગીતમાં મનમોહક-તનમોહક બાંસુરી વિશ્વવિખ્યાત પન્નાલાલ ઘોષે વગાડી છે.

નવાઈ લાગવી જોઇએ અને હજી તમે પકડી ય પાડયું નથી કે, આ ગીત 'મોહે પનઘટ પે...'માં એકલી લતા નથી ગાતી... સાથમાં ઉષા અને મીના મંગેશકરના અવાજો પણ છે. એવી જ રીતે મધુબાલા ઉપર થઇ શકાય એટલા પાગલ બનીને પાકિસ્તાનના ભૂતકાળના ભાવિ વડાપ્રધાન ઝૂલ્ફિકારઅલી ભૂટ્ટો ખાસ આ ગીતમાં મધુબાલાને જોવા કલાકો પહેલા સ્ટુડિયોમાં આવીને બેસી જતા... રોજ ! આ ગીતના નૃત્ય-નિર્દેષક લચ્છુ મહારાજ હતા.

ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોં ને'ના સંગીતકાર રામલાલ (હીરાપન્ના) એ ફિલ્મ 'નવરંગ'માં 'તૂ છૂપી હૈ કહાં...'ની શેહનાઈ તો વગાડી જ છે, પણ અહીં 'ખુદા નિગેહબાન હો તુમ્હારા...'ગીતમાં મ્યુટ કરવામાં આવેલી શેહનાઈ રામલાલે જ વગાડી છે. રાગ યમનમાં સ્વરાંકન પામેલું આ ગીત ૧૯૬૭માં લતા મંગેશકરે એપ્રિલ-૧૯૬૭માં બહાર પાડેલી પોતાને ગમતા ૧૦ સર્વોત્તમ ગીતોમાં આ 'ખુદા નિગેહબાન'નો સમાવેશ કર્યો હતો. એ જ રીતે, લતાના 'બેક્સ પે કરમ કીજીયે, સરકારે મદિના'ગીતમાં રાગ કેદારમાં આમ જુઓ તો મુહમ્મદ પયગમ્બર સાહેબની નાત જ બનાવવામાં આવી છે. નાત એ ખુદાની બંદગીનો એક પ્રકાર છે. નૌશાદ ધી ગ્રેટ સંગીતકાર નવા નવા પ્રયોગો કરવામાં આદરણીય નામ હતું.

ફિલ્મ 'આન'ના રૅકોર્ડિંગ માટે દિલીપકુમાર અને મેહબૂબ ખાન સાથે લંડન ગયા ત્યાંથી આ ટૅકનિક શીખી લાવ્યા કે, દરેક વાજીંત્રવાદકને અલગ અલગ માઈક્રોફોન મળે, જેથી સાઉન્ડ-ક્વૉલિટી ઉત્તમોત્તમ આવે. નહિ તો અત્યાર સુધી ગાયકો પણ બધા સંગીતકારો સાથે એક જ માઇક વાપરીને રૅકોર્ડિંગ કરાવતા હતા. અહીં જેમ, 'ખુદા નિગેહબાન'માં ઇકો-ઇફૅક્ટ લાવવા જતા મંગેશકરને બાથરૂમમાં ઉભી રાખીને રેકોર્ડિંગ કરાવ્યું હતું, એમ એ જ લતાના 'ઊડન ખટૌલા'ના ગીત, 'મોરે સૈંયાજી ઉતરેંગે પાર'માં નૌશાદે ઇન્ટરલ્યૂડ મ્યુઝિક (સ્થાયી અને પહેલા અંતરા કે બન્ને અંતરાઓ વચ્ચે વાગતું સંગીત)માં કેવળ કોરસ પાસે વાજીંત્રોનું કામ લીધું છે, અર્થાત ત્યાં વાજીંત્રોને બદલે કોરસની છોકરીઓ જ ગાય છે.

આવો પ્રયોગ ઓ પી નૈયર પણ કરી ચૂક્યા છે. 'થોડા સા દિલ લગા કે દેખ...'પછી 'પરરમ્પમપમ્પમ્પા'મુહમ્મદ રફી પાસે સ્વરાંકનના બોલ ગવડાવીને કમાલ કરી હતી. ફિલ્મ હતી 'મુસાફિરખાના', જેમાં પરદા પર જ્હૉની વૉકર અને અભિનેત્રી શમ્મી ગાય છે. 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...'ગીત મૂળ તો ગુજરાતના સન્માન્નીય સ્વ. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું સર્જન હતું અને એના હક્કદાવા માટે તેઓ કોર્ટે ચઢ્યાનું ય સ્મરણ છે. અમદાવાદ આવેલા સંગીતકાર નૌશાદને આ વિવાદનો સવાલ મેં જાહેરમાં પૂછ્યો હતો, ત્યારે એમણે જાણે કશું બન્યું નથી, એવા અંદાજથી, '...નહિ નહિ...વો બાતેં તો પુરાની હો ચુકી !'કહીને ઊડાવી દીધો હતો.

(
બીજો ભાગ આવતા અંકે)

ઍનકાઉન્ટર : 04-12-2016

$
0
0
* રાજકારણીઓ એકવાર જીતી ગયા પછી કદી કેમ દેખાતા નથી ?
હારી ગયેલાઓ ય ક્યાં દેખાય છે ?
(
તુષાર વસાણી, વઢવાણ)

* સફળતા મેળવવા કરતા પચાવવી/ટકાવવી મુશ્કેલ હોય છે...
મળે પછી કહું.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* વરસાદ સારો થાય એ માટે યજ્ઞો કરાય કે વૃક્ષો વવાય ?
યજ્ઞ હિંદુ ફીલસૂફી છે. ભારત દેશમાં હિંદુઓને લગતું કોઈ પણ કાર્ય કરો, તો એમાં ધર્મ વચમાં આવી જાય !
(
નિરાલી એસ. ચૌહાણ, ચોટીલા)

* મારે રાજકારણમાં પડવું છે. ભાજપમાં જોડાઉં કે આપમાં ?
નામ પરથી તો સજ્જન માણસ લાગો છો... રહેવા દો ને આ બધું !
(
ડૉ. મયંક છાયા, અમદાવાદ)

* લાયોનેલ મેસીએ બહુ જલ્દી નિવૃત્તિ લઈ લીધી ન કહેવાય ?
એ શું 'કોંગ્રેસ'નો કાર્યકર હતો ?
(
મિતુલ એસ.ખેની, સુરત)

* આપના લેખો પરથી એવું લાગે છે કે, આપને ફિલ્મી હીરો બનવું હતું ને લેખક બની ગયા... ! સાચું ?
હું બીજાએ લખી આપેલું વાંચી જઉં એવો નથી, માટે હીરો ન બન્યો.
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* મોદી સરકાર એક પણ વચન પાળી શકી નથી, છતાં તમે એની આંધળી ભક્તિ છોડી શક્યા નથી. તમારા જનધન ખાતામાં  ૧૫-લાખ જમા થઈ ગયા લાગે છે...
મેં મોદીને લખેલો ખુલ્લો પત્ર તમે વાંચ્યો નથી... તમે તો મોદી કરતા ય ગયા!
(
કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

* મારી છત્રીને વરસાદ સાથે આડવેર કેમ લાગે છે ?
હવે પછી છત્રી હપ્તે-હપ્તે લેજો.
(
પ્રણવ કારીયા, મુંબઈ)

* આજકાલ લોકોમાં 'પોકેમોન ગો'ગેઈમનું ભૂત વળગ્યું છે... તમારે કેમનું છે ?
મને તો એક જ ગેઈમ આવડે છે, 'તીનપત્તી'... ! તમારે કેમનું છે ?
(
મહેન્દ્ર ચુડાસમા, ભાવનગર) અને (ઋષિ વૈષ્ણવ, જામનગર)

* ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીની યાદીમાંથી તમારૂં નામ ગાયબ કેમ થઈ ગયું ?
મુખ્યમંત્રી બનવા માટે મારૂં ભારતીય હોવું નહિ, જૈન, પટેલ, દલિત કે મુસલમાન હોવું જરૂરી હતું. બ્રાહ્મણોને પૂછે છે કોણ ?
(
જયેશ અંતાણી, ભાવનગર) અને (જગદિશ પારેખ, નડિયાદ)

* તમે દેશભક્ત હોવા છતાં, રાજકારણમાં કેમ આવતા નથી ?
એટલે જ નથી આવતો !
(
સચિન દેવમુરારી, અમદાવાદ)

* નસીરુદ્દીન શાહે રાજેશ ખન્નાને એક નબળો એક્ટર ગણાવ્યો. તમે કેમ કાંઈ બોલ્યા નહિ?
આ દેશમાં ટીવી કે ન્યુસમાં ચમકવા માટે બીજાનું અપમાન કરતા નિવેદનો આપો, તો જ પબ્લિસિટી મળશે. અલબત્ત, સામે તમે એમ પણ કહી શકો કે, 'હું નસીરૂદ્દીનને એક્ટર જ ગણતો નથી.'તમને ય પબ્લિસિટી મળશે.
(
રસેન્દુ પાઠક, વડોદરા)

* લોકોમાં સેલ્ફી લેવાનો શોખ વધી કેમ ગયો છે ?
-  
હવે બીજા તમારો સેલ્ફી લઈ આપે, એવા મોબાઈલ પણ શોધાવાના છે.
(
હેતુ ટેલર, હિંમતનગર)

* હાલના સમયનો આપનો ગમતો ગાયક અને સંગીતકાર કોણ ?
મારી ને મારી જ તારીફ કરવાની ડૉક્ટરે મને ના પાડી છે.
(
ડૉ. કૌમિલ જોશી, નરોડા)

* સંસારમાં સુખી થવાની કોઈ ચાવી ખરી ?
સંસાર સિવાય બીજે ક્યાં સુખી થવાનું હોય છે, તે જણાવશોજી.
(
અજયસિંહ ગોહિલ, ગઢાલી-ગઢડા)

* ઓલિમ્પિક મહિલા બીચ વોલીબોલ જોતો હતો, એમાં વાઈફ કહે, 'શરમ નથી આવતી ?'શું કરવું ?
પૂછી જુઓ, 'એવી મહિલા ટીમનો કોચ બની જાઉં ?'પછી એમને શરમ આવશે.
(
ઠાકોર બારીઆ, વડોદરા)

* તમારા પત્નીએ પકડેલા પોકેમોનમાં એક પોકેમોન તમે પણ છો... વાત સાચી ?
યસ. એને ગમે ત્યાં હાથ નાંખવાની ટેવ છે.
(
સંજય ભટ્ટ, શેઠવડાલા-જામજોધપુર)

* બાબા (રાહુલબાબા)ના બે ય બગડયા, એવું તમને નથી લાગતું ?
અગાઉ ય કાંઈ સુધરેલું હતું ખરૂં ?
(
મયૂરી નીતિન પંચાલ, અમદાવાદ)

* ફ્રેન્ડ અને ફ્રેન્ડશીપ-ડે વિશે તમારૂં શું માનવું છે ?
જો જો... કોઈ ૬૫-પ્લસવાળી ફ્રેન્ડ મળે એવી હોય તો જોઈ રાખજો.
(
દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

* લોકો મહાદેવજીને શ્રાવણ માસમાં જ કેમ યાદ કરતા હશે ?
અન્ય ભગવાનોની સરખામણીમાં મહાદેવજીનો ઠાઠઠઠારો અને વોટબેન્ક બહુ સામાન્ય છે.
(
ધર્મેશ પટેલ, અમદાવાદ)

* પત્નીથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ ?
પોતાની પત્નીમાં ધ્યાન કેળવવું જોઈએ.
(
અનિલ પરમાર, બેટાવાડા-ખેડા)

* ફ્રેન્ડ્સ તો મને ખૂબસુરત કહે છે, પણ તમારી લોકપ્રિયતા જોઈને સાચ્ચે જ ઈર્ષા થાય છે!
તમારી ખૂબસુરતીનો તો ક્યારેક સારો અનુવાદ પણ થશે... મારે હવે શું કમાવવાનું?
(
પરીંદા જે. ઠક્કર, મુંબઈ)

* તમે પહેલા કરતા વધુ હેન્ડસમ લાગો છો, એનું કારણ શું રામદેવનું ટોનિક ?
પ્રજા રામદેવનું ટોનિક લેવાનું બંધ કરી દે, એવા સવાલો ન પૂછો.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* આપણે ક્યા ભગવાનની પૂજા કરવી જોઈએ ? તમે કોની પૂજા કરો છો ?
હું ચુસ્ત શિવભક્ત છું, પણ દેશ ઉપર આતંકના વાદળો છાયા છે, એટલે આવનારા પાંચ વર્ષ સુધી
ભારત માતા સિવાય કોઈની પૂજા કરવાની ન હોય !
(
સંજય કાપડીયા, ગીર સોમનાથ)

* વરસાદ, બોસ અને પત્ની વચ્ચે શું ફરક ?
ત્રણે ય આપણા આંગણામાં પડતા આવે તો સારા લાગે !
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

એક બાર જોરદાર તાલીયાં હો જાય...!

$
0
0
મને સંગીતનો શોખ ખરો, પણ તાળીઓ વગાડવી મને ગમતી નથી ને આવડતી નથી. રીધમમાં હું બહુ કાચો. પધ્ધતિસરની તાળીઓ પાડતા શીખ્યો પણ હોત તો ય કદી વગાડત નહિ. મને તાળીઓ અકળાવી મૂકે છે. ન છૂટકે ક્યારેક પાડવી પડે, તો તીનપત્તીના પત્તાં ચીપતો હોઉં એવા સૂરની તાળીઓ મારાથી પડે છે. કોઇ પ્રોગ્રામ જોવા જતા પહેલા સૌથી વધુ બીક એ પ્રોગ્રામના સંચાલકની લાગે છે. એ બધી શાંતી પ્રોગ્રામ શરૂ થયો ન હોય, તયાં સુધીની જ હોય છે. પરદો ખુલ્યા પછી મારા પૂરા શરીરમાં ગભરાટનું માર્યું લખલખું દોડી જાય છે કે, હમણાં કોમ્પેર આવશે ને હમણાં તાળીઓ પડાવશે ! હૉલમાં બેઠા પછી આપણે કઇ કમાણી ઉપર તાળીઓ પાડવાની હોય છે, તે મારી સમજમાં વતું નથી, પણ સંચાલક શરૂ જ થઇ જાય છે, ‘ભાઇઓં ઔર બહેનો... આઇયે, ઇસ બેહતરીન શો કે આગાઝ (શરૂઆત)મેં એક બાર જોરદાર તાલીયાં હો જાય...!’ હું મારી સીટમાં બેઠો બેઠો એને રીસ્પૉન્સ પણ આપી બેસું છું અને કોઇપણ જાતની બુધ્ધિ વાપર્યા વિના બસ... પેલો કહે છે, એટલે તાળીઓ પાડવા માંડું છું. આમ તો, શરીરમાં મારાથી બહુ ભારે ન હોય તો એવા માણસથી હું ડરતો ય નથી, પણ પ્રોગ્રામોના સંચાલકોથી બાકાયદા ફફડું છું.

હવે ગુજરાતભરનો કોઇપણ સ્ટેજ–શો જોવા જતી વખતે રીતસરની બીકો લાગવા માંડે છે કે મહી ગયા પછી કેટલીવારમાં અને કેટલી કેટલી વારે જોરદાર તાળીઓ પાડવી પડશે ? ડઘાઇ ગયેલા કેટલાક શ્રોતાઓ ડરના માર્યા હોલમાં દાખલ થતી વખતે તાળીઓ પાડતા પાડતા જ આવે છે !

આ એક હવે રોગ થતો જાય છે, કોઇપણ શોનો સંચાલક એટલે કે કોમ્પેર (Compere) શો શરૂ થતા જ દર પાંચ મિનિટે ઓડિયન્સ ઉપર ફરી વળે છે ને શું એને મઝા પડતી હશે કે, શ્રોતાઓ પાસે બસ... તાળીઓ પડાવે રાખે છે ! ઓડિયન્સની મરજી હોય કે ન હોય, એ ખુશ થયું હોય કે ન થયું હોય ને ઠંડીને કારણે ખિસ્સામાં ગમે તેટલા હાથ ભરાવી દીધા હોય, પણ કોમ્પેર તોફાને ચઢ્યો હોય છે ‘...ઔર એક બાર જોરદાર તાલીયાં હોય જાય...’

સ્ટેજ–શોના સંચાલકો ઓડિયન્સ પાસે દર ત્રીજી મિનિટે ‘જોરદાર’ તાળીઓ પડાવી પડાવીને ભૂકાં કાઢી નાંખે છે ને નોબત ત્યાં સુધી આવી જાય છે કે, શો પૂરો થયા પછી ગાડીમાં ઘેર જતી વખતે, બાજુમાં બેઠેલી વાઇફ કંઇ બોલવા જાય તો ય આદતના જોરે ‘જોરદાર’ તાળીઓ પાડી બેસીએ છીએ. ચાલુ શોએ યાદ પણ નથી રહેતું કે, શૉ જોવા આવ્યા છીએ કે તાળીઓ પાડવા ! સ્ટૅજ ઉપર દરેક નવી ન્ટ્રીએ કૉમ્પેર આપણી પાસે તાળીઓ પડાવે છે, ‘... તો અબ સ્ટેજ પર આ રહી હૈ, હિંદુસ્તાન કે બેહતરીન ગાયિકા મિસ માલા.... ઇન કે લિયે એક બાર જોરદાર તાલીયાં હો જાય...’ એટલે ચાવીવાળું રમકડું, ચાવી ચાલે ત્યાં સુધી વાળીઓ પાડતા ખંજરી વગાડે રાખે, એમ ઓડિયન્સ પણ પેલો ઍન્કર જેમ નચાવે એમ નાચતું રહે છે. પછી તો, રસ્તામાં ટ્રાફિક–પોલીસવાળો દેખાય તો ય એને જોઇને, ‘જોરદાર તાળીઓ’ આદતના જોરે પડાઇ જાય છે. ૯૮ ટકા કૅસોમાં તો ઓડિયન્સને જ નહિ, ખુદ કૉમ્પેરને ખબર હોતી નથી કે, આ વખતે શેને માટે તાળીઓ પડાવી ! અનેકવાર એવું બને છે કે, શોએ–શોએ જોરદાર તાળીઓ પાડવાના હુકમનામાનો શ્રોતાઓ ભયના માર્યા નહિ, પણ રાબેતા મુજબનો અમલ કરે છે. પેલો તાળીઓ પડાવે એટલી વાર પાડે રાખવાની. કોઈ એ સમજતું નથી કે કૉમ્પેર બોલતા બોલતા એની સ્ક્રિપ્ટમાંથી કશું ભૂલી ગયો છે, એ યાદ કરવા ને ગેપ પૂરવા હોમવર્ક આપણને સોંપી દે છે કે... ‘તો આઈયે... એકબાર જોરદાર તાલીયાં હો જાય...!’

મારી બાએ વર્ષોથી શીખવાડી રાખ્યું છે કે, કોઇ હોલમાં સ્ટેજ શો જોવા, પ્રવચન કે શેર–ઓ–શાયરી સાંભળવા જવાનું હોય, ત્યારે બન્ને હાથ ભાંગી ગયા હોય, એવા સોલ્લિડ પ્લાસ્ટરો બનાવીને જવું અથવા બન્ને હાથમાં ‘વિક્સ’ ઘસીને જવું સારૂં...! વિક્સ ઘસેલા હાથે તાળીઓ પડે ખરી પણ અવાજ ન નીકળે અને લાગે ય ખરૂં કે, આપણે તાળીઓ પાડી છે ! પ્રોગ્રામનો સંચાલક એ અથવા આપણે જરાક અમથા નવરા પડ્યા નથી ને, ‘...ઔર ઇનકે લિયે જોરદાર તાલીયાં હો જાય...’ એવા ઝનૂનો શરૂ થાય !’ રામ જાણે આપણા ઉપર કયા જનમનું વેર લેવા માંગતો હશે કે, નવરો પડ્યો નથી ને ઑડિયન્સ પાસે તાળીઓ પડાવવા માંડ્યો નથી ! સ્ટેજ પરથી શોનું સંચાલન કરનારને કોમ્પેર (Compere)કહેવામાં આવે છે. લાયન્સ–રૉટરીવાળા થોડું વધારે ભણેલા, એટલે એ લોકોમાં કૉમ્પેરને બદલે ‘ધી માસ્ટર ઑફ સેરૅમની’ વપરાય છે. તો બિચારો કહેવાય ‘માસ્ટર’, પણ એને ત્રણ કલાક બેઠા બેઠા જૂની હોટલના મહેતાજીની માફક ઘરાક ઊભું થાય એટલે લાકડાના પાટીયાંની ક્લિપમાં ભરાવેલી કાગળની ટચુકડી ચિઠ્ઠી ફાડીને સોંપેલું ઘરકામ જ કરવાનું હોય છે – ખાસ કરીને, દર દસ–પંદર મિનિટે તાળીઓ પડાવવાનું. વચમાં વચમાં ‘...તો હવે પછીના આપણા સન્માનનીય વક્તા છે... શ્રી–’ "Ladies & Gentlemen, put your hands together to welcome on stage Mr. Chhanalal..."

ફિલ્મ–સંગીતના શોમાં કૉમ્પેર શ્રોતાઓ પાસે તાળીઓ પડાવવાની રાહ જોઇને બેઠો હોય છે. મૂળ તો ગમે તે સારૂં કે ઠેકાણા વગરનું ગીત કોઇ ગાયકે પતાવ્યું હોય એટલે સૌજન્ય ખાતર (અથવા તો નવરા બેઠા કંટાળ્યા પછી શું કરવું, એની દાઝમાં) શ્રોતાઓ તાળીઓ તો પાડતા જ હોય, પણ એનો ગડગડાટ પતી જાય પછી પણ કૉમ્પેર ઝાલ્યો ન રહે અને ગમે ત્યાંથી કારણ શોધી લાવીને ફરી પાછો તાકાત બતાવશે, ‘બહેનો ઔર ભાઇયોં... મિસ માલા કે ગાને પર તો આપને બહોત ખૂબ તાલીયાં બજાઈ, લેકીન ઢોલક–તબલે પર અપની કમાલ દિખાનેવાલોં કો ક્યા મિલા...? થોડી સી તાલીયાં ભી નહિ...? એટલે હોલમાં બેઠેલા ૭૦૦ નવરાઓ ફરી એકવાર મંડી પડે, આડેધડ તાળીઓ પાડવા ! એ હજી પુરી થઇ ન હોય તે પેલાને બીજી સનક ઉપડે, ‘બહેનોં ઔર ભાઈયોં.. આપકો ઇસ પ્રોગ્રામ કી દાવત જીસને દી, વો સિર્ફ નટુભાઈ નહિ થે... અપની બહેતરીન કૂરિયર સર્વિસ સે હમ સબકો ટાઈમ પર ઇસ પ્રોગ્રામ કે પાસ ભેજનેવાલી શિવશક્તિ કૃપા કૂરિયર સર્વિસ કે દિનુભાઇ કે લિયે જોરદાર તાલીયાં હો જાય...!’ ફરી પાછા નવરાઓ મંડી પડે ! હજી ટાઉન હોલનો, ઇલેક્ટ્રિશિયન, સફાઇ–કામદાર કે સીક્યુરિટી–ગાર્ડસ માટેની તાળીઓ સાચવીને અલગથી રાખી મૂકી હોય !
આવી બીજી છસ્સો વાર તાળીઓ પાડવાની બાકી હોય ને મોટા ભાગના શ્રોતાઓમાં બહુ ‘લાંબી’ હોતી નથી, એટલે જેમ કૉમ્પેર નચાવે એમ રીંછભ’ઇઓ જાહેરમાં તાળીઓ પાડે જાય ! ગાયકે મધુર ગાયું હોય તો શ્રોતાઓ વગર માંગે તાળીઓ પાડવાના જ છે. આમ દરેક ગાયકે ગાયકે તાળીઓ ઉઘરાવવાથી એકેય ગાયકનું માન રહેતું નથી. આ તો ઘણા કૉમ્પેર દયાળું હોય છે કે તાળીઓની માફક ખડખડાટ હસવાની ડિમાન્ડ કરતા નથી નહિ તો, ‘...ઔર યહાં મેરા જોક પૂરા હો ગયા... આઇયે, એક બાર જોરદાર અપને અપને પેટ પકડ કે ખડખડાટ હંસના હો જાય...!’

કૉમ્પેર એના ઘેરે ય આવું જ કરતો હશે ? વાઇફે જમવાનું સારૂં બનાવ્યું હોય તો, ‘...આઈયે બચ્ચોં, મમ્મી કી બહેતરીન રસોઇ કે લિયે એક બાર જોરદાર તાલીયાં હો જાય...!’

તારી ભલી થાય ચમના...! તું બહુચરાજી માતાનો ભક્ત હોઇ શકે, પણ મને કઇ કમાણી ઉપર તારા સંઘમાં જોડે છે ? આવા કૉમ્પેરને બેસણાં કે શોકસભાઓમાં ન બોલાવાય... સુઉં કિયો છો?

સિક્સર
નોટબંધીની બબાલ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાલત માટે કવિ ભાવેશ ભટ્ટની બે પંક્તિઓ:
‘હું જ મારો આશરો થઇ જાઉં છું : સાંજના મુશાયરો થઇ જાઉં છું,

કોઇને તત્કાલ મળવું શક્ય ક્યાં ? હરઘડી આગોતરો થઇ જાઉં છું.’

મુગલ-એ-આઝમ ભાગ-૨.

$
0
0


(ગયા અંકથી ચાલુ)
વાર્તા મુજબ  : શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરને એમના પછી હિંદુસ્તાન ઉપર હુકુમત ચલાવવા એક પુત્રની જરૂર હતી, જે ન હોવાથી એ ઉઘાડા પગે ચાલતા હઝરત શેખ સલિમુદ્દીન ચિશ્તીની દરગાહ પર મન્નત માંગવા જાય છે. ફિલ્મનો આટલો મોટો અને સન્માન્નીય હીરો હોવા છતાં પૃથ્વીરાજ કપૂરને ઉનાળાની બપોરના ધગધગતા રણમાં ખુલ્લા પગે ચાલવાનું હોવાથી એમના પગ દાઝી જતા અને પગે ફોડલાં પડી જતા હતા. આવા મહાન કલાકારનો જુસ્સો ભાંગી ન પડે, એ માટે કે.આસિફ પણ એમની સાથે સાથે (કૅમેરાની ફ્રેઇમની બહાર) ઉઘાડા પગે ચાલ્યા હતા.

એક દાસી (જીલ્લોબાઇ) એમને સારા સમાચાર આપે છે, એના બદલામાં ખુશ થઇને અકબરે જીંદગીમાં એક વાર એ જે માંગશે, તે આપવામાં આવશે-નું વચન આપે છે. હિંદુસ્તાનના તખ્ત પર રાજ કરનાર પુત્ર શક્તિશાળી હોવો જોઇએ, એ ધોરણે અકબર એના આ કુચ્છંદે ચઢી ગયેલા પુત્ર સલિમને હિમ્મત અને શિસ્ત શીખવવા યુધ્ધમાં મોકલે છે. ૧૪ વર્ષ પછી સલિમ નશામાં ધૂર્ત અને સ્વચ્છંદી બનીને પાછો આવે છે, ત્યારે એનું સ્વાગત શાહી થાય છે. સલિમ શાહીદરબારની નૃત્યાંગના નાદિરાને જોઈને મોહી પડે છે. બન્ને પ્રેમમાં પડે છે, એનાથી અજાણ અકબર નાદિરાને 'અનારકલી'નો ખિતાબ અતા કરે છે.

નાદિરાનું નામ અનારકલી (દાડમની કલી) રાખવામાં આવે છે. પણ રાજદરબારની સીનિયર ડાન્સર 'બહાર' (નિગાર સુલતાના) આ બન્નેને પ્રેમ કરતા જોઈ જાય છે અને અકબરના કાન ભંભેરે છે, જેથી અનારકલીને મૌત અને પોતાને હિંદુસ્તાનની મલિકા બનવા મળે. અકબરને જાણ થતા એ અનારકલીની ધરપકડ કરાવે છે, જેથી ઘૂંઘવાયેલો સલિમ પિતા સામે યુધ્ધ છેડે છે અને હારી જાય છે.

અકબર એની સજાના બદલામાં એ વખતે સંતાડી રાખેલી અનારકલીને સોંપી દેવા અને પોતાનો છુટકારો મેળવવાની સ્કીમ જાહેર કરે છે. અનારકલી સલિમને બચાવવા જાતે જ શહેનશાહ પાસે પકડાઈ જાય છે, જેને જીવતી દિવાલમાં ચણાવી દેવાની સજા મળે છે. મૂળ વાર્તામાં નાટકીય ફેરફાર કરીને ફિલ્મનો સુખદ અંત લાવવા આ ફિલ્મમાં અનારકલીને જેલમાંથી ભૂગર્ભ રસ્તે સદા ય ને માટે દેશની બહાર ઇરાન મોકલી દેવામાં આવે છે, જેની બેહાશ બનાવવામાં આવેલા સલિમને કદી જાણ થતી નથી.

આ રીતે અકબરી-ઇન્સાફ અને વર્ષો પહેલા અનારકલીની માં ને આપેલા વચનને પૂરૂં કરવાની અકબરી-નેમ પણ જળવાઈ રહે છે. સાહિત્યના શોખિનો નહિ, જાણકારો માટે ફિલ્મનો સાચો હીરો ગીતકાર શકીલ બદાયૂની છે. મને જે કાંઈ સમજ પડે છે, એ ઉપરથી હું એમ કહી શકું છું કે,

હિંદી ફિલ્મોમાં પરફૅક્ટ શાયરો માત્ર બે જ. પહેલે નંબરે સાહિર લુધિયાનવી અને બીજે શકીલ બદાયૂની. શકીલ 'ફિલ્મી'ગીતો આબાદ લખી શક્તા. ફિલ્મી એટલે સાર્વત્રિક ચાલે એવા નહિ, જે તે ફિલ્મની વાર્તા સાથે સંકળાઈ શકે, એ ફિલ્મી. એમાં ય આ ફિલ્મમાં તો મોટી કમાલો કરી છે. 'અંજામ-એ-મુહબ્બત ક્યા કહીએ, લય બઢને લગી અરમાનોં કી...'ઉત્તર પ્રદેશના બદાયૂનમાં તા. ૩ ઓગસ્ટ, ૧૯૧૩માં જન્મેલા શકીલ મોટા ભાગના શાયરોની જેમ નિશાળના ઠોઠીયા કે અભણ નહોતા... બાકાયદા ગ્રૅજ્યુએટ હતા.

એમના વાલિદ (પિતા) મૌલાના હોવાથી શકીલને ઉર્દુ, ફારસી અને અરબીનું પૂરતું જ્ઞાન હતું પણ એથી ય વધુ પોતાના રાજ્ય યુ.પી.ની દેશી બોલીઓ ભોજપુરી, પૂરબી, મગધી અને અવધી ઉપર એમનો મીઠડો કાબુ હતો. ફિલ્મ 'ગંગા-જમુના'નું 'નૈન લડજઇ હૈ તો મનવામાં કસક હુઇ બેકરી'પૂરબી ભાષનું હતું.

નૌશાદ અને એ.આર.કારદારે શકીલને એક મુશાયરામાં સાંભળીને પોતાની ફિલ્મો માટે પસંદ કરી લીધા, એમાં ટુનટુન (ઉમાદેવી) અને શકીલનો પ્રારંભ ફિલ્મ 'દર્દ'ના 'અફસાના લિખ રહી હૂં, દિલે બેકરાર કા...'થી થયો. મુંબઇમાં ૨૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ ગુજરી ગયેલા શકીલ બદાયૂનીએ નૌશાદ ઉપરાંત સચિનદેવ બર્મન, રવિ, સરદાર મલિક, સી. રામચંદ્ર, ગુલામ મુહમ્મદ, અલ્લારખા કુરેશી અને હેમંતકુમાર ઉપરાંત થોડા સંગીતકારો માટે ગીતો લખ્યા છે.

અલબત્ત, 'મુગલ-એ-આઝમ'માં શકીલે લખેલા તમામ ગીતોમાં ચમત્કૃતિઓ આવે રાખે છે. 'ઐસે મેં જો પાયલ તૂટ ગઈ ફિર અય મેરે હમદમ ક્યા હોગા ?', 'હૈ વક્તે-રૂખ્સત ગલે લગા લો, ખતાએં ભી આજ બખ્શ ડાલો, બિછડનેવાલા કા દિલ ન તોડો, જરા મુહબ્બત સે કામ લેલો', 'જીયે તો મગર ઝીંદગાની પે રોયે', 'હૈ વક્તે-મદદ આઇય બિગડી કો બના લે, પોશિદા નહિ આપ સે ઇસ દિલ કે ફસાને, ઝખ્મોં સે ભરા હૈ કિસી મજબુર કા સીના'... વાહ શકીલભાઇ... અદબ સાથે સલામ ! (પોશિદા એટલે 'જાણ બહાર')

આ ગ્રેટ ફિલ્મ વિશેની નાનીનાની માહિતીઓ ઉપરે ય એક આખી ફિલ્મ બને એવું છે.

(
૧) મુંબઇના મરાઠા મંદિર (સિનેમાનું નામ છે, કોઈ જે-શી-ક્રસ્ણવાળા મંદિરનું નહિ !)માં તા. ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ રોડ ઉપર મિનિમમ એક લાખની ભીડ વચ્ચે આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો, ત્યારે ફિલ્મની પ્રિન્ટના ઍલ્યુમિનિયમના ગોળ ડબ્બા શણગારેલા હાથીની અંબાડી ઉપર મૂકીને બ્યુગલ અને શેહનાઇઓથી વાજતે-ગાજતે લાવવામાં આવ્યા હતા.

પ્રિમિયર શોના આમંત્રણો શાહી ફરમાન લાગે એવા (સ્ક્રોલ) ગોળ પિંડલા વાળેલા અને ઉર્દુમાં લખેલા શાહી-ખતની જેમ મોકલવામાં આવ્યા હતા. સિનેમાનું ફોયર એટલે કે લોબી કોઈ મોગલ શહેનશાહના મહેલ જેવી દરબારી બનાવવામાં આવી હતી. મરાઠા મંદિરની બહાર પૃથ્વીરાજ કપૂરનું ૪૦ ફૂટ ઊંચું કટ-આઉટ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું.

ફિલ્મમાં વપરાયેલ અસલી શીશમહલનો પૂરો સેટ અહીં સિનેમા સુધી લાવવામાં આવ્યો હતો જેથી ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો એ પણ જોઈ શકે. લગ્નો કરવામાં પણ મહારથ હાંસિલ કરનાર કે.આસિફે આ ફિલ્મ બનતી વેળા જ દિલીપ કુમારની સગી બહેન અખ્તર સાથે પ્રેમમાં પડી લગ્ન કરી લીધા હોવાથી દિલીપે એ બન્નેને માફ કર્યા નહોતા અને દિલીપ પ્રીમિયરમાં આવ્યો નહતો.

(
૨) એ જમાનામાં એક નવી ફિલ્મ રીલિઝ થાય, એટલે કોઈ ચોક્સ ટૅરીટરી (દા.ત. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ થીયેટરો)માં ફિલ્મ રીલિઝ કરવાના પ્રોડયુસરને ૩થી ૪ લાખ મળતા. 'મુગલે-આઝમ'માટે કે.આસિફે ડિસ્ટ્રિબ્યુટરો પાસે સાત લાખની જંગી રકમ માંગી... એ વાત તો ભૂલાઈ ગઈ અને આસિફને સાતને બદલે પૂરા સત્તર લાખ એકએક ટેરેટરીના મળ્યા. આટલી જંગી રકમ ત્યાં સુધીની કોઈ હિંદી ફિલ્મને મળી નહોતી.

(
૩) ફિલ્મ રિલિઝ થવાના આગલે દિવસે મરાઠા મંદિરની બહાર ઍડવાન્સ બુકિંગ માટે લગભગ એક લાખ લોકો આવી ગયા હતા. દરેક ટિકીટ મેળવનાર ભાગ્યશાળીને ટીકીટની સાથે ફિલ્મની ટેકસ્ટ, ફોટોગ્રાફ્સ અને નાની મોટી માહિતીઓનું એક ડોકેટ ભેટ આપવામાં આવ્યું હતું.

(
૪) 'મુગલ-એ-આઝમ'પછી કે પહેલાની બીજી કોઈ પણ ફિલ્મ કરતા આ ફિલ્મની કમાણી અથવા સૌથી વધુ ચાલવાનો રૅકોર્ડ ધરાવે છે. અંગ્રેજી અખબાર 'ધી હિંદુ'ના જણાવ્યા મુજબ, હાલના મલ્ટિપ્લૅક્સ થીયેટરોની ટિકીટોના મનગમતા ભાવ પછી ફિલ્મો ૧૦૦-કરોડ કે ૩૦૦ કરોડ કરે અને એક સાથે શહેરના ૪૦-૫૦ થીયેટરોમાં રીલિઝ થાય,

તો બન્ને સમયની સરખામણીમાં હજી પણ 'મુગલ-એ-આઝમ'ને કોઈ ફિલ્મ હંફાવી શકી નથી. મલ્ટિપ્લૅક્સ થીયેટરવાળાઓને ખુદ સરકારે જ ઑફિશિયલ 'બ્લેક'કરવાની છુટ આપી છે ! બન્ને સમયની વસ્તી, રિલીઝ થયેલા થીયેટરોની સંખ્યા તથા ફૂગાવા વગેરેના ગુણાંકો સરખાવ્યા પછી આ ફિલ્મને કોઈ પાછળ રાખી શક્યું નથી.

(
૫) ફિલ્મને કલર બનાવવાનું નક્કી થયું, ત્યારે સાઉન્ડટ્રૅકને પણ નવેસરથી બનાવવામાં આવ્યો, જેમાં ગાયકોના કંઠ એના એ જ રાખીને સંગીતકારો પાસે લાઈવ ઓરકેસ્ટ્રા ફરી વગાડીને ડૉલ્બી-સાઉન્ડમાં રૅકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

(
૬) વિખ્યાત ઇતિહાસશાસ્ત્રી ઍલેક્સ વોન ટ્રન્ઝલમૅનના લખવા મુજબ, અસલી સલિમ ૧૮ વર્ષની ઉંમરે ચિક્કાર દારૂડીયો હતો અને અફીણ વિના એને ચાલતુ નહિ. ફિલ્મમાં બતાવ્યા મુજબનો સલિમ રોમેન્ટિક નહિ, પણ પોતાના માણસો મરી જાય ત્યાં સુધી મારીને એમના ઉપર ઢોરજુલમ આચરતો. સલિમે તેના પિતાને પણ નહોતા છોડયા અને એમને ઉથલાવવા અકબરના દોસ્ત અબુ-અલ-ફઝલને મારી નંખાવ્યો હતો.

(
૭) વાસ્તવમાં અનારકલી નામની કોઈ વ્યક્તિ પેદા થઇ હતી કે કેમ, એ મોટો કોયડો છે. શેહજાદા સલિમમાંથી શહેનશાહ બનેલા જહાંગિરે પાકિસ્તાનના લાહૌરમાં અનારકલીના નામની એક કબર ઇ.સ. ૧૬૧૫માં ચણાવી છે, જેની ઉપર પોતાના પ્રેમનો સંદેશો પર્શિયનમાં લખ્યો છે કે, 'મારી પ્રેમાળ પત્નીનો ચેહરો હું એકવાર મારી હથેળીમાં લઇ શકું તો કયામત સુધી હું અલ્લાહનો આભારી રહીશ.'

૧૮મી સદીના ઇતિહાસકાર અબ્દુલ્લા ચુગતાઇએ લખ્યા મુજબ, આ કબર અનારકલીની હતી જ નહિ, પણ જહાંગિરની પ્રેમાળ પત્ની સાહિબ-એ-જમાલ બેગમની હતી. ઇતિહાસકાર ઇમ્તિયાઝઅલી 'તાજ'ના જણાવ્યા મુજબ, અનારકલી અકબરની એક બાંદી હતી, જેને રખાત વધુ કહેવાય. એ અનારકલીને સલિમ સાથે આંખ મીંચકારતા અકબર જોઈ ગયેલા, એમાં એને જીવતી ચણાવી દેવાનો હુક્મ આપ્યો હતો.

(
૮) જોધાબાઈ જન્માષ્ટમીએ બાળકૃષ્ણને હિંચકો નાંખે છે, એ મૂર્તિ શુધ્ધ સોનાની હતી. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મમાં માટીની મૂર્તિ મૂકી શકાઈ હોત, પણ આસિફના કહેવા મુજબ, દુર્ગા ખોટે હિંદુ હોવાથી ઝૂલો ઝુલાવતી વખતે શુધ્ધ સોનાની મૂર્તિ જોઇને એમને ભાવ પણ એવા જ માતૃતુલ્ય આવે. એક દ્રષ્યમાં ફ્લોર પર મૂકેલા કેમેરામાં સામે વિરાટ દરવાજામાંથી સલિમ ચાલતો આવે છે, એમાં આસિફે જીદ કરીને સલિમની મોજડી એ જમાનામાં (આજની કિંમતે ગણીએ તો) એક લાખની મોજડી પહેરી હતી. નૌશાદ અને ખુદ દિલીપ કુમારે હસી પડીને પૂછ્યું, 'આ તો નકરૂં પાગલપન છે.

કેમેરામાં ક્યાં આટલી મોંઘી મોજડી દેખાવાની છે ? આસિફે જવાબ પણ શહેનશાહને છાજે એવો આપ્યો હતો કે, 'યુસુફ (દિલીપ) આટલી મોંઘી મોજડી પહેરશે, તો સલિમ બનશે ને ? આવી મોજડી પહેર્યા પછી એની ચાલમાં શેહજાદો દેખાશે... નહિ તો યુસુફને સ્લિપર પહેરાવી જુઓ અને પછી એની ચાલ કેવી આવશે, એ જુઓ !''

મૂળ ફિલ્મમાં સલિમે એ જ મોંઘી મોજડી પહેરી છે, જે આપણે જોવા ઇચ્છીએ તો ય એની કિંમત સમજાય એમ નથી ! યુધ્ધ ભૂમિ પર સફળતાના ઝંડા ગાડીને શેહજાદો સલીમ ૧૪ વર્ષે પાછો આવે છે, એના પૂરબહાર ઉમંગમાં માતા જોધાબાઈ ખુશીઓથી મહેલમાં મોતીઓ લૂટાવે છે, એ મોતીઓ કોઈ કાચના નકરા ટુકડાં નહોતા...'સાચા મોતી'હતા. આસિફનું કહેવું હતું, રાજમહલની સંગેમરમરની ફર્શ પર જે અવાજ સાચા મોતીઓ વેરાવાનો આવે, તે કાચના ટુકડાઓમાં ન આવે.

(
૧૦) કૈદખાનાની જંઝીરોથી જકડાયેલી અનારકલીને આસિફે અસલી લોખંડી વજનદાર સાંકળો પહેરાવી હતી, વાસ્તવિક્તા લાવવા ! હૃદયમાં કાણું હોવાથી અમથી ય બિમાર મધુબાલા માટે આટલું વજન શૂટિંગમાં રોજેરોજ ઉચકવું વસમું હતું ને તો ય એણે કોઈ ફરિયાદ નહોતી કરી.

(
૧૧) કરીમુદ્દીન આસિફ મુંબઇના ભીંડી બજારની ફુટપાથ ઉપર કોહવાયેલા લાકડાના પાટીયાંની બનેલી લારી જેવી દુકાનમાં દરજીનો ધંધો કરતો હતો, એ દરમ્યાન (આમ તો ખાસ કાંઈ ભણેલો ન હોવા છતાં) એના વાંચવામાં ઇતિહાસકાર ઇમ્યિયાઝઅલી 'તાજ'લિખિત 'મુગલે-એ-આઝમ'પરનું 'નાટક'વાંચવામાં આવ્યું. વાત હશે ૧૯૪૨-ની ! અને તરત જ એના ઉપર ફિલ્મ બનાવવાનો નિર્ણય લઇ લીધો. અલબત્ત, આ જ વખતે એણે પૃથ્વીરાજ કપૂર, સુરૈયા અને દુર્ગા ખોટેને લઇને ખૂબ સફળ ફિલ્મ 'ફૂલ'બનાવી દીધી હતી.

'
મુગલે-એ-આઝમ'બનાવવા માટે અનારકલી તરીકે નરગીસ અને શહેનશાહ અકબર તરીકે દીપડાં જેવી ખૂંખાર પણ ચમકતી આંખોવાળા ચંદ્રમોહનને પસંદ કરી લીધો હતો. શેહજાદા સલિમનો રોલ સપ્રૂને અપાયો હતો. આ દરમ્યાન ચંદ્રમોહનનું અવસાન થઇ જતા આસિફે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચઢાવી દીધો અને નવરા બેસી રહેવું ન પડે એ માટે દિલીપકુમાર અને મધુબાલાને લઇને એણે ફિલ્મ 'હલચલ'બનાવી, જેનો પેલો ફેમસ કિસ્સો બધાને મોંઢે છે કે, દરેક વાતમાં પોતાની હુકુમત ચલાવવા કુખ્યાત બનેલા દિલીપ કુમારે અહીં પણ માથાફરેલ પરંતુ યશસ્વી સંગીતકાર સજ્જાદ હુસેનની ધૂનમાં બે-ત્રણ વખત ફેરફારો કરવાના સૂચનો કર્યા.

(
દિલીપ કરે એ સૂચન ન હોય, હૂક્મ હોય !) અકળાયેલા સજ્જાદે બધાની વચ્ચે સંભળાવી દીધું, 'યુસુફ, હું તને ઍક્ટિંગ શીખવવા આવું ત્યારે તું મને સંગીત શીખવવા આવજે... ત્યાં સુધી મારા કામમાં ટાંગ અડાડીશ નહિ !'સમસમી ગયેલા દિલીપકુમારે ફરિયાદ સીધી કે.આસિફને કરી, જેણે ચોખ્ખો જવાબ આપ્યો, 'એની વાત તો સાચી જ છે ને ? તારા કામમાં ક્યાં માથું મારવા આવે છે ?'ગીન્નાયેલા દિલીપે સીધી ફિલ્મ છોડી દેવાની ધમકી આપી. કે.આસિફે નવા કોઈ હાવભાવ લાવ્યા વિના કહી દીધું, 'તારી મરજી.'ફિર ક્યા...? દિલીપે પોતાની મરજી છુપાવી દીધી.

(
૧૨) ૧૯૬૦માં રીલિઝ થયેલી આ ફિલ્મનું પહેલું શૂટિંગ ૧૯૪૬માં શરૂ થઇ ગયું હતું, પણ સંજોગો ઉપરાંત આસિફની કામ કરવાની મંથર ગતિને કારણે ફિલ્મ નિર્માણ આટલું લાંબુ ચાલ્યું. એ દરમ્યાન વાસ્તવિક જીવનમાં મધુબાલા-દિલીપકુમાર વચ્ચેનો પ્રેમ અને કાયમી તિરાડ શામેલ હતા. મોટા ભાગના શૂટિંગ દરમ્યાન મધુ-દિલીપ વચ્ચે બોલવાના સંબંધો રહ્યા નહોતા.

(
૧૩) અત્યારે દેશના ઔદ્યોગિક ફલક ઉપર રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે કૉલ્ડ-વૉર ચાલી રહી છે, તે સાયરસ શાપુરજી પેલોનજી મિસ્ત્રીનો સુપુત્ર થાય. અલબત્ત, જરા મૂંઝવણમાં પડી જવાય એવી વાત એ છે કે, એક બાજુ ૧૯૬૦માં રીલિઝ થયેલી ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ને ૧.૫ કરોડનું ફાયનાન્સ શાપુરજી પેલોનજીએ કર્યું હતું અને અત્યારે ઠેઠ ઇ.સ. ૨૦૧૬ની સાલમાં ય નામ તો શાપુરજી પેલોનજીનું જ વંચાયા કરે છે, તો શું એ '૬૦-વાળા શાપુરજી (એ વખતે મિનિમમ ૨૫ વર્ષની ઉંમરના ગણીએ તો) અત્યારે હયાત છે ? સૉરી...નો ! ઇન ફૅક્ટ, એ વખતના શાપુરજી અને આજના શાપુરજી વચ્ચે પોતા-દાદાનો સંબંધ છે - નામ ભલે બન્નેના શાપુરજી રહ્યા !

(
૧૪) અનારકલીનો કિરદાર અગાઉ સુરૈયાને સોંપાયો હતો, પણ મધુબાલાને ત્યાં સુધી કોઈ અર્થપૂર્ણ રોલ મળ્યો ન હોવાથી, યેનકેનપ્રકારેણ આસિફને સમજાવીને એ રોલ પોતે લીધો. એવી જ રીતે, નાના સલિમનો રોલ ધી ગ્રેટ તબલાંનવાઝ ઉસ્તાદ ઝાકીર હુસેનને સોંપાયો હતો, જે કોઈ કારણવશ કોમેડિયન આગાના મરહૂમ પુત્ર જલાલ આગાને આપી દેવાયો હતો. જ્હોની વૉકરનો નગણ્ય રોલ આ ફિલ્મમાં એક પાવૈયાનો છે, જે માંડ આઠ-દસ સેકંડ માટે પરદા ઉપર આવે છે.

(
૧૫) હૉલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો 'એ બ્રિજ ઓન ધ રિવર ક્વાઇ', 'ડો. ઝીવાગો', અને 'લૉરેન્સ ઓફ અરેબીયા'જેવી સુંદર ફિલ્મો બનાવનાર સર ડૅવિડ લિને મુંબઇમાં 'મુગલ-એ-આઝમ'ના સૅટની મુલાકાત લીધી, ત્યારે શીશમહલનો સૅટ બનાવવો શક્ય જ નથી, એવું કહી દીધું હતું,

બૅલ્જીયમના કાચ પરથી ફિરોઝાબાદના કારીગરોએ બનાવેલા આ સેટમાં લાઇટના રીફ્લૅકશન્સ આવી જતા હતા, પણ ફિલ્મના સિનેમેટોગ્રાફર આર.ડી.માથુરે કાચ ઉપર મીણ ચોપડીને  'ગ્લેર'ઓછા કરી દઇને શૂટિંગ ખૂબ સફળતાથી કરાવ્યું હતું.

(
૧૬) મૂળ ફિલ્મ ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ અને પ્રોસેસ કરેલું એનું રંગીન વર્ઝન ૧૨ નવેમ્બર, ૨૦૦૪ના રોજ રીલિઝ થયું હતું. નવાઇ નહિ પણ આઘાતની વાત છે કે, ફિલ્મ રંગીન થયા પછી માર્કેટમાં આ જ ફિલ્મની બ્લૅક-એન્ડ-વ્હાઇટ ડીવીડી ભાગ્યે જ મળે છે અને જે મળે છે તે બાકીની તમામ ડીવીડીઓ કરતા ચાર-પાંચ ગણા ભાવે વેચાય છે. અફ કોર્સ, ફિલ્મ જોવાનો અસલી મજો તો કાળાધોળામાં જ આવે છે.

(
૧૭) આખેઆખી બ્લૅક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ રંગીન બનાવવામાં આવી હોય, એ વિશ્વનો આ સૌથી પહેલો કિસ્સો હતો.

અગાઉ હૉલીવૂડની ફિલ્મો રંગીન બની હતી, પણ એ હોમ-વીડિયો પૂરતી જ !
(ત્રીજો ભાગ આવતા અંકે)

ઍનકાઉન્ટર : 11-012-2016

$
0
0
* વધતી મોંઘવારીમાં મર્યાદિત આવક સાથે ઘરખર્ચનો સુમેળ સાધવાનો કોઈ ઉપાય બતાવશો ?
-
તમને શું લાગે છે ? બ્રહ્માંડમાં ભારત અવકાશયાત્રીઓને પત્તાં રમવા મોકલે છે?
(
ગીતા દેસાઈ, વડોદરા)

* તમને આ કોલમ લખવાની પ્રેરણા ક્યાંથી મળી ?
-
નાના મગજમાંથી.
(
દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)


* આપણી પાસે દેશપ્રેમ નથી... ક્યારે જાગશે ?
-
બસ... એક વાર આ ઘરમાં છેલ્લી ૫૦૦/- અને ૧૦૦૦/-ની નોટનો વહિવટ થઈ જવા દો !
(
પંકજ દફ્તરી, રાજકોટ)

* શહેરના રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ગાયોને સગવડતાપૂર્વક બેસવાના વિરામ સ્થળો બંધાતા હોય તો સગવડની સગવડ અને સેવાની સેવા ન થાય ?
-
અફ કોર્સ... એ ગાયોના માલિકો પાસેથી બાંધકામ ખર્ચ ઉપરાંત રોજનો સફાઈ ખર્ચ અને માસિક ભાડું દર મહિને વસૂલ કરી લેવાના !
(
મધુકર મહેતા, વિસનગર)

* પૈસાદાર બનવાનો કોઈ શોર્ટકટ ખરો ?
-
તમે ચોક્કસ બની શકશો. તમારા સવાલમાં 'શોર્ટ'ને બદલે શોટ કટ લખ્યું છે !
(
વિજય વી. સોનાણી, સુરત)

* ઓલિમ્પિક ખેલાડીઓ માટે શોભા ડે ની કમેન્ટ વિશે તમારે શું કહેવું છે ?
-
એની વાત સાચી હતી, પણ સવાલ ગોઠવતા ન આવડયો... ! એનો ગુસ્સો ખેલાડીઓ માટે નહિ, એ ખેલાડીઓને મોકલનાર સ્પોર્ટ્સ-બોડી માટે હતો !
(
વિવેક માણીયા, સુરત) અને (પૂર્વેશ પંચોલી, વડોદરા)

* જાતિ આધારિત વસ્તીગણત્રી બંધ ક્યારે થશે ?
-
જ્યારે જાતિ આધારિત વસ્તી ઓછી થશે !
(
ઈલ્યાસ તરવાડી, ચલાલા-ધારી)

* સર, કમાવવું છે. અહીં રાજકોટમાં તો શ્રાવણ માસમાં જ તીનપત્તીનો મહિમા છે...!
-
હા, તે વળી આટલા નાના કારણોસર તમને ગોલ્ફ રમવા તો ન મોકલાય ને !
(
રશ્મિન દવે, રાજકોટ)

* તમે મારા સવાલોના જવાબ કેમ નથી આપતા ? શું મારાથી કોઈ ભૂલ થાય છે ?
-
તમે પૂછ્યું છે, ''સિન્ધુજીએ રાજીનામું કેમ આપ્યું ?''... આખા ભારતમાં ખોવાયેલા બાળક ક્યા સિન્ધુજીની મારે ક્યાં ક્યાં તપાસ કરવી ?
(
ઋષિ વૈષ્ણવ, જામનગર)

*તમે એસ.ટી.ની પૂછપરછની બારીએ ફરજ બજાવતા હો, તો મુસાફરોને કેવા જવાબો આપતા હોત ?
-
એ સવાલ એક જ વખત ઉભો થાત ને... ? મુસાફરો જ ફરિયાદ કરત કે, આવી બારીએ કોઈ તોતડાને બેસાડાતો હશે ?
(
હેતાંશી જે. સુથાર, પાલનપુર)

* તમારે અમદાવાદ અને જામનગર વચ્ચે પસંદગી કરવાની હોત તો કોની કરત ?
-
૪૦-વર્ષ પહેલા લગ્ન માટે જામનગરની પસંદગી કરી લીધા પછી હજી હપ્તા ભરૂં છું.
(
રિધ્ધિ કનખરા, જામનગર)

* તમે તિતિક્ષાના હર્યાભર્યા રૂપના જે વખાણ કર્યા છે. આવું મનમોહિત લખાણ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ?
-
તિતિક્ષા પાસેથી... બીજી બધીઓ તો મા-બેન સમી ગણવી !
(
ચંદ્રકાંત બગરીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* બાળમજૂરી ગૂન્હો ગણાય, છતાં બોલીવૂડના અનેક બાળ કલાકારો પાસે કામ કરાવાય છે ?
-
તમારો ગુસ્સો સમજી શકું છું, પણ આમ શાહરૂખ, ઋત્વિક, સલમાન કે અજય દેવગણ માટે ગુસ્સો ન કરાય, ભાઈ !
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* ઓલિમ્પિકમાં ભારત કરતા ચીન-અમેરિકા વધારે મેડલો કેમ જીતે છે ?
-
એ લોકો મેડલો જીતી શકે, માટે ભારતને બોલાવાય છે !
(
ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

* જવાબો આપવા માટે તમે પગારદાર માણસ રાખ્યો છે. સાચી વાત ?
-
આપની અરજી કોરા કાગળ ઉપર સ્વચ્છ અક્ષરોમાં કરો.
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* તમારે આરએસએસ સાથે કોઈ નિસ્બત ખરી ?
-
ખરી જ. કાગળ ઉપરની એ અદ્ભુત વિચારધારા છે.
(
હિરેન સુતરીયા, કુકડીયા-ઈડર)

* તિતલી લેખમાળાનું તાત્પર્ય એ કે, આપ હજી રંગીન છો !
-
હજી એટલે... ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* સુભાષચંદ્ર બોઝ વિદેશની ધરતી પર અવસાન પામ્યા, એનું રહસ્ય ઉકેલવા કેટલો બધો રસ લેવાય છે, પણ લાલબહાદુર શાસ્ત્રી પણ વિદેશી ધરતી પર ગૂજરી જવા છતાં કેમ કોઈને રસ નહિ ?
-
ચૂંટણીમાં નેતાજીનું નામ વટાવવાના હજી દસ-બાર વોટ આવે છે... અને આ શાસ્ત્રીજી કોણ છે... રવિ શાસ્ત્રીના મામા ?
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* આપને ડીડી-ગીરનાર પર જોયા હતા... આપનો દેખાવ મસ્ત છે, હો !
-
હા, પણ છેલ્લે આ આશ્ચર્યચિહન શેનું મૂક્યું છે ?
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* ૫૬''ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી અંગ્રેજોએ આપેલ રવિવારની રજા કેન્સલ કરી બતાવે !
-
તે તમારે ક્યાં એમના પેટ ઉપર ચઢી જઈને છાતી ઉપર બચકાં ભરવા છે... !
(
કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* મોદીજીના શણગારખર્ચ વિશે તમારૂં શું માનવું છે ?
-
શેની દુકાનો રાખી છે... ?
(
અભિજીતસિંહ પઢીયાર, બરવાળા)

* પ્રેમ આંધળો કેમ ? લૂલો, લંગડો કે બહેરો કેમ નહિ ?
-
એ તો ખબર નથી. એટલી ખબર છે કે, પરણ્યા પછી એ બહેરો થઈ જાય છે.
(
રાજેશ બી. દરજી, અમદાવાદ)

પોતાનું પુસ્તક દોસ્તોને ભેટ આપતા બેવકૂફ લેખકની વાર્તા

$
0
0
શાસ્ત્રોમાં કીધું છે કે, જ્યારે કોઈ બુધ્ધિ વગરનો કવિ-લેખક પોતાનું નવું પુસ્તક યારદોસ્તોને ગિફ્ટમાં આપે છે, ત્યારે એ બુધ્ધિની સાથે પૈસા વગરનો પણ થઇ જાય છે. ભેટ આપેલું એ પુસ્તક વાંચવાનો ખર્ચો અને અન્ય ખાધાખોરાકી પણ સાથે આપ્યા ન હોવાથી ઘણા લાંબા સમય માટે એ લેખક યારદોસ્તો વગરનો પણ થઇ જાય છે.

એ જ દોસ્તો ફ્રીજ-ટીવી કે રેલ્વેના પાટા વેચવાના ધંધા કરતા હોય ને માર્કેટમાં નવા પાટા બહાર પાડે, ત્યારે આવા લેખકીયા-કવિયા દોસ્તોને શું એક એક પાટો સ્મૃતિભેટ તરીકે આપે છે ? આ જ અમારા લેખક-કવિઓ નવરા પડયા નથી ને બગલથેલામાંથી દારૂગોળાની માફક પોતાનું તાજું પુસ્તક કાઢીને દોસ્તોને ભેટ આપે છે, સ્માઇલ સાથે ! એ આશાએ કે, આજ નહિ તો કાલ, એ પોતે નહિ તો એના ગ્રાન્ડ-ચિલ્ડ્રન અથવા એની ફૅક્ટરીના કામદારો... એનું પુસ્તક વાંચશે.

આમાં એ સ્માઇલો કઇ કમાણી ઉપર આપે છે, તેની ખબર પડતી નથી. એ સ્માઇલ પાછું દયામણું હોય છે, યાચકનું હોય છે અને કદી પાછું ન આવે એવું બદમાશીયું હોય છે. ''સર-જી, પુસ્તક આપું છું, પૈસા લેતો નથી ને વાઇફને કીધું નથી... પણ આપ કમ-સે-કમ પુસ્તક વાંચજો ખરા... વાંચ્યા પછી સાવ ભંગારના પેટનું કહેશો તો ય વાંધો નથી.

ગિફ્ટમાં પુસ્તકો આપીને ભલભલા કવિ-લેખકો હલવઇ ગયા છે. એમની જ નહિ, એમના દોસ્તોની માર્કેટ વૅલ્યૂ અને વૉટ્સઍપ-વૅલ્યૂ ઉપર બૂરી અસર પડે છે.

જગતભરના કવિ-લેખકો પાસે, સમાજને આપવા માટે પોતાના પુસ્તક સિવાય કાંઇ હોતું નથી માટે જ, આજ સુધી એક ય કવિ-લેખકના ઘરમાં કોઇ નાનકડી ચોરી પણ થઇ હોવાનું ક્યાંય સાંભળ્યું ? કહે છે કે, ચોર લોકોના ટેસ્ટ ઊંચા હોય ! ગમે તેવા લેખકના ખિસ્સામાં હાથ બી ના નાંખે.

એક કવિએ એક ભિખારીનું ખિસ્સું કાપ્યું, એ જોઇ ગયેલા ટ્રાફિક-પોલીસે કવિને મુશાયરાના સ્ટેજ પર બોલાવતો હોય, એવા સ્માઇલો સાથે ગરમ શૉલ ઓઢાડીને બોલાવ્યો. ભિક્ષુક દૂર ઊભો ઊભો સઘળું જોતો હતો. એક જમાનામાં એ પોતે પણ શાયર હતો. દોસ્તોને પોતાના કાવ્યસંગ્રહો ફ્રી-ગિફ્ટમાં આપી આપીને આજે એ ભિખારી થઇ ગયો હતો. પોલીસે આંખોમાં ઝળહળીયા સાથે કોઇ જુએ નહિ એમ રૂ. ૧૦૦/-ની નોટ આપી, કવિના ખભે હાથ પંપાળતા કીધું, 'પહેલા સામેની લારી ઉપર વડા-પાઉં જેવું કાંઇ ખાઇ લો, કવિરાજ...!... પછી 'દીવાન-એ-ખાસ'અહીં જ ગોઠવીએ છીએ... થોડો છાંટો-પાણી ય કરી લેશું..'

કવિએ મુશાયરાની દાદ મળતી હોય એવા ઉત્સાહથી બોલી નાંખ્યું, 'ક્યા બ્બાત હૈ... દુબારા.. દુબારા... ક્યા બ્બાત હૈ !'

વળતા હૂમલા તરીકે સૌજન્ય ખાતર કવિએ પોતાનો ગઝલસંગ્રહ એ પોલીસને ગિફ્ટમાં આપ્યા. આમાં આખી વાત ફરી ગઇ. એક તો, કવિની ભૂખનોખ્યાલ રાખીને પોલીસવાળાએ રૂ. ૧૦૦/-ની નોટ વડાપાઉં ખાવા આપી, એ ઉપકારને બદલે કવિ વિવેક-વિનયનો વિચાર કર્યા વિના પોતાનો કાવ્યસંગ્રહ ફટકારે છે, એ પોલીસવાળાથી સહન ન થયું.

... એ ભોળાનો ગુસ્સો વ્યાજબી હતો કે, વળતા હૂમલા તરીકે શું એણે પોતે પકડેલા વાહનચાલકોની ડાયરી કવિને વાંચવા આપી હતી ? એનામાં એવા સંસ્કારો જ નહિ !

ગુજરાતી સાહિત્યમાં કવિઓ જેટલી અને જેવી બેકારી કોઇ ક્ષેત્રમાં નથી. એ લોકો નવરા પડયા પડયા તરડાયે રાખે છે, એમાં વધુ ને વધુ ગઝલો લખાતી જાય છે, એના કરતા એ બધાને ટ્રાફિક-પોલીસમાં નોકરા આપી દેવા જોઇએ. વાહનના ગૂન્હા-સબબ પકડાયેલા આરોપી પાસેથી રૂ. દોઢસો-બસોનો દંડ વસૂલ કરવાને બદલે પોલીસવાળા રચિત કાવ્યરચના ફરજીયાત ઘટનાસ્થળે જ સાંભળવાની સજા આમ ભલે વધુ પડતી આકરી પડશે, પણ ગૂન્હાઓ ચોક્કસપણે બંધ થઇ જશે. આવા ટૉર્ચરિંગ દ્વારા મળતી દંડની રકમને કવિનો પુરસ્કાર બનાવી ઘટનાસ્થળે જ એ ચૂકવી દેવાથી ન્યાય સિધ્ધ થશે અને કવિતાસાહિત્ય બળવત્તર બનશે.

મહાન બાણાવળી વીર અર્જુન દિલ્હીના ફિરોઝશા કોટલાના ગ્રાઉન્ડ ઉપર મહાભારતનું યુધ્ધ રમવા ગયો, અને પોતાનો રથ કુરૂક્ષેત્રની ગમે તે ગલીમાં પાર્ક કરી દીધો, એમાં શ્રીકૃષ્ણ પાસે ૧૮-અધ્યાયની ભગવત-ગીતા સાંભળવાના દહાડા આવ્યા. અર્જુન બાણાવળીને બદલે કવિ કે ગઝલકાર હોત, તો આટલા જંગી ખર્ચાઓને બદલે, કૌરવો ઉપર છુટ્ટી ફેંકેલી સો-બસો કવિતાઓ કે ગઝલોના મારાએ યુધ્ધ જીતાડી આપ્યું હોત !

ફિલ્મ 'શોલે'માં ગબ્બરસિંઘના અડ્ડામાં જય અને વીરૂ કોઇ દારૂગોળા અને પિસ્તોલથી ત્રાટકતા નથી, છુટ્ટી કવિતા, નાનકડા શે'રો, લઘુકાવ્યો અને ૧૯ શે'રોની લાંબી લાંબી ગઝલો ગૂંચળું વાળી વાળીને ડાકુઓ ઉપર ઝીંકે છે, એમાં નાસભાગ થઇ જાય છે. ગબ્બર મરાય છે અને ઠાકૂરસા'બનો વિજય થાય છે, પણ મૂળ કમાલ પેલા બે કવિઓની !

આ બાજુ, આપણો લેખક કોઈ ઓળખી ન જાય માટે સ્પાઇડરમૅનના વેશમાં એના દોસ્તના ઘરમાં અંધારી રાત્રે છાપો મારવા નીકળ્યો હતો. જેને જેને પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું, એ બધાના નામ-સરનામા લેખકને કંઠસ્થ હતા. એને યાદ આવ્યું. હમણાં જ બહાર પડેલું એનું રૂ. ૧,૬૦૦/-ની કિંમતનું પુસ્તક એણે ૪૦-૪૨ દોસ્તોને ભેટમાં આપ્યું હતું, (જે લેખકને પણ પૈસા ખર્ચીને ખરીદવું પડે છે) પણ સૌજન્ય ખાતર એમાંના એક પણ દોસ્તે પુસ્તક કેવું લાગ્યું-એ તો જાવા દિયો, કોઇએ વાંચ્યું કે નહિ, એટલો ય પ્રતિભાવ આપ્યો નહતો. અલબત્ત, એનો ઇરાદો એના દોસ્તોના ઘરમાં ચૉરી કે ખૂન કરવાનો નહતો, પણ પોતે ભેટ આપેલા પુસ્તકની એના દોસ્તોના ઘરમાં શી હાલત થઇ છે, એ વંચાય છે કે એના ઉપર અત્યાચારો થાય છે, એ જોવું હતું. નહિ સહન થાય તો પુસ્તક છાનુંમાનું પાછું પણ લઇ આવવું, એ ઇરાદો પણ હતો.

પણ એ એકલો ખૌફથી ડરેલો નહોતો, જે દોસ્તોને પુસ્તક ભેટમાં આપ્યું હતું એ બધા ય ડરના માર્યા આનાથી દૂર ભાગતા હતા કે, 'સાલો પુછશે, 'બૉસ, મારૂં પુસ્તક વાંચ્યું...?'તો એ પણ યાદ નહિ આવે કે, 'આણે મને કયું અને કોનું પુસ્તક ગિફ્ટમાં આપ્યું હતું !.... ગઇ વખતે તો લિનનના ઝભ્ભાનું કાપડ આપ્યું હતું... એ તો વાપરવાના કામમાં ય આયું'તું... પણ ગૉડ નૉઝ, આ વખતે તો કોઇ ચોપડી-બોપડી જેવું જ આલ્યું'તું...!'

છેવટે ફિલ્મ 'નીલકમલ'માં, પોતાની વહાલસોયી દીકરી વહિદા રહેમાનના સાસરે બલરાજ સાહની દીકરી દુ:ખી તો નથી ને. એ જોવા જાય છે અને હેબતાઇ જાય છે, એમ પોતાના ભેટ આપેલાં એ પુસ્તકનું આખરે શું થયું, એ જાણવા હતાશ લેખક એણે એના પુસ્તકની કબર ઉપર ફૂલ ચઢાવવા જાય છે. અંધારી રાત્રે ગુપ્તવેશપલટો કરીને દોસ્તના ઘરની બહારની દિવાલ પર ચોંટાડેલી સીમૅન્ટની પાઇપ પકડી જીવસટોસટના ખેલો કરતો કરતો એ ઘરમાં દાખલ થાય છે, એ સમયે કહે છે કે, બહાર અંધારી રાતના તમરાં સિસોટીઓ વગાડતા બંધ થઈ જાય છે (આપણે આનું પુસ્તક વાંચવું ન પડે એ બીકમાં) ચંદ્રનું અજવાળું ઝીરોના બલ્બ જેવું થઇ જાય છે.

અગાઉ કદી પણ આવો ખતરનાક સ્ટન્ટ કર્યો ન હોવાથી લેખકને આવા ફફડાટમાં એકી લાગે તો ય છૂટકારો મેળવી શકતો નથી (એ તબક્કે આગળ શું થાય છે, એ જણાવવાથી સાહિત્યિક મર્યાદાભંગ થતો હોવાથી અહીં જણાવતો નથી.) તમે લેખકની પ્રતિબધ્ધતા જુઓ, સાહેબ... પુસ્તકનું જે થવું હોય એ થાય, સાહિત્યના ધોરણો સાફસુથરા રહેવા જોઇએ ! : સાહિત્યના ગૌરવની વાત પૂરી)

મનમાં ફાટતી હોવા છતાં, અંધારામાં દોસ્તના ઘરમાં ઘુસેલા લેખકને ખબર છે કે, પુસ્તકો ઘરના બે સ્થળોએ વંચાતાહોય છે, એક ટૉઇલેટમાં અને બીજું રાત્રે સૂતી વખતે છાતી ઉપર ! કોઇ માળીયે ચઢીને કે રસોડામાં નથી વાંચતું. અંધારામાં એને ટૉઇલેટ શોધવું અઘરૂં તો પડે છે અને શોધાઇ ગયા પછી ઘરનું કોઇ એ વખતે જ અંદર ગયું હોય તો...?

આમાં દરવાજો ખખડાવાય નહિ ! લેખક બિચારાને હવે ખ્યાલ આવે છે કે, જે સાહિત્યનું સર્જન થયું હોય, ત્યાં જ એ વંચાતું હોય છે... કેવળ સર્જક અને શિકાર બદલાય છે, એટલું જ ! એને યાદઆવે છે કે, પંદરસો-બે હજારનીકિંમતનું પોતાનું આ નવું પુસ્તક એણે ચાળીસેક દોસ્તોને વગર વાંકે ગિફ્ટમાં આપ્યું હતું, એ લોકો પછી બદલો લીધા વિના રહે ? વાંચ્યા પછી ભલે ને એને કેજરીવાલના પેટનું કહી દે, પણ કમસેકમ વાંચે તો ખરા !

લેખકને ખાટી હેડકીઓ એટલે આવે છે કે, એ ચાળીસમાંનો એકે ય દોસ્ત કવિ કે લેખક હોતો નથી, જેથી એ લોકો ઉપર વળતો હૂમલો કરી શકાય. એમાંનો એકે ય દોસ્ત કવિ હોત તો, સાલાને બીજા કવિ કે લેખકનો લૅટેસ્ટ સંગ્રહ ગિફ્ટમાં આપત, જેથી જીંદગીભર એ તડપતો રહે ! '...ઐસા ક્યા ગૂનાહ કિયા કે લૂટ ગયે, હો લૂટ ગયે હોઓઓ...!'

એ ભોળીયો બિચારો એ પણ જાણતો હતો કે, આવી તો બીજી ચાળીસ અંધારી રાતોએ ચાળીસ દોસ્તોને ઘેર આમ જ ઘુસવાનું છે, પોતાના ભેટ આપેલા પુસ્તકને પાછું લઇ આવવા ! અગાઉના અનુભવો હશે પણ બાળકો વગર નદીએ ક્યાંક કાગળની હોડી-હોડી જેવું રમતા હોય તો આને પહેલો ફડકો પેસી જાય છે કે, છોકરાઓએે મારા પુસ્તકની હોડીઓ તો નહિ બનાવી હોય ને ! પણ ધ્રાંગધ્રા અને હળવદ બાજુના પૅપર-વિજ્ઞાાનીઓ એવું માને છે કે, કાગળની હોડી તો સારા કાગળમાંથી બને !

એણે અંધારા ડ્રૉઇંગ-રૂમમાં ટૉર્ચ વડે પ્રકાશ ફેંકવાનું મુનાસિબ ન માન્યું. એ જાણતો હતો કે, ડ્રૉઇંગ-રૂમના શો-કૅસોમાં લોકો પોતાની આબરૂ વધે અને બધા જોઇ શકે એવી ઈમ્પ્રેસિવ પુસ્તકો મૂકતા હોય છે, એટલે  મારૂં તો જ ન હોય !

એણે ઘટનાસ્થળે જ ઊભા ઊભા મલકાતું અને અલકાતું એક દિવાસ્વપ્ન જોયું કે, આના ડ્રૉઇંગ-રૂમના શો-કૅસમાં મારૂં પુસ્તક તો નહિ હોય ને ? પણ ત્યાં જ એને કવિ અનિલ ચાવડાનો તોખાર શે'ર યાદ આવ્યો :
'
આંખો ઉપર ચશ્મા ઉપર દ્રષ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઇ ઘણું બધું છે,
'ઘણું બધું છે'કહી દીધાની ઘણી બધી ય ભ્રમણા ઉપર બીજું પણ કંઇ ઘણું બધું છે'

જો કે, આવું વિશફૂલ-થિન્કિંગ કરવા બદલ એને પોતાના ઉપરે ય ગુસ્સો આવ્યો કે, કોઇ જાણીજોઇને આવું પુસ્તક શો-કૅસમાં મૂકીને પોતાનો ડ્રૉઇંગ-રૂમ બગાડતું હશે ? તાબડતોબ એણે અગમનિગમની વાટ પકડી, એટલે કે બાથરૂમની દિશા પકડી. ઘણીવાર જાતકો નહાવામાં બહુ મજા ન આવે તો મહીં બેઠા બેઠા ૨૦-૨૫ પાનાં વાંચી લેતા હોય છે, તો પૉસિબલ છે, મારૂં અડધું વંચાયેલું અને આખું પલળેલું પુસ્તક આ લોકોના બાથરૂમમાંથી મળી આવે !

દોસ્તના ફેમિલી-મેમ્બર્સ પોતપોતાના બેડરૂમોમાં સુતા હતા. હવે એક કિચન તપાસવાનું બાકી હતું કે, છેલ્લી વીસેક-મિનીટની સઘન તપાસ પછી કાંઇ મળ્યું તો નહિ, પણ ભૂખ તો લાગી છે. એના ચેહરા ઉપર સ્માઇલની એક નાનકડી કટકી આવી ગઇ કે, પોતે લેખક હોવા છતાં હજી ય ભૂખો લાગે છે ! જેમ્સ બૉન્ડ હૉલેન્ડના કોઇ અણુ-રીએક્ટર પ્લાન્ટમાં ઘુસતો હોય એમ આ ભોળીયો કિચનમાં ઘુસ્યો. કિચનમાં એગ્સ-બેગ્સ હોય તો ઑમલેટ બનાવી લેવાય... સાથે એકાદ પ્લેટ બ્રેડ-બટરની હોય, પછી ભૂખ્યા લેખકને જોઇએ શું ?

એણે સહેજ પણ અવાજ ન થાય, એ રીતે ફ્રીજ ખોલ્યું. ખુલ્યું તો નહિ, પણ ખેંચાઇને થોડું આગળ આવ્યું. એક બાજુ નમતું હતું. ખેંચ્યું તો વધારે ખેંચાયું... ઓહ માય ગૉડ... અચાનક નીચે નજર પડી તો ફ્રીજના ત્રણ પાયા ઓકે હતા પણ ચોથો ડગુમગુ હતો, એટલે આ લોકોએ ટેકા માટે આનું પુસ્તક  ચોથા પાયામાં નીચે મૂકી દીધું હતું.

દેવી-દેવતાઓ આકાશમાં રહેતા હશે, એમ માનીને બાથરૂમની બારીમાંથી એણે ઊંચે આકાશમાં જોઇ પ્રાર્થના કરી, ''હે ઈશ્વર... હવે મરી જઇશ પણ મારૂં નવું એકે ય પુસ્તક કોઇ દોસ્ત-ફોસ્તને ભેટ નહિ આપું...''

સિક્સર
હવે દરેકના વૉટ્સઍપમાં બિલકુલ ફ્રી 'વિડીયો-કૉલિંગ'આવી ગયું છે અર્થાત જેની સાથે વાત કરો છો, એનો ચેહરો પણ જોઇ શકાય છે અર્થાત... હવે વૉટ્સઍપ ઉપર કારમો કન્ટ્રોલ આવશે... આજ સુધી તો સાલી ખબર નહોતી કે, સામોવાળો કે સામેવાળીનું ડાચું કેવું છે...!

મુગલ-એ-આઝમ ભાગ-૩...

$
0
0
(ગયા અંકથી ચાલુ) 
(૧૮) ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો પ્રીમિયર અમદાવાદના કૃષ્ણ અને નૉવેલ્ટી સિનેમામાં યોજાયો હતો. એ વખતે ટિકીટના ભાવ ₹ ૧/- લોઅર સ્ટોલ્સ (જેને લાડમાં 'રૂપીયાવાળી'કહેવાતી !), અપર સ્ટોલ્સના ₹ ૧.૪૦, અને બાલ્કનીના ₹ ૧.૬૦. (આ ૪૦ કે ૬૦ એટલે શું, એ આજની જનરેશનના છોકરાઓને નહિ સમજાય. વડીલોને પોતાને સમજણ પડતી હોય તો છોકરાઓને સમજાવવા કે, અપર અને બાલ્કની વચ્ચે કેવળ ₹ ૦.૨૦ પૈસાનો જ ફરક હોવા છતાં મોટા ભાગના પ્રેક્ષકોને એ ૨૦ પૈસા પોસાતા નહોતા અને અપર ફૂલ થાય તો જ બાલ્કની લેતા... ૨૦ પૈસા માટે બસ્સો રૂપિયાનો જીવ બાળતા ! 

પણ જીવ ત્યારે નહોતો બળતો કે, આ 'મુગલે-એ-આઝમ'ની ટીકીટો બ્લેકમાં ₹ ૧૦૦/- ઉપર વેચાતી આ લખનારે નજરે જોઈ છે. 

(૧૯) છાતી સોંસરવો આઘાત એ વાતે લાગી જાય કે, આટલી મહાન ફિલ્મને ૧૯૬૦ના ફિલ્મફૅર ઍવોર્ડસ ફંકશનમાં 'શ્રેષ્ઠ ફિલ્મ'ને બાદ કરતા બીજા બે અણધાર્યા ઍવોર્ડસ જ મળ્યા. શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ ફિલ્મ 'પરખ'માટે બિમલ રોયને મળ્યો. બેસ્ટ એકટર માટે રાજ (છલીયા), દિલીપ (કોહિનૂર) અને દેવ (કાલા બાઝાર) ત્રણે નોમિનેટ થયા હતા, પણ મળ્યો દિલિપને કોહિનૂર માટે, મુગલે-આઝમ માટે નહિ. આમાં આઘાત એ વાતનો હતો કે, કોઈ પણ માપદંડથી સર્વોત્તમ અભિનેતાનોએ એવોર્ડ તો પૃથ્વીરાજ કપૂરને જ મળવો જોઇતો હતો, પણ ફિલ્મફૅરના વ્યવસ્થાપકો શ્રેષ્ઠ રોમેન્ટિક હીરોને શોધતા હોય, શ્રેષ્ઠ એકટરને નહિ. હીરોઇનમાં પણ ફિલ્મ 'છલિયા'ની નૂતન અને આ ફિલ્મની મધુબાલાને પાછળ રાખીને ફિલ્મ 'ઘુંઘટ'ની બીના રોયને એવોર્ડ અપાયો. પણ સૌથી અનપેક્ષિત એવોર્ડ શંકર-જયકિશનને ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ'ને મળ્યો, નૌશાદને આ ફિલ્મ માટે નહિ... 

અરે, નૌશાદથી આગળ તો ફિલ્મ 'ચૌદહવીં કા ચાદ'માટે રવિ આગળ હતા. 'દિલ અપના...'ના બેમિસાલ સંગીતને તો કોણ ભૂલી શકે, પણ 'મુગલે-એ-આઝમ'ની સરખામણીમાં એનું સંગીત એવોર્ડ જીતી જાય, એ સમજવું અઘરૂં હતું. યસ. સર્વોત્તમ સંવાદો માટેનો એવોર્ડ ચાર લેખકોમાં વહેંચાયો હતો અને તે ચારેય ય ઉત્તમ જ હતા, ઝીનત અમાનના પિતા અમાન (અમાનુલ્લાહ ખાન), વજાહત મીર્ઝા, કમાલ અમરોહી અને એહસાન રિઝવી. 

આ અમાને ફિલ્મ 'પાકીઝા'ના સંવાદો પણ લખ્યા હતા. ઝીનત અમાનની મા એ પછી કોક જર્મનને પરણી અને ત્યાં જ સેટલ થઇ, પણ ૧૮ની ઉંમરે પહોંચ્યા પછી ઝીનત ઇન્ડિયા પાછી આવી. ફિલ્મ એકટર રઝા મુરાદ ઝીનતનો ફર્સ્ટ કઝિન એટલે કે સગા કાકાનો દીકરો, મતલબ ચરીત્ર અભિનેતા મુરાદ ઝીનીના સગા કાકા થાય. એવી જ રીતે શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે આર.ડી.માથૂરને પુરસ્કાર મળ્યો હતો. 

(૨૦) ફિલ્મની પબ્લિસીટીના એક ફોટામાં કરીમુદ્દીન આસિફ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને બે હાથ જોડીને પ્રણામ કરતા દર્શાવાયા છે. આજના માહૌલ મુજબ તો આ ફોટાને કારણે આસિફ સા'બને ઝનૂની મુશ્કેલીઓમાં આવવું પડયું હોય, પણ એ જમાનામાં હિંદુ-મુસલમાન બન્ને કૌમોમાં સાચી ધર્મનિરપેક્ષતા હતી એટલે કોઈએ વિરોધ નોંધાવ્યો નહિ. શહેનશાહ અકબરને પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણની મૂર્તિને પગે લાગતા દર્શાવાયા છે. 

(૨૧) અમિતાભ બચ્ચને રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં કીધું છે 'મેં મુગલ-એ-આઝમ'કેટલી વાર જોઈ હશે એ પણ યાદ નથી. સ્કૂલ-કૉલેજના જમાનામાં અનેકવાર જોયા પછી ઈવન આજે પણ જ્યારે ઘેર નવરો પડું ત્યારે ફરીથી જોઇ લઉં છું. 

(૨૨) વાંચવી ખૂબ ગમે અને કાયમ યાદ રહી જાય એવી માહિતી કરિના કપૂરની છે. એણે ૫-૭ વાર તો આ ફિલ્મ જોઈ જ છે, પણ ફિલ્મોમાં આવતા પહેલા હું મારી બહેન કરિશ્મા કપૂર અમારા દાદાજી (રાજ કપૂર)ને પૂછીએ કે, 'એક્ટિંગ શીખવા માટે અમારે કઇ ફિલ્મ જોવી જોઇએ ?'તો એમણે આ ફિલમ પર આંગળી મૂકી.   

(૨૩) ફિલ્મના દરેક પાત્ર પાસે આસિફે જે અંદાજથી અવાજ કઢાવ્યો છે, તેમાં જે તે પાત્ર કરનાર કલાકાર કરતા આસિફનું નકશી કામ વધુ જણાય છે. મધુબાલાનો પ્રત્યેક સંવાદ દર્દથી છલકતો છે. આખી ફિલ્મમાં મધુને ઉમંગ સાથે વાત કરવા મળી નથી. 

'હમારા હિંદુસ્તાન તુમ્હારા દિલ નહિ, જીસમેં એક લૉન્ડી જીસકી મલિકા બને'એવા મહારાણીભર્યા સત્તાવાહી અવાજે પુત્ર સલિમને સંભળાવી દેના જોધાબાઈ (દુર્ગા ખોટે) જ્યારે એ જ સલિમના યુધ્ધક્ષેત્રથી આગમન પર ખુશીયોથી બૌછાર વચ્ચે બન્ને કાન પર હાથ દબાવી દઇને ચહેરો ખુશીઓથી ભરી દઈને એક મહારાણી નહિ, મા ના કંઠમાં દીકરાને યાચનાભર્યા સ્વરે વિનંતી કરતા, 'મેરી તો દોનોં તરફ સે હાર હૈ' ! 'શેખુ, યે ગરીબ બાપ શહેનશાહ અકબર કે ઉસુલોં સે મજબુર હૈ'યાચનાભર્યા સ્વરે કહેનાર એ જ પૃથ્વીરાજ કપૂર જ્યારે પિતા નહિ પણ સત્તાવાહી શહેનશાહ બનીને પોતાના એ જ કઠોર ઉસુલોં સાથે ખલનાયકની ભાંતિ કહી દે છે. ''ખુદા તુમ્હે જલાલે-અકબરી સે મહેરૂમ રખ્ખેં !'' 

આ જ સરખામણી આવી જ લૅજન્ડરી ફિલ્મ 'શોલે'ના કિરદારો સાથે કરો, તો 'શોલે'નું દરેક કૅરેકટર પહેલો સંવાદ ૅજ ટોન અને બોલી (ડાયલેક્ટ)માં બોલે છે, એ પૂરી ફિલ્મમાં એકધારો રહે છે. આ સરખામણીથી 'શોલે'કે અન્ય કોઈ ફિલ્મને સહેજ પણ નીચી બતાવવાનો પ્રયાસ નથી, પણ કંઠ પાસે આવું કામ કે.આસિફ જ લઇ શકે, એ તો બેશક સાબિત થાય છે. અંગત જીવનથી માંડીને ફિલ્મી પરદા ઉપર પુરબહાર સૅક્સી અને ગ્લેમરસ દેખાતી આ ફિલ્મની 'બહાર'એટલે કે કે.આસિફની જ પત્ની નિગાર સુલતાનાએ પણ એક વૅમ્પને છાજે એવો મદભર્યો અવાજ ફિલ્મમાં કાઢ્યો છે. 

(૨૪) આ ફિલ્મ બનતા પૂરા ૧૬ વર્ષ નીકળી ગયા હતા, એનું મૂળ કારણ 'પરફેકશન'માટે આસિફની જીદ અને બીજા નંબરે રોજેરોજ વધતું જતું તોતિંગ બજેટ, જે ફિલ્મ બનવાની હતી ત્યારે ટોટલ ખર્ચ રૂ. ૧૫ લાખ (એ જમાનામાં) અંદાજવામાં આવ્યો હતો અને ૧૬ વર્ષમાં એ આંકડો રૂ. દોઢ કરોડ પાર કરી ગયો હતો. હજી રંગીન ફિલ્મો ભારતમાં પૂરતી કાર્યરત થઇ નહોતી, અલબત્ત, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સે પણ બહુ રાહો જોઇ હતી ને એ ય થાકી ગયા હોવાથી આસિફને ફિલ્મને એ બે રીલ્સ જ રંગીન બનાવીને સંતોષ માનવો પડયો હતો. પણ આટલા વર્ષો પછી પૂરી ફિલ્મ નવેસરથી પ્રોસેસ કરાવીને રંગીન બનાવવાનો ખર્ચ તો અસલ ફિલ્મથી ય વધી ગયો અને જહે નસીબ... આખો દાવ ઊલટો પડયો. રંગીન થઇને આવેલી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મ જોવાનો આજની નવી પેઢીને કોઈ મોહ નહતો અને નવેસરથી ફિલ્મ થીયેટરોમાં રજુ કરવા છતાં 'મુગલે-એ-આઝમ'બહુ બુરી રીતે પિટાઈ ગઈ...! 

(૨૫) ફિલ્મમાં અકબર સલિમને જુદા જુદા નામે બોલાવે છે. 

એ પોતે શહેનશાહ તરીકે વાત કરતા હોય ત્યારે પુત્રને 'સલિમ'કહે છે. મહેલની બાંદીઓ (દાસીઓ) કોઈ સંદર્ભમાં વાત કરતી હોય ત્યારે પુત્ર માટે અકબર તુમ્હારે 'સાહેબે આલમ'શબ્દો વાપરે છે, પણ વહાલ કે દર્દથી પુત્ર સાથે વાત કરતા હોય ત્યારે 'શેખુ'કહે છે. મહારાણી ઇમોશનલ થાય ત્યારે સલિમને 'ચંદા'કહીને લાડથી બોલાવે છે. અન્ય દરબારીઓ કે સલીમનો દોસ્ત અને રાજા માનસિંહનો પુત્ર દુર્જન (અજીત) સલિમને શહેનશાહના 'વલી-એહદ'ને નામો બોલાવે છે. અનારકલીનું ઘરનું નામ 'નાદિરા'છે, પણ અકબરી-દરબારમાં ઇલ્કાબરૂપે એને 'અનારકલી'નામ મળ્યું હતું. શહેનશાહ અકબર પોતાને તો શહેનશાહને નામે જ ઓળખે છે, છતાં એમની મહારાણી (દુર્ગા ખોટે), એમનો ભાઈ રાજા માનસિંહ અને ભત્રીજો દુર્જન એમને 'મહાબલી'કહીને બોલાવે છે. દરબારી સંબોધનમાં શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર કહેવાય છે. 

(૨૬) દિલીપ કેટલો મહાન અભિનેતા હતો કે, કયો સંવાદ કેવી કોમળતા કે કઠોરતાથી બોલાય, એમાં એના અવાજમાં મીઠાશ કે સખ્તાઇની સીધી ચોટ જેટલી અનારકલી કે અકબરનેવાગે, એટલી જ પણને વાગે. એને અજીત પૂછે છે, 'શેહજાદે, ક્યા ઝખ્મ ધોયે નહિ જાયેંગે ? ત્યારે ખુદ ખય્યામરૂબાઈ બનીને બોલતા હોય, એવી નાજુકાઈ અને મીઠાશથી દિલીપ બોલે છે, 'યે ઝખ્મ નહિ, ફૂલ હૈ દુર્જન... ઔર ફૂલોં કા મૂરઝાના બહાર કી રૂસ્વાઇ હૈ...!'માય ગૉડ... આવી અસર તો કેવળ દિલીપકુમાર જ ઊભી કરી શકે. 

બીજી બાજુ, શેહજાદો હોવા છતાં, એની નજર સામે શહેનશાહના હૂક્મથી એની પ્રેમિકા અનારકલીની ધરપકડ થવા છતાં લાચાર બનીને ઊભા રહી જવા સિવાય એ કાંઈ કરી શક્તો નથી, ત્યારના સંવાદમાં આ બન્ને ગ્રેટ અદાકારોની અવાજ અને હાવભાવ ઉપરનો કાબુ તો જુઓ  :  'અનારકલી કૈદ કર લી ગઈ, ઔર મૈં દેખતા રહા...'જવાબમાં જીલ્લે-ઈલાહી કહે છે,'ઔર તુમ કર ભી ક્યા સકતે થે ?'ત્યારે એક પુત્ર જ નહિ, સામાન્ય માણસના આક્રોશ જેવો અવાજ કાઢી સલિમ કહે છે, 'એક અઝીમુશ્શાન શહેનશાહ કે આગે કોઈ કર ભી ક્યા સકતા હૈ ?'આ લેખ લખનારની દ્રષ્ટિએ પૂરી ફિલ્મના આ સર્વોત્તમ સંવાદો છે. 

(૨૭) ૧૪ વર્ષ રણભૂમિમાં વિતાવીને શેહજાદો એના લાવલશ્કર સાથે સલિમ પાછો ફરે છે, તે દ્રષ્ય મહેલના ઝરૂખામાંથી લેવાયું હોય, એવી ઇફેક્ટ ઊભી કરવામાં આવી છે. દૂરથી લશ્કર હળવે હળવે આવતું દેખાય, એ જગ્યા આસિફને ખૂબ પસંદ પડી ગઈ હતી, પણ ત્યાં વેરાન જમીન ઉપર વીજળીના થાંભલા રોપાયા હતા. મુગલીયા કાળમાં તો વીજળી હતી નહિ, એટલે આસિફે સરકારી ખાતાઓમાં દોડધૂપ કરીને એ થાંભલા હટાવવાના ઓર્ડરો મેળવી લીધા. એ વાત જુદી છે કે, એને માટે આસિફને કામ પતી ગયે એ જ થાંભલા ફરી જડી આપવાનો રાજસ્થાન સરકારને સત્તાવાર ખર્ચો ઉપરાંત સરકારી બાબુઓના ખિસ્સાં તરબતર કરવા પડયા હતા. 

(૨૮) મધુબાલા-દિલીપકુમાર વચ્ચેનો રોમાન્સ આ ફિલ્મની અધવચ્ચે કડવો અને નામશેષ થઇ ગયો હતો. મોટા ભાગની ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે સંપૂર્ણ અબોલા હતા, સિવાય કે મધુના ચેહરા ઉપર પીંછુ ફેરવવાના ક્લાસિક પ્રેમદ્રષ્યો વખતે મધુબાલાના પિતા અતાઉલ્લાહખાન (જે દિલીપકુમારને સખ્ત નફરત કરતો હતો) ને ખબર ન પડે માટે કે.આસિફે આપણા ગુજરાતી ફિલ્મ પત્રકાર તારકનાથ ગાંધીને અતાઉલ્લાહ સાથે તીનપત્તી રમતા રહીને 'હારવાના'મબલખ પૈસા આપ્યા હતા, જેથી અંદર સ્ટુડિયોમાં ચાલી રહેલા પ્રેમદ્રષ્યોમાં ડોહા ફાચર ન મારે ! 

અલબત્ત, અડધી ફિલ્મે મધુ-દિલીપનો રોમાન્સ ઝેરીલી કડવાશથી તૂટી ગયો એની દાઝ દિલીપ ફિલ્મના નાજુક દ્રષ્યના શૂટિંગ વખતે કાઢી હતી, જેમાં કેદખાનામાંથી મુક્ત થયેલી અનારકલી ઉપર ક્રોધિત ભરાયેલો સલિમ એને સખત હાથે થપ્પડ મારી દે છે, એ થપ્પડ ફિલ્મી ઢબે હવામાં મારી દેવાને બદલે દિલીપે સાચેસાચ મધુના ગાલ ઉપર મારી દીધી હતી. મુંબઇના ગીરગામની અદાલતમાં બી.આર.ચોપરાએ મધુબાલા સામે ફ્રોડના કરેલા કેસમાં દિલીપે ચોપરાની તરફેણમાં જુબાની આપી હતી, જેથી મધુ પણ ખીજાઈ હતી. 

(૨૯) 'પ્યાર કિયા તો ડરના ક્યા...'નૃત્યગીત વખતે શહેનશાહ અકબરની લાલઘુમ આંખો બતાવવા પૃથ્વીરાજ કપૂરે સ્ટુડિયોમાં સગડી મંગાવી આંખમાં મરચાનો ધૂમાડો લીધે રાખ્યો હતો. સોહરાબ મોદીની ૧૯૪૧માં બનેલી ફિલ્મમાં પૃથ્વીરાજને ગ્રીસના એ વખતના મૅસેડોનિયાનો શહેનશાહ સિકંદરનો કિરદાર નિભાવવાનો છે, જેમાં એનો પોષાક ઢીંચણથી ઊંચો હોવાથી એક મસ્ક્યૂલસ મર્દને છાજે એવા એના સાથળો કસાયેલા બતાવવાના હતા, વાસ્તવિક્તાના આગ્રહી પૃથ્વીરાજે ફિલ્મના સ્ટુડિયોમાં જ દોઢસો ઉઠબેસ કરીને સાથળો ફૂલાવ્યા  અને પછી શોટ લેવાયો. 

(૩૦) આસિફે એ વખતે ઇ.સ. ૧૯૬૦માં રજૂ થયેલી આ ફિલ્મે બ્લૅક-એન્ડ-વ્હાઇટના બે રીલ્સ ટેકનિકલર કરાવ્યા હતા. પૈસાના અભાવે એથી આગળ વધી શકાય એમ નહોતું અને 'મુગલ-એ-આઝમ'ને રંગિન શાહકાર બનાવવાનું સપનું એક સપનું રહી ગયું.   

(૩૧) ફિલ્મમાં યુધ્ધના દ્રષ્યો ઇવન આજ સુધીની હિંદી ફિલ્મો માટે એક મિસાલ છે. આસિફે પૈસો ખર્ચ્યો નથી... ઊડાવ્યો છે. તમે લમ્પસમ એટલું ગણીત માંડો કે, યુધ્ધના શૂટિંગ માટે ભારતીય લશ્કરની જયપુર કેવેલરીની ૫૬મી રેજિમેન્ટમાંથી ૮,૦૦૦ ટ્રુપ બોલાવવામાં આવી હતી, તે સાથે ૨૦૦૦ ઊંટો, ૪૦૦-ઘોડાઓ, ૭૫ હાથીઓને યુધ્ધના શૂટિંગમાં ઉતારવાનો મિનિમમ ખર્ચો જ કેટલો આવે ? સૈનિકોના હાથમાં ભાલા-બરછી-તીરકામઠા અને બખ્તર, રોજનું જમવાનું, ઘાસચારો, રહેવાના તંબુઓ, લશ્કરના જવાનો માટે સવારનો તમામ સામાન અને આટલા મોટા રણમાં દર કલાકે પાણીનો છંટકાવ...! અનેક દ્રષ્યોમાં એક સાથે ૧૪ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. 

(૩૨) 'મુગલ-એ-આઝમ'ઉર્દુ ઉપરાંત તમિળ અને ઇંગ્લિશમાં ય બની હતી. તમિળમાં ડબ થયેલી આ ફિલ્મનું નામ 'અકબર'રાખવામાં આવ્યું હતું, પણ ફિલ્મ સદંતર ફ્લોપ થવાથી ઇંગ્લિશ ફિલ્મ માંડી વાળવામાં આવી હતી. 

(૩૩) અગાઉ બે વખત પરણી ચૂકેલા કે.આસિફે દિલીપકુમારનીસગી બહેન અખ્તરમાં ઝોલ નાંખી એની સાથે પરણી ગયો, એનો દિલીપને દાઝી જવાય એવો ઝાટકો લાગ્યો હતો. આસિફ સાથે બોલવાનું બંધ પણ ફિલ્મના ઐતિહાસિક પ્રીમીયરમાં ય દિલીપ ગયો નહોતો. નહિ તો બન્ને જીગરી દોસ્ત હતા. આસિફના મામા એન. નઝીરની પત્ની (એટલે આસિફની સગી મામી)ને ભગાડીને લઇ ગયો, ત્યારે પણ નઝીર પણ દિલીપનો જીગરી દોસ્ત હતો. આ એસ. નઝીરને દિલીપે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં નાના મોટા રોલ અપાવ્યા છે. પણ આસિફ તો જૂનો દોસ્ત અને આ એ દિવસો હતા, જ્યારે સુરૈયા-દેવ આનંદનું પ્રેમપ્રકરણ હિંદી ફિલ્મોના મોટા ભાગના મુસલમાન મોટા માથાઓને અકળાવતું હતું, જેમાં નૌશાદ, મેહબૂબ ખાન, કે.આસિફ, દિલીપકુમાર...  બન્નેને તોડવાના આ લોકોના પ્રયત્નો સફળ પણ થયા, પણ આસિફ-અખ્તરની પ્રેમકહાણી બર્દાશ્ત કરી ન શકનાર દિલીપે દેવ-સુરૈયાની જોડી તોડવા કે.આસિફની પાસે એક ફિલ્મ શરૂ કરાવી- સુરૈયા-દિલીપને લઇને ! એમાં પહેલા જ દિવસે સીન એવો રખાયો કે, સુરૈયાના હોઠ પર સાપ કરડે છે, એનું ઝેર ચૂસી લેવા દિલીપ પૂરજોશ મહેનતે લાગી જાય છે અને દર વખતે 'એવું'ઝેર ચૂસ્યા પછી (અગાઉથી નક્કી કર્યા મુજબ આસિફ 'કટ'કહી દે, એટલે પેલો શોટ ફરી લેવો પડે. આવું બે-ત્રણ વાર થતા સુરૈયાને ગંધ આવી ગઈ ને સ્ટુડીયોમાં જ એના પહેલવાન મામાને ફોન કરીને બોલાવ્યા. બધી વાત કરી અને જોનારાઓના કહેવા મુજબ, મામાએ દિલીપને સારી પેઠે ઠમઠોર્યો હતો. ફિલ્મ તો પછી બની જ ક્યાંથી હોય ! હિંદી ફિલ્મોમાં કાસ્ટિંગ-કાઉચની શરૂઆત એ.આર.કારદાર ને દિલીપકુમારે શરૂ કરી હતી. 

(૩૪) આ ફિલ્મશ્રેણીનું જાયન્ટ પુસ્તક બે ભાગમાં બહાર પડી ચૂક્યું છે અને આ ત્રીજો ભાગ તૈયાર થઇ રહ્યો છે. અગાઉ અઢીસો ફિલ્મોના રીવ્યૂ લખ્યા, એમાં આજની ફિલ્મ 'મુગલે-એ-આઝમ'એક જ એવી છે, જેને માટે અહીં ત્રણ હપ્તામાં લખ્યું છે. 

વાચકોને આવી સર્વોત્તમ ફિલ્મ જોવાની અપીલ કરી શકું. આવી ફિલ્મ વર્ષે પાંચ વર્ષે તો જાવા દિયો, બન્યા પછી બીજી એકે ય આવી નથી - સિવાય 'પાકીઝા'. 

જોશો તો... ઓહહોહો... મારા માટે ય તમારૂં માન વધી જશે ! 

ઍનકાઉન્ટર : 18-12-2016

$
0
0
* નેતાઓના ઘેર ઈન્કમટેક્સની રેડ કદી પડતી નથી. સુઉં કિયો છો ?
-
પડતી હોત તો એ નેતા ન હોત !
(
ધવલ જે.સોની, ગોધરા)

* કર્મના સિદ્ધાંતમાં માનો છો ?
-
હા, પણ માન્યા પછી શું કરવાનું હોય, તેની ખબર નથી !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* યુ.પી.ની અદાલતે ૯૫-વર્ષની ઉંમરના કાકાને જનમટીપની સજા સંભળાવી. આપ સુંઉ કિયો છો ?
-
હુકમ કી તામિલ હો...
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* પતંગનું આકાશમાં ઊડવાનું કારણ શું ?
-
ટીવીમાં ય ઊડે છે.
(
હિરેન લાઠીદડીયા, તળાજા)

* ઈન્ડિયન આર્મી અને પાકિસ્તાની આર્મી વચ્ચે તફાવત શું ?
-
પાકિસ્તાન આર્મીને સામેથી આવતી ગોળીઓનો જ ખૌફ રહે છે, પાછળથી આવતી ગોળીઓનો નહિ !
(
સુનિલ એન. રાવલ, સુરત)

* 'એનકાઉન્ટર'કોલમ ક્યારેક આડી, ક્યારેક સીધી, ક્યારેક ઊભી... કેમ એક જગ્યા ફિક્સ નથી ?
-
આ બધી કસરતોમાં વાચકોને એકે ય વાર આડા, સીધા, વાંકા, ત્રાંસા કે ઊભા થઈ જવું પડયું છે ?
(
સુરેશ ભાટીયા, મુંબઈ)

* તમને એક એનકાઉન્ટર કરતા કેટલો સમય લાગે ?
-
'એનકાઉન્ટર'નહોતું, એ સમજાવવામાં વર્ષો નીકળી જાય છે !
(
જીયા સંજયભાઈ અંધારીયા, ભાવનગર)

* તમારી પાસે આટલું બધું ફિલ્મી જ્ઞાન ક્યાંથી આવ્યું ?
-
ફિલ્મ 'જવેલ થીફ'માં દેવ આનંદ એની મા ને કિમતી હાર બતાવીને કહે છે ને, ''સબ ચોરી કા માલ હૈ...''
(
શૈવાંશી શૈવ, વડોદરા)

* મેં ૫-૭ વાર પ્રશ્નો પૂછ્યા, પણ સમજાતું નથી કે મારા સવાલો સીલેક્ટ કેમ થતા નથી... કે સમજાતા નથી ?
-
વાચકો ઘણા વખતથી આ સ્ટાઇલ ઉપાડી લાવ્યા છે. પણ એમાં નુકસાન તમને છે. સવાલ તો પૂછાયો નથી !
(
ધવલ અનડકટ, રાજકોટ)

* સાક્ષી અને સિંધૂ જેવી બેટીઓએ ભારતનું નાક રાખ્યું, પણ બેટાઓ શું કરે છે ?
-
એ દરેક બેટાને ફાળે આવેલી જે તે રાજ્યની સ્પોટર્સ-બોડી વિશે જાણશો, તો આવી નારાજગી નહિ રહે !
(
ડૉ. નીલેશ ત્રિપાઠી, અમદાવાદ)

* ભારત માતાની સાચી 'જય'ક્યારે બોલાશે ?
-
એ તો સદીઓ પહેલાથી બોલાતી આવી છે ને સદીઓ પૂરી થયા પછી ય બોલાતી રહેશે, બોલો 'જયહિંદ'.
(
પ્રફૂલ્લ જે. બારોટ, બાબરા-અમરેલી)

* અમદાવાદના ઈસનપુરમાં તળાવ છે, પણ વિકાસ ન થયો. વસ્ત્રાલમાં તળાવ નથી, ત્યાં ખોદીને તળાવ બનાવે છે. આને વિકાસ થયો કે ભ્રષ્ટાચાર ?
-
ઈસનપુરવાળું તળાવ ખસેડીને વસ્ત્રાલ લઈ જવાય, તો કોઈ ઉકેલ આવે એમ છે ?
(
સની કાચવાલા, અમદાવાદ)

* અત્યારે વિદ્યાર્થી શિક્ષકની ઈજ્જત કેમ નથી કરતો ?
-
સારા શિક્ષકોને આ સવાલ નડતો નથી.
(
ફૈઝલ નેદરીયા, ગાંધીનગર)

* ગુલામનબી આઝાદ કે દિગ્વિજયસિંઘ જેવા અમીચંદો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?
-
એ પોસિબલ નથી. મોટા ભાગની ટીવી-ચેનલો કોંગ્રેસ, ભાજપ કે ઈવન શિવસેનાને વેચાયેલી હોય છે.
(
ઠાકોરભાઈ દેસાઈ, ગણદેવી)

* શ્રાવણ મહિનો આવતા જ લોકોને પત્તાં ટીચવાના ધખારા કેમ ઉપડતા હશે ?
-
લે... એટલું ય ના ઊપડે... ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* હાલના મંત્રીમંડળમાં તમને ક્યું નામ વધારે ગમે છે ?
-
શ્રી રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલ... એ જ એક દિવસ ભારતના વડાપ્રધાન બનશે.
(
મુકેશ પડસાળા, અમદાવાદ)

* આપણે બ્રિટીશરાજમાં હાલની ભ્રષ્ટ સરકાર કરતા વધુ સુખી હતા, એ તમે સ્વીકારો છો?
-
સહેજ પણ નહિ ! રાજ કપૂરે સરસ કીધૂ હતું, 'લાખ લુભાયે મહલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...'
 (
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* મહિલાઓ શા માટે પોતાની સાચી ઉંમર છુપાવે છે ?
-
જે પોતાને ભરચક યુવાન માનતી હોય, એણે ઉંમર છુપાવવી પડતી નથી.
(
દીપક પંડયા, બિલિમોરા)

* 'ઓશો'વિશે શું માનો છો ?
-
એમણે કીધેલી એક પણ વાત કોઈને પણ ન ગમે, એવું શક્ય નથી... પણ એમની વાતો વ્યાવહારિક જીવનમાં ઉતારવી ય શક્ય નહોતી.
(
હિરેન મેંદાપરા, સુરત)

* સિર્ફ પાનવાલા પૂછે છે, 'સાહેબ, ચૂના લગાઉં... ?'બીજા પૂછ્યા વિના ચૂનો લગાવી જાય છે. એમ કેમ ?
-
તમે ઘણા ઊંચા સ્થાને પહોંચ્યા હો, ત્યારે તમને ચૂનો લગાવનારા મળે... બાકી તો બીજાને બસ, માખણ લગાવનારા જ મળે !
(
રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગોમાં અગ્નિશામકો રાખવામાં આવે છે, પણ શું એ ઘરની આગ બુઝાવી શકે ?
-
અગ્નિશામક તો જાવા દિયો... એક વાર વાઇફ ઉપર બેગોન-સ્પ્રે તો છાંટી જોજો !
(
નૈષધ અંતાણી, ભૂજ-કચ્છ)

* મારા સવાલના જવાબો નહિ આપવાની કઈ સજા તમને જોઈએ ?
-
આપ્યો એનું ઈનામ શું ?
(
રાધિકા મયૂર ઢોલા, ભાવનગર)
(માની નથી શકાતું કે, પોતાના સવાલો છપાય નહિ, એનું એક માત્ર કારણ પોતાનું નામ, સરનામું કે મોબાઇલ નંબર નહિ લખવાનું હોવા છતાં, રોજના સરેરાશ પચાસ વાચકોના ઈ-મેઈલ રદ કરવા પડે છે, ને તો ય એ વાચકો વિગતો પૂરી લખતા નથી.)

એમને ખોટું બહુ લાગી જાય...!

$
0
0
નપુંસક લોકોને ખોટાં જલ્દી લાગી જાય છે. તમને તો ખબરે ય ન હોય કે તમારી કઇ વાતનું એમને ખોટું લાગ્યું છે ! સ્પષ્ટતા કરવાની એમનામાં હિમ્મત હોતી નથી અથવા એમની વાત સાચી લાગે ને તમે માફી માંગવા જાઓ, ત્યારે નાટક કરે કે, ''ના રે ના... મને કાંઇ ખોટું લાગ્યું નથી.''તમે એકાદવાર પૂછ્યું ય હોય,''કેમ, કાંઇ મૂડમાં નથી ? સરખી રીતે બોલતા નથી...  ‘Hope, everything is fine between us, na...?’

બસ. અહીં એમની કાયરતા એની બુલંદી ઉપર આવી જાય. પુરૂષ હોય તો ય તાજો તાજો વિધવા બન્યો હોય, એવા મોંઢે અને આડું જોયેલા બે-સેકન્ડીયા સ્માઇલે કહેશે, ''ના ના... મને કાંઇ નથી થયું... ઈટ્સ ઑકે... આઇ એમ ફાઇન...!''

તારી ભલી થાય ચમના. તો પછી મને જોતાની સાથે જ તું શેનો તરડાવા માંડે છે ? આજ પછી મારી સાથે સંબંધ ચાલુ રાખવાનો હોય (ને પહેલા જેવો જ ચાલુ રાખવાનો હોય) તો હિંમતથી ખુલાસો કર કે, ''અમે તમારા ઘેર આવ્યા, ત્યારે તમારી વાઇફે ચાનો ય ભાવ નહોતો પૂછ્યો, એનું દુ : ખ થયું છે !''

આટલી  સ્પષ્ટતાથી આવનારા અનેક વર્ષોની ગેરસમજ કેવી દૂર થઇ જાય !

એટલું જ નહિ, અહીં તું સાચો હોઇશ ને ચા નહિ મૂકવા બદલ, મારી વાઇફની ધૂળ કાઢી નાંખવાની મારામાં હિમ્મત હશે તો બેશક જે કાંઇ હશે એનો સાચો ખુલાસો તારી પાસે કરીશ... નૉટ ઑન્લી ધૅટ, હું સંપૂર્ણપણે ગુજરાતીમાં બધાની વચ્ચે તારી માફી માંગીશ ને એમાં હું પાછો ય નહિ પડું. પોતાને જન્મજાત મરદજાત ગણનારાઓમાં સદીઓથી હજી અમારૂં નામ હાલ્યું આવે છે. ઈરાદા વગરની ભૂલ કરનારાઓને ખેલદિલીપૂર્વક માફી માંગતા શરમ આવતી નથી કેકોઇના બાપની  બીકે ય લાગતી નથી.

...
ઍન્ડ જસ્ટ થિન્ક ઑફ ઈટ ! માની લો કે, મને મારી ભૂલ ન લાગી. ગેરસમજ તારી હતી. તું ખુલાસો કરવાની કે પૂછવાની હિમ્મત ન કરી શક્યો એમાં આપણાં બન્નેના સંબંધો તુટવાના કગાર ઉપર આવી ગયા. તો શું કરવું ? જસ્ટ બીકૉઝ, તું ખુલાસો નથી કરતો અને મને મારા ગૂન્હાની જાણ નથી, એટલી જ વાત ઉપર કાયમ માટે આપણા સંબંધોના ડબલાં ડૂલ...???

બેવકૂફ, તારે કશું કરવાનું જ નથી, સિવાય જે કાંઇ હોય, સ્પષ્ટતાપૂર્વક મને પૂછી જોવાનું કે, તમારા ઘરમાં અમારા માટે ચા મૂકાવા જેટલો ય આદર નથી ?

પહેલા તો કહી દીધું ને કે, ભૂલ જ હશે તો ચોખ્ખી ગુજરાતીમાં માફી કેવળ સિંહલોકો માંગતા હોય છે ને એવા સિંહ અમે છીએ જ, પણ ક્યાંક ગેરસમજણ કે શરતચૂક હશે કે ઉતાવળનું બેધ્યાનપણું હશે-જે માફ ન જ કરી શકાયપણ અમારા ધ્યાનમાં ન આવ્યું હોય તો તું કહીશ તો કાચી સેકન્ડમાં ખુલાસો થઇ જશે ને આવનારા છસ્સો વર્ષો સુધી આપણા સંબંધો બગડતા અટકી જશે. આ સંબંધ બચાવવો તારા જેવા નબળાઓના હાથમાં હોય છે. અમારા જેવી (છપ્પનમાંથી વીસ જાય એવી) છત્રીસની છાતીવાળાના નહિ. તું બોલી નાંખ અને થઇ જા ભાયડો (તું સ્ત્રી હોય તો તને 'ભાયડો'નહિ, જે છું એનું  જ સન્માન રહેશે ! સ્પષ્ટતા પૂરી)

એક તો, સોશિયલી, હવે આપણા બધાનું મળવાનું ય સમજો ને... નીલ થઇ ગયું છે. શહેરોનો મારી નાંખે એવો ટ્રાફિક, ચારે બાજુથી પહોળા નહિ પણ સાંકડા થતા જતા શહેરોને કારણે એકબીજાના ઘરે જવાની અસમર્થતા, ઉંમરો વધવાને કારણે શરીરના રીફ્લૅક્સીસ ઓછા થઇ જવા, એકબીજાના ઘેર ગયા પછી આ સાલી નોટબંધી સિવાય બીજો કોઇ વિષય નહિ અને ખાસ તો, પહેલાસમો એકબીજા માટે આદર રહ્યો ન હોય,

એ બધા કારણોસર તમે કોઇને પ્રેમથી જમવા બોલાવો તો ય કોઇ આવતું નથી, ત્યારે જે કાંઇ સંબંધ છે, એને ટકાવી રાખવાનો અણગમો ખુલ્લો કર ને એમાં તું રામ જાણેકઇ વાતનું ખોટું લગાડી બેઠો હોય તેની અમને જાણ નહિ ! ઓ ભાઈ, નવા સંબંધો કે દોસ્તીઓ બાંધવી હવે પોસાય એમ નથી, તો પછી જે છે એને ટકાવી રાખવા અમારે એકલાએ નહિ, તારે પણ ખુલ્લા તો થવું પડશે ને ? આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે, આપણી તમામ લડાઇઓમાં 'આપણો તો કોઇ વાંક જ હોતો નથી... બધો સામેવાળાનો જ હોય છે !'કમનસીબે, સામેવાળો ય એવો જ વાયડો છે, એમાં સંબંધ પૂરો !

તારી ભલી થાય ચમના... એક વાર ખોટું તો ખોટું, સમાધાન કરી લેવાથી નીચાજોણું સામેવાળાને થવાનું છે. તારો હાથ ઉપર રહેશે. મને ગર્વ છે એ વાતનો કે, આજ સુધી મને કોઇ વાતનું કોઇનું ખોટું લાગ્યું નથી ને છતાં ય સંબંધ ભોંયભેગો થવાના કગાર ઉપર હોય તો સાચું કોણ ને ખોટું કોણ,એ બધી લમણાકૂટોમાં પડવાને બદલે હું સામે ચાલીને માફી માંગી આવું છું. (યસ. આપણે અશોક દવેની વાત કરી રહ્યા છીએ.) મારા દુશ્મનોને હરદમ હું સામેથી બોલાવું છું.

આ વાંચનાર મારો દુશ્મન હશે તો ય કબુલ કરશે કે, દુશ્મનની ક્વૉલિટી જોયા વિના... જસ્ટ સંબંધ ટકાવી રાખવા હું સામે ચાલીને ભેટવા ગયો છું. એ ન બોલે તો હું બોલાવું છું ને એમાં હું કોઇ નાના બાપનો થઇ જતો નથી. હું હંમેશા સાચો નહિ તો મોટો સાબિત થવાનો બેશક પ્રયત્ન કરૂં છું કે, મરતી વખતે અફસોસ મને રહી જવો ન જોઇએ કે, 'હું કાયમ આડો ચાલ્યો,

માટે સંબંધો પૂરા થઇ ગયા !'અનેક દોસ્તોએ પીઠમાં ઘા માર્યા છે. જેમનું મેં બાય ઑલ મીન્સ, સારૂં જ નહિ, ઘણું સારૂં કર્યું હોય એ લોકોએ માનવતા કોરાણે મૂકીને મારૂં ખરાબ કર્યું હોય તો પણ એવા દોસ્તો(!)ની સાથે હું સંબંધ ઉજળા રાખું છું. એમાં મારી ગ્રેટનેસ નહિ, મારી શાંતિને ઈમ્પોર્ટન્સ આપ્યું છે. મારો ઈગો મારી શાંતિની આડે ન આવવા દઉં. એ જ કારણ છે કે, રોજ રાત્રે શાંતિથી ઊંઘી શકું છું ને એવા વિચારો નથી આવતા કે, 'હજી પેલાને સીધો કરવાનો બાકી છે !'એ વાતનો હું વિકૃત આનંદે ય નથી લેતો કે, 'જો... હું સામેથી સમાધાન કરવા ગયો એમાં એનું મોંઢું કેવું લેવાઇ ગયું ?

આ બધી કૈફીયત પછી એવું લાગે કે, હું બહુ શાણો અને સજ્જન હોવાનો દેખાવ કરૂં છું. માય ફૂટ...! સજ્જન તો આપણામાંથી કોઇ નથી. મને એટલો જ ખ્યાલ આવે છે કે સંબંધ તોડીને એને હોય કે ન હોય, મને કોઇ ફાયદો નથી. ક્યાંક ઑલમોસ્ટ જીવલેણ અકસ્માત થયા પછી એકલો અટુલો હું રસ્તા ઉપર હું લાચાર થઇને લોહીલુહાણ પડયો હોઇશ ને સંબંધ ટકાવ્યો હશે તો મારો એ જ દોસ્ત કમસેકમ મને ઊભો કરવા કે ૧૦૮ બોલાવવા તો આવશે ! આપણે કોઇનું સારૂં બોલવા માટે એના મરવાની - એના બેસણાંની રાહ જોઇએ છીએ. એ વાતનો એડવાન્સ હપ્તો ભરીને એના જીવતે જીવ સારૂં બોલીએ અને એને ખબર પડશે કે, 'આ માણસનું મેં હંમેશા ખરાબ ઈચ્છ્યું ને એ તો મારા માટે સારૂં બોલે છે...'તો વિચાર કરી જુઓ... તમારા ચેહરા ઉપર કેવો વિજયીભાવ અને એના ચેહરા ઉપર કેવો પસ્તાવો લહેરાતો હશે ? આ વિજયીભાવ લાવવાની કોઇ મોટી કિંમત ચૂકવવી પડતી નથી. આપણે આપણી નજરમાં ઊંચા આવવાની જાહોજલાલી  બધાને મળતી નથી, ભાઇ...!
'
કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં,
એક વીંટી આંગળીમાં કઇ હદે નડતી હશે! '
-
ભાવિન ગોપાણી

બોલો. હું કાંઇ વધારે બોલી ગયો હોઉં તો મને ટોકવો. આ તો વખાણ કરવા કરતા ટોકવાનું  આપણને જરી વધારે ફાવે છેમાટે કીધું !
જયહિંદ.

સિક્સર
સૌથી પહેલી ગુજરાતી અર્બન ફિલ્મ 'બૅટર-હાફ'બનાવનાર આશિષ કક્કડની તાજી ફિલ્મ 'મિશન મમ્મી'માં નાના ટેણીયાને એના પપ્પા પૂછે છે, ''બધા કૂવે પડતા હોય એટલે તારે ય પડવાનું ?''છોકરો હા પાડે છે. પપ્પા પૂછે છે, ''કેમ ?''તો એ કહે છે, ''...પછી કુવા ઉપર એકલો ઊભો ઊભો હું શું કરૂં ?''

'મેરે હમદમ, મેરે દોસ્ત' ('૬૮)

$
0
0
ફિલ્મ : 'મેરે હમદમમેરે દોસ્ત' ('૬૮)
નિર્માતા : કેવલજીત
દિગ્દર્શક : અમર કુમાર
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : મજરૂહ
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્રશર્મીલા ટાગોરમુમતાઝઓમપ્રકાશરહેમાનસ્નેહલતાસુલોચના (રૂબી મેયર્સ)નિગાર સુલતાનાઅચલા સચદેવખેરાતીબલદેવ મેહતાબ્રહ્મ ભારદ્વાજકેસી સોપારીવાલા.

ગીતો
૧. ના જા, કહીં અબ ન જા, દિલ કે સિવા...     મુહમ્મદ રફી
૨. છલકાયે જામ, આઈયે, આપકી આંખોં કે...     મુહમ્મદ રફી
૩. હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા, વો હી...     મહુમ્મદ રફી
૪. ચલો સજના, જહાં તક ઘટા ચલે, લગાકર...     લતા મંગેશકર
૫. અલ્લાહ, યે અદા, કૈસી હૈ, ઈન હસિનોંમેં...     લતા-કોરસ
૬. તુમ જાઓ કહીં તુમકો ઈખ્તિયાર...     લતા મંગેશકર
૭. હમેં તો હો ગયા હૈ પ્યાર તુમ્હેં હો ન હો...     લતા મંગેશકર

એક ઈનામી સ્પર્ધા ગોઠવાય એવું છે કે, જે કોઈ વિદ્વાન શર્મીલા-ધર્મેન્દ્ર-મુમતાઝની આ ફિલ્મ 'મેરે હમદમ, મેરે દોસ્ત'ની વાર્તા, અથવા એનો ટુંકસાર, અથવા એની આછી ઝલક, અથવા આખી ફિલ્મ જોયા પછી એ કાંઈ પણ બોલી શકે, તો તમારા તરફથી એને ઈનામમાં સોનાચાંદી અને રત્નોજડિત રાજમુગુટ પહેરાવવો.

અલબત્ત, આટલા ફાલતુ ઈનામો મેળવવા તો અશોક દવે તમારા ગામ સુધી લાંબા ય ન થાય... આઇ મીન, છોકરું રાજી થાય એવું કંઈક રાખો-જેમ કે, આ ફિલ્મની વાર્તા નહિ તો એનો નાનકડો સાર કહી આપે એના નામે અમદાવાદ જીલ્લાના ૪૦-૫૦ ગામો લખી આપવાના (બધા ગામોમાં સવાર-સાંજ બે ટાઈમ પાણી રેગ્યુલર આવતું હોવું જોઈએ..!) અને આટલા મોંઘા પુરસ્કારો ન પોસાતા હોય તો આ ''આખી''ફિલ્મ જોઈ શકે એવો મર્દ માણસ અડધી ફિલ્મે ઢફ્ફ થઈ ન જાય, એ માટે મહામૃત્યુંજયના જાપ કરાવવાની હિંમત વાંચનારે રાખવી જોઈશે.

ફિલ્મ શરૂ થઈ, ત્યારથી પતી ત્યાં સુધી મેં અઢળક સંયમ રાખ્યો કે, (૧) હું ગાળો ન બોલવા માંડુ (૨) ઘર છોડીને ભાગી ન જઉં (૩) મારી પત્ની મને છુટાછેડા આપી ન દે (૪) હું કોઈ હીરોઈનના લફરાંમાં ભરાઈ ન જાઉં (૫) સ્વર્ગસ્થ અશોક દવેની યાદમાં, એ જ્યાં રહે છે તે નારણપુરા ચાર રસ્તાને 'અશોક દવે ચૉક'નામ આપી ન દેવાય...

પણ દરેક દુઃખની જેમ આ દુઃખનો ય એક અંત હતો અને ફિલ્મ પૂરી થઈ. ફિલ્મો તો એ અથવા આજના જમાનામાં ય ફાલતુ તો બહુ આવે, પણ આ ફિલ્મ જોતી વખતે તમને લશ્કરમાં જોડાઈ જવાથી માંડીને વગર ચપ્પલે ઘર છોડીને ભાગી જવાના વિચારો આવે કે એના નિર્માતાઓએ આવી ફિલ્મ બનાવી કેમ હશે? ધર્મેન્દ્ર કે શર્મીલાએ આવી થર્ડ-રેટ ફિલ્મમાં કેમ કર્યું હશે? મુમતાઝ, ઓમપ્રકાશ કે રહેમાનમાં ય બુધ્ધિ નહિ હોય, આવી ફિલ્મ સાઈન કરતા પહેલા એક વખત એની વાર્તા સાંભળી લેવી!

૧૭-રીલ્સની ફિલ્મમાં સિનેમા હોત તો એકી કરવાના બહાને બહાર ગયા એ ગયા... પછી તો પાછું કોણ આવે છે? પણ સિનેમા-થીયેટરોના એ જમાના હવે ગયા. હવે તો ડીવીડી-પર ઘરના જ હોમ-થીયેટરમાં ફિલ્મો જોવી પડે, એટલે આવું છું કહીને ય નીકળી ન જવાય...! પોપ-કોર્ને ય ઘેર બનાવેલા ખાવા પડે!

પણ, જેને રામ પણ ન રાખે, એને લક્ષ્મીકાંત-પ્યારેલાલ રાખે, એવું આ ફિલ્મના એમના ગીતો સાંભળીને ટાઢક વળી. મુહમ્મદ રફી અને લતા મંગેશકર માટે તો નવું કાંઈ નહોતું કે જેમ બધી ફિલ્મોમાં ઉત્તમ ગાયું છે, એવું આમાં ય ગાવાનું હતું, પણ લક્ષ્મી-પ્યારે માટે તો ફિલ્મે-ફિલ્મે ચેલેન્જ હતી. રફી-લતાએ એમની કારકિર્દીનું જે કોઈ પહેલું ગીત ગાયું હતું, એ પછી એમને નવું કાંઈ કરી બતાવવાનું નહોતું. સંગીત-નિર્દેષક જેમ કહે, એમ અક્ષરસઃ ગાઈ લેવાનું... ગીત સફળ થાય તો માર્કસ આ બન્નેને મળે.

અને તેમ છતાં, કેમ લતારફી જ હિંદી ફિલ્મોના સર્વોત્તમ ગાયકો છે, એ સાબિત કરવા એ બન્નેએ આ ફિલ્મમાં મનલુભાવન ગીતો ગાયા છે. હું એક એક લાઈન રીપિટ કરૂ, એના કરતા છાપું સહેજે ઊંચું કરીને ગીતોવાળું કોષ્ટક જોઈ લો! કમ-સ-કમ, હું તો છુટું!

પણ સંગીતકારોથી એટલા આસાનીથી છૂટી જવાતું નથી નૈશાદે 'બૈજુ બાવરા'માં જે સંગીત આપ્યું હતું, તેના ૧૦-૧૫ વર્ષો પછી 'મેરે મેહબૂબ'માં એનું એ નહિ, પણ તદ્દન નવી જ બ્રાન્ડનું સંગીત આપવું પડે. લતા-રફી એમના રેગ્યુલર અવાજથી ચાર સેન્ટીમીટરે ય જુદો અવાજ કાઢી શકે? નો વે...!

અને એમાં ય, આ તો '૬૮-ની સાલ હતી. લક્ષ્મી-પ્યારે હજી તો ફિલ્મોમાં આવ્યા જ હતા કોઈ ૪-૫ વર્ષો પહેલા અને એમાં ય જે ફિલ્મો મળી એ બધી ધાર્મિક કે દારાસિંઘ જેવાઓની મારફાડવાળી! નિર્માતાનું કોઈ મોટું બેનર કે નંબર-વન હીરો-બીરો કુચ્છ નહિ... અને છતાં ય, યાદ કરો એમની એવી ફાલતુ ફિલ્મો, જેમાં સંગીતની કક્ષા ફિલ્મ 'સરગમ'કે 'સત્યમ શિમ સુંદરમ'જેવી! હવે એક નજર નાખો, એમની શરૂઆતની ફિલ્મો ઉપર અને વિચારો કેવું ઊંચા ગજાનું સંગીત એકોએક ફિલ્મમાં આપ્યું છે, હીરો કે ફિલ્મ નિર્માતા ગમે તે હોય કે ફિલ્મ મારફાડની હોય, જાદુટોનાની કે તદ્દન અર્થ વગરની.

છૈલા બાબુ, પારસમણી (એ બન્નેએ પહેલી ફિલ્મ તો 'છૈલા બાબુ' (રાજેશ ખન્નાવાળી નહિ... સુબિરાજવાળી) સાઈન કરી હતી, પણ પહેલી રજુ થઈ 'પારસમણી'.)હરિશ્ચંદ્ર તારામતી, સતિ સાવિત્રી, સંત જ્ઞાનેશ્વર, મિસ્ટર એક્સ ઈન બોમ્બે, આયા તુફાન, દોસ્તી, શ્રીમાન ફન્ટુશ, લૂટેરા, હમ સબ ઉસ્તાદ હૈ, બૉક્સર, સૌ સાલ બાદ, ભાગ્ય, પ્યાર કિયે જા, નાગમંદિર, મેરે લાલ, લાડલા, દિલ્લગી, ડાકુ મંગલસિંહ, છોટા ભાઈ, આસરા અને તકદીર...!

બસ. આ તમામ કચરાપટ્ટી ફિલ્મોના ગીતો ઘેરબેઠા યાદ કરી લો. એમાંની એકેય ફિલ્મનું એકેય ગીત એવું છે, જે તમે સાંભળ્યું ન હોય? બસ, તપશ્ચર્યા પૂરી થઈ આશા પારેખ-ધર્મેન્દ્રની ફિલ્મ 'આયે દિન બહાર કે'થી અને તરત સાયરા બાનુ જૉય મુકર્જીનું 'શાગીર્દ'આવ્યું. બસ, પછી આ બન્ને દોસ્તોએ કેવી ધમાલ મચાવી દીધી છે! સરખામણી ભલે ન કરીએ, પણ લક્ષ્મી-પ્યારેના ગીતોની કમર્શિયલ સફળતા નૌશાદ કે શંકર-જયકિશનથી એક દોરો ય કમ નહોતી.

બસ, એ બન્ને પણ ફિલ્મી આત્મહત્યા કરવા શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન કે રાહુલદેવ બર્મનના રસ્તે જ ગયા... સવારના પહોરમાં કચરો કાઢવા નહિ, પણ રોડ પર પડેલા ડૂચા કે કાગળીયા વીણવા ટોપલાવાળી આવે અને જેટલું ફેણાય એટલું ફેણી લે, એવું આ બન્નેએ કર્યું. પહોંચી ન શકાય તો ય હાથમાં આવે એ બધી ફિલ્મો સ્વીકારવા માંડી. કોઈ માની શકશે, ૩૫-વર્ષની કારકિર્દીમાં આ બન્ને ભાઈઓએ ૬૩૫-ફિલ્મોમાં સંગીત આપ્યું... (મોટા ભાગના સંગીતકારોના તો ટોટલ ૬૩૫-ગીતો નથી થતા!) પછી કેટલે પહોંચી વળે? '૭૨ સુધી એમનો જમાનો ધૂંઆધાર ચાલતો હતો, એ પછી વચ્ચે વચ્ચે એકાદ-બે ફિલ્મો હિટ જાય, એ સિવાય દર વર્ષની સેરેરાશ ૨૦-ફિલ્મો લક્ષ્મી-પ્યારે હાથ પર લેતા, એક ફિલ્મમાં સરેરાશ ૬ ગીત ગણીએ તો ૧૯૯૯-સુધી દર વર્ષે ૨૦-ફિલ્મોના ૬-ગીતો લેખે ઓલમોસ્ટ ૧૫૦-ગીતો એક વર્ષમાં બનાવવા પડયા, મતલબ, દર બીજે દિવસે એક નવા ગીતની ધૂન બનાવવાની, એના રીહર્સલો-રેકોર્ડિંગ અને મુંબઇના ટ્રાફિકમાં રોજ ગાડી લઈને ટ્રાફિક-જામમાં ભરાવાનું! એ પછી કેવો ઉતાર નીકળે? આ બન્ને પણ આર.ડી. બર્મન કે શંકર-જયકિશનની જેમ બહુ ખરાબ રીતે ફેંકાઈ ગયા.

ફિલ્મ 'દસ્તક'જેવી ક્લાસિક ફિલ્મની વાર્તા લખનાર પંજાબી લેખક રાજિન્દરસિંઘ બેદી કેવી ઘટીયા વાર્તાઓના સંવાદો લખવા ઉપર ચઢી ગયા હતા, એનો આ ફિલ્મ મોટો દાખલો છે. એમના શરાબી પુત્ર નરેન્દ્ર બેદીએ શરાબમાં ઝીંદગી ડુબાડી દીધા પહેલા લોકોને ગમે એવી સુંદર ફિલ્મ 'ખોટે સિક્કે'બનાવી હતી. જે જાપાનના દિગ્દર્શક અકીરા કુરોસાવા નિર્મિત 'ધી સેવન સમુરાઈ'પરથી બનેલી હિંદી ફિલ્મ 'શોલે'કરતા પહેલા થયેલી નકલ હતી.

મુમતાઝની તો હજી આ શરૂઆત હતી અને કેવી બુધ્ધિ, અદ્ભુત એક્ટિંગ અને સેક્સી દેખાવને કારણે એ દારા સિંઘની હીરોઈનમાંથી સીધી રાજેશ ખન્નાની હીરોઈન બની ગઈ! આ ફિલ્મમાં તો એનો રોલ એક એકસ્ટ્રાથી વિશેષ નથી. પણ લતાએ પોતાની કરિયરમાં ભાગ્યે જ કવ્વાલીઓ ગાઈ છે, તે પૈકીની એક 'અલ્લાહ, યે અદા, કૈસી હૈ ઈન હસિનોં મેં, રૂઠે પલ મેં ન માને, મહિનોં મેં...' (છી... કેવા છીછરા શબ્દો!) કવ્વાલીમાં મુમતાઝે આટલી ઝડપી લયમાં કરેલો ડાન્સ મનલુભાવન છે! ઓમપ્રકાશ કદી એકની એક ઘરેડમાંથી બહાર જ ન આવ્યો-સિવાય કે ઋષિકેશ મુકર્જીની ફિલ્મો અને બહુ બૉર કરતો હતો! રહેમાન મારો તો ખૂબ મનગમતો.

એ કન્વેન્શનલી દેખાવડો નહતો, પણ એની પર્સનાલિટી જોવી ગમે. એનો અવાજ અને ખાસ તો રાજ કપૂરની 'ફિર સુબહ હોગી'ને બાદ કરતા ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એણે ગરીબ કે મુફલીસનો રોલ કર્યો હશે. પ્રદીપ કુમારની જેમ રહેમાને પણ કરોડપતિઓના જ કિરદારો કર્યા છે. એક વાતની તો આજે ય ખબર પડતી નથી કે, અમદાવાદના દરિયાપુરના આ સ્વર્ગસ્થ જમાઈએ મરવા પડયા પછી દવાની પાઈ-પાઈ માટે એની ભલી પત્નીને મોહતાજી સહન કરવી પડી હતી, એ રહેમાન મોટા ભાગની ફિલ્મોમાં કાળો શૂટ જ કેમ પહેરતો હતો!

એ તો ગમે તે પહેરે-ભલે ને ચડ્ડી-બનિયન પહેરીને આવે, પણ દર વખતે એકનો એક શૂટ જોવો તો આપણે પડે રાખે ને? ગુજરાતી ફિલ્મોની, ઉપેન્દ્ર ત્રિવેદી હતા ત્યાં સુધીની સુપરસ્ટાર સ્નેહલતા મૂળ તો હિંદી ફિલ્મોમાંથી કઢંગી રીતે ફેંકી દેવાયેલી તિજોરી હતી, પણ રાજેશ ખન્નાની 'ખામોશી'માં લતાનું 'હમને દેખી હૈ ઉન આંખોં કી મહેંકતી ખુશ્બો...'એને ફિલ્મમાં ગાવા મળ્યું હતું, એનું હિંદી ફિલ્મોમાં સ્થાન કદી પણ એક ગ્લોરિયસ-એક્સ્ટ્રાથી વધારે કાંઈ નહોતું ને બેન, અહીં ગુજરાતી ફિલ્મોમાં મહારાણી બની ગયા!

પણ વાચકોને રસ પડે એવી શખ્સીયત તો હતી નિગાર સુલતાના! દાઉદ ઈબ્રાહિમના જમણા હાથસમા કાયમ લંડનમાં સેટ થઈને ત્યાં જ ગુજરી ગયેલા ડ્રગ માફીયા મરહૂમ ઈકબાલ મિર્ચીને પરણનાર હિંદી એક્ટ્રેસ હિના કૌસર (વિજય આનંદની ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં મધુબાલા સાથે 'તેરી મહેફીલ મેં કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે'ગાનાર નિગાર સુલતાના આ ફિલ્મમાં મહત્વનો રોલ કરે છે. જવાની થોડી પાછળ મૂકી આવી હતી, પણ રૂપ હજી મારકણું રહી ગયું હતું, એ નિગાર સુલતાના અહીં શર્મીલા ટાગોરના વેશ્યા માંનો કિરદાર કરે છે.

આ બધી શર્મીલા ટાગોરો કે મુમતાઝો કરતા નિગાર સુલતાના વિશે વાંચવું વધારે ગમે એવું છે.

માલા સિન્હા-વિશ્વજીતની ફિલ્મ 'દો કલીયાં'માં માલાની મમ્મીનો રોલ કરનારી નિગાર મૂળ તો કે.આસીફની થોડી પૈકીની એકાદી ઑફિશીયલ વાઈફ હતી.

પણ બેને મનુષ્ય જન્મમાં મળતા જેટલા જલસા ભોગવાય એટલા ભોગવી લીધા છે. મૂળ તો હૈદ્રાબાદના એક શરાબી ટેક્સી ડ્રાયવરની તરછોડેલી પત્ની તરીકે મુંબઈ આવેલી નિગાર સુલતાનાને ફિલ્મ 'રંગભૂમિ'માં પહેલો ચાન્સ આપ્યો-જો તમે જૂની ફિલ્મોના રસિયા હશો તો જ ઓળખી શકશો, જગદિશ સેઠી નામના ચરીત્ર અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શકે, પણ નિગારને ફિલ્મોથી વધુ રસ પુરૂષોમાં પડયો હતો. સ્ટુડિયોમાં જે કોઈ સોહામણા પુરૂષની ઓળખાણ થાય ત્યારે શેક-હેન્ડ કરતી વખતે પુરૂષ 'ઊંચો'થઈ ન જાય ત્યાં સુધી એનો હાથ છોડવાનો નહિ.

ફિર ક્યા..? અડધો કલાકમાં તો બન્નેએ નક્કી કરી લીધું હોય કે સાથે સુવાય એવું ક્યાં મળાય એવું છે? મુંબઈથી બેન પૂના શાહિદ લતિફની ફિલ્મ 'શિકાયત'કરવા ગયા તો શાહિદ લપેટાઈ ગયો, પણ શાહિદની લેખિકા પત્ની ઈસ્મત ચુગતાઈ વધુ પડતી સ્માર્ટ પત્ની હતી, ગોરધન ઉપર કન્ટ્રોલ પણ સખ્ત. એટલે શાહિદને નિગાર હલાવી નાંખે એટલી હદે ગમતી હોવા છતાં બે-ત્રણ કરસતોથી વધુ આગળ વધાયું નહિ! એમાં ય ભ'ઈનું નસીબ કાણું હશે કે, પોતાની જ ફિલ્મ 'શિકાયત'ના હીરો શ્યામ સાથે નિગારની ઓળખાણ થઈ, એમાં તો શાહિદ ક્યાંનો ક્યાં ખોવાઈ ગયો, એની એને પોતાને ય ખબર ન પડી. શ્યામને જીવનમાં મુખ્ય નહિ, માત્ર બે જ શોખ હતા, શરાબ અને સુંદરી અને એ વાત એ ઉઘાડેછોગ કહેતો ફરતો. એ સ્પષ્ટ કહેતો, 'પ્રેમનો મતલબ પથારી!'

સઆદત હસન મન્ટો જેવો વિવાદાસ્પદ પાકિસ્તાની લેખક અને શ્યામનો ખાસ દોસ્ત પોતે લખે છે, ''મુંબઈની પરાંની ટ્રેનમાં કુલદીપ કૌર અને શ્યામે એની (મન્ટોની) હાજરીમાં ચાલુ ટ્રેને સંભોગ કર્યો હતો. હું હાજર હતો, એની એ બન્નેને કોઈ પરવાહ નહોતી.'' (આ કુલદીપ કૌર એટલે ખલનાયક પ્રાણની લાઇફની એક માત્ર પ્રેમિકા અને એક્ટ્રેસ) શ્યામે કુલદીપને એ ટ્રેનમાં જ કહી દીધુ હતું, ''તું તારા પ્રેમી પ્રાણની ચિંતા ન કરતી... એને તો હું પલભરમાં સીધો કરી નાંખુ એમ છું.''

કુલદીપ અને શ્યામ વચ્ચે મુંબઈની સી-ગ્રીન હોટેલમાં બહુ મોટો ઝઘડો થયો. એમાં શ્યામે કુલને પૂરી તાકાતથી મુક્કો માર્યો. કુલદીપ પણ સીખ્ખ હતી. ખસી ગઈ ને શ્યામનો મુક્કો સીમેન્ટની દિવારમાં બહુ બુરી રીતે અઠડાયો... ખાટલો છ મહિનાનો!

નિગાર સુલતાના સાથે શ્યામે મન ફાવે એટલી વાર શરીરસંબંધો બાંધ્યા, (એ વખતે તો નિગાર દિગ્દર્શક એસ.એમ., યુસુફને પરણ ચૂકી હતી) પણ નાલાયક શ્યામે પાકિસ્તાન જઈને નિગારે લખેલા ઉઘાડેછોગ સેક્સના પત્રો દારૂની મેહફિલમાં વાંચી સંભળાવ્યા અને ખૂબ હસાહસી કરી.

આ પછી સાયગલના જમાનાના ગીતકાર પંડિત દીનાનાથ મધોક સાથે નિગાર સુલતાનાના લફરાં શરૂ થયા. મધોકે તો નિગાર માટે પાકિસ્તાન તરફ આવેલી રાવિ નદીના કિનારા ઉપર એક અદ્ભુત બંગલો બાંધીને ભેટ આપી દીધો, જેમાં એ બન્ને બેઠા હતા ત્યાં નિગારની ફર્માઈશ ઉપર મધોકે ખિસ્સામાંથી હજાર-હજારની નોટોનો ફ્લોર ઉપર વરસાદ વરસાવ્યો, જેને વીણી લેવામાં નિગારને કોઈ શરમ ન લાગી.

તમને બહુ નહિ, પણ થોડું હસવું આવી શકે એમ છે કે, એક્ટર-દિગ્દર્શક એસ.એમ. નઝીર સાથેના પ્રેમસંબંધમાં નઝીરનો સગો ભત્રીજો નડી ગયો, એ બન્નેને છુટા પાડીને સગી કાકી સાથે ભાગી જવામાં! એ ભત્રીજાનું નામ હતું, કે.આસિફ. આસિફ સાથેનું સેટિંગ પુરું થાય એ પહેલા તો પાકિસ્તાનથી આવેલા ફિલ્મ હીરો ઇશરતમાં નિગારનું મને ફેવીકોલની માફક ચોંટી ગયું... સૉરી, માત્ર મન નહિ... તન પણ! મુંબઇના જુહુ પરની હોટેલ ઍસ્ટોરિયામાં ઈશરત ઉતરતો અને ત્યાં જ બન્ને વચ્ચે ભૂલમાં ય છુટા પડી ન જવાય, એની કસરતો થતી.

પણ માર્કેટ આપણા ગરમ-ધરમનું કેવું તગડું હતું કે, એ જમાનામાં-એટલે કે, '૬૦-ના દાયકામાં આ ફિલ્મે રૂ. દોઢ કરોડનો ધંધો કર્યો હતો. આ એ દાયકો હતો, જેમાં નિર્માતાઓને દારા સિંઘ પોસાતો નહતો, એ ધર્મેન્દ્રને લેતા હતા, એવી ફાલતુ જોક કરનારાઓને ખબર હશે કે, આ જ દશકમાં ધરમો એ જમાનાની તમામ શ્રેષ્ઠ હીરોઈનો સાથે આવ્યો હતો... જુઓ, નીચેની યાદીમાં એક આ '૬૮-ની જ સાલમાં ધરમની કેટલી અને કેવી ફિલ્મો ચાલતી હતી!

નૉવેલ્ટીમાં માલા સિન્હા-ધર્મેન્દ્રનું 'આંખે', લક્ષ્મીમાં નંદા-મીના કુમારી-સંજયનું 'અભિલાષા'અને એ ઉતરી ગયા પછી બબિતા-જીતેન્દ્રનું 'ઔલાદ', પ્રકાશમાં અશોક કુમારનું 'આશીર્વાદ', એલ.એન.માં ધર્મેન્દ્ર-વહિદાનું 'બાઝી'અને પછી તરત જ ધર્મેન્દ્રનું 'મેરે હમદમ, મેરે દોસ્ત', અલંકારમાં ધર્મેન્દ્ર-મીના કુમારીનું 'બહારોં કી મંઝિલ', રીગલમાં શમ્મી કપૂર-રાજશ્રીનું 'બ્રહ્મચારી', લાઇટ હાઉસમાં જૉય મુકર્જીનું 'એક કલી મુસ્કાઈ', રૂપમમાં તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા અને તનૂજા સાથે ધર્મેન્દ્રનું 'ઈઝ્ઝત', રૂપાલીમાં સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારનું 'ઝૂક ગયા આસમાન', રૂપમમાં રાજકુમાર-વહિદાનું 'નીલકમલ', રૂપાલીમાં કિશોર કુમાર-મેહમદનું 'પડોસન'અને એના પછી 'સરસ્વતીચંદ્ર', રીલિફમાં વૈજુ-રાજેન્દ્રનું 'સાથી', અલંકારમાં દિલીપ-વૈજ્યંતિનું 'સંઘર્ષ', કૃષ્ણમાં 'તીન બહુરાનીયાં'...!

નવી ગાડી લઇએ ત્યારે.....

$
0
0
હિંદુ રિવાજ મુજબ, નવું વાહન આવે એટલે ગૃહલક્ષ્મી કંકુ-ચોખાની થાળી લઇ પૂજા કરે, જેથી ઇશ્વરની કૃપા હંમેશા રહે અને આનાથી ય વધુ મોટી અને મોંઘી ગાડીઓ આવતી રહે.... ભલે છેક બસ સુધીની ગાડીની જરૂરત નહિ....! આગલા દિવસથી જ ઘરમાં ઉત્સાહ મ્હાતો નહતો કે, નવી ગાડી... અને એ ય પહેલી ગાડી આવી રહી છે. સીમુના પપ્પા સ્કૂટર અથડાવીને... આઇ મીન, ચલાવી ચલાવીને થાકી ગયા, વૃધ્ધ થઇ ગયા. હવે ફેમિલી સાથે ગાડી લઇને જ્યાં જવું હોય ત્યાં જવાશે.

આમ તો ઇચ્છા બાના ઘરે જવાની જ થાય અને સોસાયટીને નાકે જ બાનું ઘર છે....અને ગાડી લઇને બાને ઘેર જઇએ તો બિચારી આ ઉંમરે રાજી થાય કે, મીનુને ત્યાં મોટી ઉંમરે પારણું બંધાયું... આઇ મીન, એવા બે-ત્રણ પારણાં તો તમારાં ભ'ઇએ બાંધી આલ્યા, પણ આ ઉંમરે હવે આ બિચારીને પારણાં કરતા ગાડી જોવી વધારે ગમે કે, 'આપણી મીનુ ગાડી લઇને આઇ છે !'

જો કે, હું તો પાછલી સીટમાં ડ્રાઇવરની ઑપોઝીટ દિશામાં જ બેસવાની ! મોટા ઘરની વહુઓ કાંઇ જાતે ગાડાં ન ચલાવે... ઘર નથી ચલાવી શકતી ત્યાં ગાડીની ક્યાં માંડો છો ? અત્યાર સુધી તો એમના ઍક્ટિવા પર બેસીને બાના ઘેર જતા મને મૂઇને એવી તો શરમ આવે કે,

આના કરતા તો બાના ઘેર ચાલીને જવું સારૂં. વળી સ્કૂટર-ફૂટર ઉપર આપણું બૉડી હોય એના કરતા જરી વધુ દેખાય... તમારા ભ'ઇનું ના દેખાય... આપણા લીધે બિચારા ઢંકાઇ જાય ! માટે જ આલી ફેરા નક્કી કર્યું છે કે, નવી ગાડી આવશે તો હું તો પાછલી સીટ પર જ બેસીશ ને ગાડી એ ચલાવે. વ્યવહારમાં જે થતું હોય એ થાય ! પાછલી સીટમાં આપણું હૅવી  બૉડી તો ના દેખાય !

હા જી નવું નવું છે, એટલે એમને-આઇ મીન, ગોટી (ગૌતમ)ને તો ડ્રાયવિંગ આવડેનહિ એટલે મેં 'કુ....કંપનીનો માણસ જ ગાડી ઘેર મૂકી જાય. પછી પૂજા-બૂજા કરીને, નજર-બજર ઉતારીને ગોટીને ડ્રાયવિંગ શીખવાડીશું... આઇ મીન, શીખવાનું કહીશું.

પ્રોબ્લેમ એ ખરો કે, સોસાયટીમાં કાંઇ બધા રાજી ન થાય ગાડી આપણે ત્યાં આવવાની હોય એટલે ! ઘણીઓની આંખો ફાટી ગઇ હોય. એ બધીઓ તો જલી મરે, એટલે જ ગાડી આવે ત્યારે પૂજા કરાવવા મહારાજ આવે, એ વખતે પૂજા લાઉડ-સ્પીકરમાં કરાવવાનું ગોટીને કહી રાખ્યું હતું. એને આવું બધું ન ગમે, પણ મારે ય સોસાયટીના વ્યવહારોમાં ધ્યાન તો રાખવું પડે ને ?

ભારતભરમાં ગાડી બનાવનારી કંપનીઓ કહો ન કહો, પણ ગમ્મે તેમ કરીને ગ્રાહકને બઝાડે તો છે વ્હાઇટ કલરની ગાડીઓ જ ! વ્હાઇટમાં રાત્રે એક્સિડેન્ટ ઓછા થાય, સામેવાળાને કાળી કરતા આપણી સફેદ ગાડી પહેલી દેખાય, ને એવા બીજા આઠ-દસ બહાના બતાવીને આપણને વેચે તો વ્હાઇટ ગાડી જ !  રોડ ઉપર ૯૮ ટકા  સફેદ ગાડીઓ જોવા મળે છે ને!

અને કારણ સહેજે ખબર નથી પણ ભારતભરમાં હજી 'કાર'શબ્દ જ આવ્યો નથી, 'ગાડી'જ બોલવાનું ! મર્સીડીઝ લઇને આવ્યા હોઇએ કે સાયકલવાળો ચાની લારીએ સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવીને અડધી પીવા ઊભો હોય તો ય ચાવાળાને, 'આપણી ગાડીનું ધ્યાન રાખજે, 'ઇ !'કહે.

બરોબર સાડા બાર ને પાંચે ગાડી લઇને પેલો આવ્યો. શું કરવાની આ ટાઇમે ગાડી લઇને આવે તો ? આખી સોસાયટીમાં કોઇ જોનારૂં ય ન હોય ! પેલાને પાછો ય ન મોકલાય. એમાં મહારાજ તો ટાઇમસર આવી ગયા હતા, પણ લાઉડ-સ્પીકર ચાલુ જ થતું નહોતું. કહે છે, કોઇક વાયર-બાયર ચોંટતો નહતો. આમતો મેં ગોટીને કીધું ય ખરૂં કે, 'વખત છે ને, માઇક ચાલુ ન થાય તો ગોરમહારાજને કહી રાખો કે, મોટા ઘાંટા પાડીને શ્લોકો બોલે... આખી સોસાયટીમાં સંભળાવવા  જોઇએ. આપણે પૈસા પૂરા આપ્યા છે.'

બાપુજીને કીધું નહોતું, એનો મતલબ એ તો નહિ કે, એમને એટલી ય ખબર ન પડે કે, નવી ગાડીનું શુભ-મુહુર્ત ગાડીના બૉનેટ ઉપર ધમ્મ કરતું નારીયેળ પછાડીને ન કરાય. નારીયેળ જમીન ઉપર ફોડવાનું હોય ! સફેદ બૉનેટ ઉપર આ મોટ્ટો ગોબો પાડી દીધો.

હું તો આ નાનકડું એક્ટિવું આયેલું, ત્યારે ય પ્રાર્થના કરતી હતી કે, ઘરમાં ગોબો કે લિસોટા પાડજો પ્રભુ... અરે, જરૂર પડે તો બા-બાપુજી ઉપર લિસોટા પાડજો... હું બહુ મોટા મનની છું, પણ ગાડી ઉપર એકે ય ડાઘો ના પાડતા માતાજી  !  છાતી ચીરાઇ જાય છે.

સીમુને ડ્રાયવિંગ-લાયસન્સ તો મળી ગયું હતું, એટલે પૂજા કરીને નવી ગાડીમાં શ્રી સમર્થેશ્વર મહાદેવના મંદિરે આંટો મારવા જઇ આવીએ, એવું નક્કી તો થયું અને બાપુજી ઊભા ઊભા કંટાળ્યા હતા, એટલે એ ઉપર જતા રહે (એટલે કે ઘરમાં ઉપર જતા રહે) એના  કરતા સીમુને કીધું, 'બટા, જલ્દી ગાડી લઇ લો ને ચલો સમર્થેશ્વર...!'પણ આટલું સાંભળીને બટો જરા વધારે પડતા ઉત્સાહમાં આવી ગયો અને ગાડી સ્ટાર્ટ કરીને પાર્કિંગના થાંભલાને ઘસાઇને આ મોટો લિસોટો પાડયો.

સાલું, ઈન્ડિયામાં લોકુંને ગાડીયું વાપરતા જ નો આવડે !... ફ્લેટના પાર્કિંગમાં આટલા બધા થાંભલા નંખાતા હશે ? સીમુને ગાડી બહાર કાઢતા બે-ચાર વખત રીવર્સમાં લેવી પડી, એમાં ઉપરના ત્રીજા માળેથી કોકે વળી દાળ-શાકનો એંઠવાડ સીધો ગાડી ઉપર નાંખ્યો. રામ જાણે કયા શુકનમાં ગાઈડ આઇ'તી...! એ...હા... આજે જ ગોટીનો હેપી-બર્થ ડે છે... સાલા, હેપી-બર્થ-ડેઓ આવા હોય ?

અમે સરસ રીતે ગાડીમાં ગોઠવાઇ ગયા. બાને હજી નવું-નવું અને બિચારાએ ગાડી-બાડી ક્યાંથી જોઇ હોય, એટલે બારીની બહાર બહુ જોયે રાખે. આવું ના કરાય. બાપુજીની કન્ટિન્યુઅસ ઉધરસોએ આખો મૂડ મારી નાંખ્યો... ગાડીના ભંગારનો અવાજ આવે છે કે, એમના ખોંખારાઓ ગર્જે છે, એની તો વટેમાર્ગુઓને ય ખબર નહોતી પડતી, પણ એવા ખોંખારા બંધ કરાવવા એમ કાંઇ કોઇના  ગળાં થોડા દબાવી નંખાય છે ? આ તો એક વાત થાય છે !!

સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી યાદ આવ્યુંકે, ગાડી કેટલાની આઇ, એ તો સોસાયટીમાં હજી કોઇને કીધું જ નથી ! આમ તો, સાડા પાંચની આઇ અને બધું મળીને છમાં પડી, પણ મેં ગોટીને કહી રાખ્યું'તું કે, ગામમાં તો સાડા તેર લાખની જ કહેવાની ! ગોટી મને ડાયરેક્ટ તો કહી ન શક્યો પણ ડોહાને આંખ મારીને એણે કાનમાં કીધું હતું કે, 'સાડા તેર લાખ તો લોકો ફેમિલી  સાથેની કિંમત સમજશે...!'

અમદાવાદમાં સૌથી મોટો ત્રાસ હોય તો રીક્ષાવાળાઓનો... એટલી ય અક્કલ ન મળે કે, કોક નવી ગાડી લઇને નીકળ્યું હોય તો,રજા રાખીને બે દહાડા ઘરમાં રહીએ ! આ તો સીધા ઉપર પડતા જ આવે. આ મોટો ઘસરકો પાડી દીધો... સીમુએ પેલાની રીક્ષા ઉપર ! મારે એને સમજાવવો પડયો કે, દિ'જોઇને ઘરની બહાર નીકળતો હો તો...?'એમ તો આપણી ગાડીને ય લિસોટો પડયો, પણ ગાડી છે તો લિસોટા તો પડે ! આજે ૮૫ની થઇ પણ મારી સાસુ હજી એકે ય લિસોટા વગરની  કોરીધાકોડ છે... જૂનું મૉડેલ છે...!

બરોબર ચાર રસ્તે પોલીસવાળાએ ઊભા રાખ્યા, ''બૅલ્ટ કેમ નથી બાંધ્યો ?''તારી ભલી થાય ચમના, ઝભ્ભા-લેંઘા ઉપર કોઇ બૅલ્ટો બાંધતું હશે ? બાપુજી ય ખીજાઇ ગયા કે, અમે લોકો કોઇના રીસેપ્શનમાં થોડા જઇએ છીએ તે બૅલ્ટ-ફૅલ્ટ પહેરીને જઇએ ? ઠીક, એ તો પછી ખુલાસો થયો કે, બૅલ્ટ એટલે એ સીટ-બૅલ્ટની વાત કરતો હતો. હંહ... અમારો ગોટી તો આટલા વર્ષોથી ઍક્ટિવા ચલાવે છે... કોઇ 'દિ એણે સીટ-બૅલ્ટ બાંધ્યો નથી ! ગાડીમાં બેઠા એટલે પટ્ટા બાંધવાના...? નવરાઓ નવા નવા ફિતુરો કાઢે છે...!

એ તો ભલું થજો ભોળા મહાદેવજીનું કે, સમર્થેશ્વરમાં જ આપણા બે-ચાર ઓળખીતા મળી ગયા ને અમને ગાડીમાંથી ઉતરતા ય જોયા, એમાં અડધા પૈસા તો વસૂલ્લ...? એક જણ તો દોઢ ડાહીનો નીકળ્યો ને પૂછ્યું, ''વાહ... નવી ગાડી છે...? કોની છે ?''ગોટીએ એને માહિતી પૂરી આપી કે, ''આજે જ નવી છોડાઇ છે... સાડા તેર લાખમાં પડી !''તો ય વળી પૂછે, ''હપ્તેથી લીધી...?''

એમ તો એક-બે જણાએ સાચા વખાણ કર્યા કે, ગૌતમભાઇ (એટલે કે, ગોટી)એ આખી જીંદગી મેહનત બહુ કરી છે, એનું આ ફળ છે, પણ જતા જતા એકબીજાના કાનમાં બોલ્યા કે, ''...નક્કી કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે... ગોટિયો ગાંધીનગરમાં જ પડયો પાથર્યો રહે છે... નહિ તો, આવાના નસીબમાં આવી ૧૩-૧૪ લાખની ગાડી ક્યાંથી હોય ?''

બધાનો મૂડ ઉતરી ગયો. ઘેર પાછા આવીને ગાડી જેમતેમ પાર્ક કરીને મૂકી દીધી ને સવારે જોયુંતો આખી રાત એના ઉપર કૂતરાં બેઠા રહ્યા હતા... અને હવે સોસાયટીમાં પાર્ક કરેલી કોઇ પણ ગાડી ઉપર લોકોએ દાનપૂણ્યમાં નાંખેલી વાસી રોટલીના ટુકડાં પડયા રહે... ઠેકતી વખતે કાચ ઉપર કૂતરાંના પંજાના કાપાં પડી જાય, ગાડીના માથે ગોબાં પડી જાય, મારીને કાઢી મૂકો તો પાછા તરત બેસી જાય.... કહે છે કે, ચોખ્ખાઇ એમને ય ગમે છે. જમીન પર ગમે ત્યાં બેસી જવું એના કરતા સાડા તેર લાખની પથારીમાં તો આપણે ય નથી સૂતાં.... સુંઉ કિયો છો?

મોદી સાહેબના 'ઘર ઘર શૌચાલય'ના પ્રોગ્રામને બસ... કૂતરાં નથી માનતા !

સિક્સર
-
મે નૉટબંધી માટે કેમ કાંઇ ન લખ્યું ?
-
નૉટબંધીએ ઘેરઘેર 'બુધવારની બપોરે'ને ય પાછળ મૂકી દે, એવા લાખો હાસ્યલેખકો આપી દીધા છે.
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>